Satya ae j Ishwar chhe - 12 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 12

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 12

૧૨. ધર્મનો સાર પ્રાર્થના

હું માનું છું કે પ્રાર્થના ધર્મનો ખુદ આત્મા ને સાર છે અને કોઇ માણસ ધર્મ વગર જીવી શકતો નથી તેથી પ્રાર્થના તેના જીવનનું હાર્દ હોવી જોઇએ. કેટલાક પોતાના બુદ્ધિના અભિમાનમાં કહે છે કે અમારે ધર્મ સાથે કશીયે લેવાદેવા નથી. પણ તેમની વાત કોઇ માણસ કહે કે હું શ્વાસ લઉં છું પણ મારે નાક નથી તેના જેવી થઇ. બુદ્ધિથી, અગર સ્વાભાવિક પ્રેરણાથી અગર વહેમથી માણસ દિવ્ય તત્ત્વની સાથે કોઇક જાતનો સંબંધ સ્વીકારે છે. હડહડતામાં હડહડતો અજ્ઞેયવાદી કે નાસ્તિક સુધ્ધાં કોઇક નૈતિક સિદ્ધાંતની જરૂરનો સ્વીકાર કરે છે અને તેના અમલમાં કંઇક સારું અને તેનો અમલ ન કરવાની વાતમાં કંઇક બૂરું રહેલું છે એવું માને છે. ચાર્લ્સ બ્રૅડલૉ, જેમની નાસ્તિકતા જાણીતી છે તેઓ પોતાની અંતરતમ પ્રતીતિને ખુલ્લેખુલ્લી જાહેર કરવાનો આગ્રહ રાખતા. આમ પોતે જેને સત્ય માનતા તે ખુલ્લું બોલવાને માટે તેમને ખૂબ વેઠવું પડેલું પણ તેમાં તેમને હનહદ આનંદ આવતો ને તેઓ કહેતા કે સત્ય બોલવામાં જ તેનું વળતર મળી રહે છે. સત્યના પાલનમાંથી મળતા આનંદનો તેમને જરાયે ખ્યાલ નહોતો એવો એ વાતનો અર્થ નથી, સત્યના પાલનમાંથી મળતો આનંદ જોકે દુન્યવી નથી પણ મુળે માણસ ઇશ્વરની સાથે અનુસંધાનમાં આવે છે તે હકીકતમાંથી પેદા થાય છે. તેથી મેં કહ્યુું છે કે ધર્મતત્ત્વનો અસ્વીકાર કરનાર માણસ સુધ્ધાં ધર્મ વિના જીવી શકતો નથી, જીવતો પણ નથી.

હવે, પ્રાર્થના ધર્મનું વધારેમાં વધારે મહત્ત્વનું અંગ હોવાથી માણસના જીવનનું અંતરતમ સત્ત્વ છે એ બીજા મુદ્દા પર આવું. પ્રાર્થના કાં તો આજીજીરૂપે હોય અથવા વધારે વ્યાપક અર્થમાં અંતરમાં ઇશ્વર સાથે અનુસંધાન હેય. બંને અર્થમાં સરવાળે પરિણામ એક જ આવે છે. ઇશ્વરને આજીજીરૂપે થતી પ્રાર્થનામાં પણ આત્માને શુદ્ધ કરવાની અને તેના પર ચડેલો મેલ દૂર કરવાની, તેના પર ચડેલાં અજ્ઞાન ને અંધકારનાં પડમાંથી તેને મુક્ત કરવાની માગણી જ હોય છે. તેથી પોતાના અંતરમાં વસતા ઇશ્વરને જગાડવાની જેને તાલાવેલી લાગી હોય તેનો પ્રાર્થનાનો આધાર લીધા વગર છૂટકો નથી. પરંતુ પ્રાર્થના કેવળ થોડા શબ્દોનું પોપટિયું રટણ નથી કે તેવા રટણનું શ્રવણ નથી અથવા કોઇક મંત્રનો અર્થ વગરનો પાઠ નથી. આત્માને ઢંઢોળીને જગાડતું ન હોય તેવું રામનામનું કેટલુંય રટણ થાય તોયે તે મિથ્યા છે. પ્રાર્થનામાં શબ્દો ન હોય પણ દિલ હોય તે વાત શબ્દો હોય પણ દિલ ન હોય તે વાતના કરતાં બહેતર છે. હોય તે વાત આત્માને ભૂખ ઊપડી હોય તેને શમાવવાને જ તે હોવી જોઇએ અને ભૂખ્યા માણસને ઊલટભેર પૂરું ભોજન કરવામાં જેવો સ્વાદ આવે છે તેવો ભૂખ્યા અથવા ઇશ્વર સાથે અનુસંધાન માટે તલસતા જીવને પ્રાર્થનામાં સ્વાદ આવશે. અને મારો પોતાનો તેમ જ મારા સાથીઓનો થોડો અનુભવ તમને જણાવું કે પ્રાર્થનાના જાદુનો જેને એક વખત અનુભવ થયો છે તે દિવસો સુધી ખોરાક વગર ચાલવશે પણ પ્રાર્થના વગર અંતરની શાંતિ નથી.

કોઇ કહેશે કે જો એવું હોય તો આપણા જીવનની પળેપળ આપણે પ્રાર્થના કરવી જોઇએ. એ વિશે કશી શંકા નથી. પણ આપણે માણસો છીએ ને હંમેશ ગફલત કરીએ છીએ. એક ક્ષણને માટે પણ આપણને માણસોને અંતરમાં ઇશ્વર સાથે અનુસંધાન કરવાને ત્યાં ઊંડે ઊતરવાનું મુશ્કેલ લાગે છે. અને આપણને કાયમને માટે ઇશ્વરના અનુસંધાનમાં રહેવાનું અશક્ય લાગે છે તેથી આપણે રોજ થોડા સમયને સારુ દુનિયાની આસક્તિમાંથી અળગાં થવાનો ગંભીર પ્રયાસ કરવાને સારું અમુક વખત જુદો કાઢીએ છીએ, કહો કે આપણા દેહભાવમાંથી બહાર નીકળવાનો અંતરથી પ્રયત્ન કરીએ છીએ, તમે સુરદાસનું ભજન સાંભળ્યું છે. ઇશ્વરની સાથે એક થવાની જેને તાલાવેલી લાગી છે એવા આત્માનો એ આર્તનાદ છે. આપણે મુકાબલે તેઓ સંત હતા પણ તેમને પોતાને માટે તેઓ નામીચા પાપી હતા. આધ્યાત્મિક દૃષ્ટિથી તેઓ આપણા કરતાં ક્યાંયે આગળ નીકળી ગયા હતા પણ ઇશ્વરથી પોતાની જુદાઇનું ભાન તેમને એટલું તીવ્રપણે રહેતું હતું કે મો મસ કૌન કુટિલ ખલ કામી એમ ગાઇને તેમણે ત્રાસીને તેમ જ નિરાશ થઇને આક્રંદ કર્યું.

અહીં સુધી મેં પ્રાર્થનાની જરૂર વિશે વાત કરી અને તેની મારફતે પ્રાર્થનાના હાર્દનો પણ વિચાર કર્યો. આપણને આપણા માનવબંધુઓની સેવા કરવાને જન્મ મળ્યો છે અને આપણે પૂરા જાગ્રત ન રહીએ તો તે સેેવા કરી શકતા નથી. માણસના અંતરમાં પ્રકાશ અને અંધકારનાં બળો વચ્ચે નિરંતર કારમાં યુદ્ધ ચાલ્યાં છે અને જેની પાસે પ્રાર્થનાનો આધાર નથી તે અંધકારનાં બળોનો ભોગ બન્યા વગર રહેવાનો નથી. પ્રાર્થના કરનારો જીન અંતરમાં અને બહારથી આખીયે દુનિયા સાથે શાંતિ અનુભવશે; પ્રાર્થનાથી ભરેલા દિલ વગર જે માણસ દુનિયાના વહેવારોમાં પ્રવેશ કરશે તે જાતે દુઃખી થશે ને દુનિયાને પણ દુઃખી કરશે. તેથી મરણ પછી આવનારી માણસની સ્થિતિ સાથે પ્રાર્થનાનો જે સંબંધ છે તેની વાત જવા દઇએ તોપણ પોતાની આસપાસની જીવોથી ભરેલી દુનિયામાં પ્રાર્થના તેને માટે અપાર મૂલ્યવાન વસ્તુ છે. આપણાં રોજબરોજનાં કામોમાં વ્યવસ્થા, શાંતિ અને સરળતા લાવવાનું એકમાત્ર સાધન પ્રાર્થના છે. એ એક મહત્ત્વની વાત સંભાળી લેવાય તો બાકિની વાતોની સંભાળ આપમેળે લેવાતી રહેશે. ચોરસના એક ખૂણાને સરખો કરતાંવેંત બાકીના આપમેળે સરખા થયા વગર રહેતા નથી.

તેથી તમારા દિવસની શરૂઆત પ્રાર્થનાથી કરવાનું રાખો. અને તે એવી ઊંડી ભાવનાથી કરો કે તેનો પ્રભાવ સાંજ સુધી તમારા મન પર રહે. અને દિવસનું કામ પણ પ્રાર્થનાથી પૂરું કરો જેથી રાત પણ માઠાં કે માઠાં સ્વપ્નાં વગરની શાંતિથી ભરેલી જાય. પ્રાર્થના કેવી કરવી ને તેનું સ્વરૂપ કેવું રાખવું તેની ફિકરમાં પડશો મા. તેનું સ્વરૂપે ગમે તે હો પણ તેનાથી તમારું ઇશ્વર સાથે અનુસંધાન થવું જોઇએ. એટલી કાળજી રાખો કે પ્રાર્થનાનું સ્વરૂપ ગમે તે હોય પણ તેના બો મોઢેથી બોલતા હોય તે દરમિયાન તમારું મન રઝળવા ન નીકળી પડે. સ્થિર ને એકાગ્ર હોય.

સૂર્ય, ચંદ્ર ને તારા સમેત વિશ્વમાં વિચરતા બધાયે પદાર્થો કેટલાક કાનૂનને તાબે રહે છે. એ કાનુનોના અંકુશ મૂકનારા પ્રભાવ વિના આ દુનિયાનો વહેવાર એક ક્ષણ પણ ચાલે નહીં. તમે સૌએ તમારા માનવ બંધુઓની સેવા કરવાનું વ્રત અથવા મિશન સ્વીકાર્યું છે. એટલે તમે જો તમારી જાત પર કોઇ અંકુશ નહીં મૂકો, કોઇ નિયમનું નિયંત્રણ નહીં સ્વીકારી તો તમારા ભાંગીને ભૂકા થઇ જશે. પ્રાર્થના એવી એક આધ્યાત્મિક શિસ્ત છે. આપણા માણસોને જાનવરથી જુદાં પાડનારી વસ્તુ આ શિસ્ત અને તેનું નિયંત્રણ છે. માથું નીચું રાખી ચાર પગે ચાલનારાં જાનવર ન થવું હોય તો આપણે શિસ્ત અને નિયમને ઓળખીએ અને સ્વેચ્છાથી તેનો અંકુશ સ્વીકારીએ.

યંગ ઇન્ડિયા, ૨૩-૧-’૩૦