Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 20 and 21 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 20 અને 21

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 20 અને 21

૨૦ . રાણા રાયમલ

પરમ યશસ્વી રાણા કુંભાજીના અવસાન પછી તેમના પુત્ર રાયમલ મેવાડના મહારાણા બન્યા. તેઓ પરાક્રમી પિતાના યોગ્ય વારસદાર હતા. આ સમયે માળવામાં સુલતાન નો ઉદય થયો. તેઓની આંખમાં મેવાડ કણાની માફક ખુંચતું હતું. રાયમલનો સમકાલીન માળવાનો સુલતાન ગિયાસુદ્દીન મહત્વકાંક્ષી હતો. મુત્સદ્દી રાયમલ આ વાત સારી પેઠે સમજતા હતા. તેમણે ચિત્તોડને કાયમ શસ્ત્રસજ્જિત રાખ્યું.

 માળવાના સુલતાન ગિયાસુદ્દીન સાથે રાણા રાયમલ ને અનેકવાર સંઘર્ષમાં ઉતરવું પડ્યું. અને દરેક વખતે રાણાને વિજયશ્રી વરી. છેવટે ગિયાસુદ્દીને સંધિ કરી.

બાપારાવળના જમાનાથી ભગવાન એકલિંગજી કુળદેવ તરીકે સ્થાપિત થઈ ગયા હતા. બાપા રાવળે બંધાયેલું લગભગ પાંચસો વર્ષ જુનું મંદિર જર્જરિત થઈ ગયું હતું.

 રાણા રાયમલે ભગવાન એકલિંગજીના મંદિરનું સમારકામ કરાવ્યું. ભગવાન એકલિંગજીની ભવ્ય મૂર્તિની સ્થાપના કરી. વિશાળ પ્રાંગણ બંધાવ્યું.

રાણા રાયમલને ત્રણ શૂરવીર પુત્રો હતા. મોટો કુમાર સૂરજમલ શૌર્ય કરતા વિલાસનો વધારે શોખીન હતો. વિલાસી જીવનના કારણે એનામાં દુષ્ટતા ભારોભાર હતી. પૃથ્વીરાજ અને સાંગાજી શૌર્યમાં અપ્રતિમ હતા. તેમનામાં જેવું શૌર્ય હતું. તેવું શીલ હતું. મેવાડના ચકોર સરદારો સૂરજમલના લક્ષણો જાણતા હતા. તેઓ surajmal ને ગાદી વારસ નીમ્યા ઇચ્છતા ન હતા એવું કહેવાય છે કે દાદી માટે આ તો આંતર વિગ્રહ થાય એ માટે મા અંબા ભવાની ના મંદિરે મહાજનો અને સરદારો વચ્ચે મંત્રણા ગોઠવી દેવીની સાક્ષીએ રાણા રાયમલે સૂરજમલને યુવરાજ ઘોષિત કરાવ્યો.

દુભાયેલો સાંગાજી, જેને પોતાના કાંડા પર પૂરો ભરોસો હતો, મેવાડ છોડી ચાલ્યો ગયો. કારણ કે પિતાનો અન્યાય તેને ખૂંચ્યો હતો. પૃથ્વીરાજ પણ ખિન્ન મને સમસમીને બેસી રહ્યો. હવે એને મેવાડ વસમું લાગ્યું. વીરભૂમિ મેવાડમાં વીરતાની ઉપેક્ષાએ પોતાના ભાગ્યને અજમાવવાની તક શોધતો હતો. એને વફાદાર પાંચસો સાથીઓ પણ કોઇ પરાક્રમ કરવાનો થનગનતા હતા.

અને એક સમાચારે એને એવી તક મળી ગઈ. પોતાના સપનાને સાકાર કરવાની તક ઝડપી લેવાનો તેણે નિર્ધાર કર્યો.

----------------------------------------------------------------------------------------------------------------------------------

 

 ૨૧ . પ્રુથ્વીરાજ અને તારાદેવી

રાય સુરતન બેદોર અને તોંક તોંડાના લોકપ્રિય રાજવી હતા. પોતાના મહાન પૂર્વજ સોલંકી વંશના મહાન રાજવીઓ માટે તેમના હૈયામાં ગૌરવ હતું. પોતે અગ્નિકૂળના હતા અને આબુ પર્વતની બલિ-વેદી માંથી પોતાના વંશનો પ્રથમ પુરુષ ઉત્પન્ન થયો હતો એ વાતથી તેમની છાતી ગજગજ ફૂલતી હતી. આ વંશમા થઇ ગયેલા રાજવીઓએ કલા અને સંસ્કૃતિના વિકાસમાં અપૂર્વ યોગદાન આપ્યું હતું. કૈલાસનું મંદિર એ વાતની પ્રતીતિ કરાવે છે.

રાય સુરતનને એકમાત્ર તારા નામની પુત્રી હતી. એકની એક પુત્રી હોવાથી ઘણાં જ લાડ-પ્યાર થી તેનો ઉછેર કરવામાં આવ્યો. રાય સુરતન તારાને પોતાના પૂર્વજોની પરાક્રમ ગાથાઓ સંભળાવતા. રાજકાજની આંટીઘૂંટીઓ સમજાવતા. એ જમાનો જ વીરતાનો હતો. જેની શમશેર ચાલતી એની હાફ વાગતી. તારા દીકરી હતી છતાં તેનો ઉછેર એક રાજકુમારની માફક કરવામાં આવ્યો હતો.

“પિતાજી, આપણાં પૂર્વજો ભારતમાં મોટા મોટા રાજ્ય શાથી સ્થાપી શક્યા?”

“દીકરી, આપણાં પૂર્વજો ભારતમાં યુદ્ધ કૌશલ અને ગજબની બહાદુરીને કારણે મોટા મોટા રાજ્યો સ્થાપી શક્યા.”

 આવા વાર્તાલાપથી તારામાં રહેલી વીરાંગના જાગી ઊઠી. તોંક થોડા નગરપર ઘણાં વર્ષો સુધી રાજ્ય કર્યા પછી અફઘાનોના આક્રમણ સામે હારી જઈને રાજવીને બેદોર ભાગી જઈને વસવું પડ્યું.  જીવનની સંધ્યાએ આથી રાય સુરતનને ઘણો આઘાત લાગ્યો. તેથી તેમણે પ્રતિજ્ઞા કરી, “જ્યાં સુધી તોંક થોડા પાછું ન મેળવું ત્યાં સુધી હું આરામથી બેસીશ નહીં. મારા મૃત્યુને સુધારવા અવશ્ય એને જીતી લઈશ.” રાજકુમારી તારા પિતાના દુઃખને સારી પેઠે સમજતી હતી. એણે હવે યુદ્ધ કૌશલ્યમાં પૂરો રસ લેવા માંડ્યો.

“પિતાજી, જુઓ મેં સૈનિકનો વેશ ધારણ કર્યો છે.” પિતા સામે ઊભી રહી તારા હસતી. “પિતાજી, મને યુદ્ધકળા, એના દાવપેચ શીખવો. તોંક થોડા પર જ્યારે આક્રમણ કરશો ત્યારે અફઘાનો સામે લડીને, વિજય મેળવીને હું આપના ચરણોમાં મૂકીશ.” પુત્રીની વાત સાંભળી રાય સુરતન બબડતા, “કાશ તારા મારો દીકરો હોત તો……..”

 “પિતાજી, હું દીકરા કરતાં કમ નથી. વખત આવવા દો હું એ સાબિત કરી બતાવીશ.” પુત્રીના શબ્દોમાં ઉત્સાહનું પૂર છલકાતું જોઈને રાય સુરતનને સંતોષ થતો.

રાજકુમારી તારાના હૈયામાં એક ચોટ લાગી હતી. હવે એણે ઉત્સાહ અને ઇચ્છાશક્તિથી ઘોડેસવારી, હથિયાર વાપરવાની ઉત્તમકળા હાંસલ કરી. તારા કાયમ સૈનિક વેશમાં પિતા સાથે રહેતી. શિકારે પણ જતી. સમયની ગતિ સાથે રાજકુમારી તારાનો એક વીર યોદ્ધા જેવો વિકાસ થયો. તેના આવા પુરુષોચિત વર્તનથી રૂઢિવાદી સમાજ ખૂબ નારાજ હતો. તેની કટુ આલોચના કરતો. પરંતુ રાય સુરતન ની લાડકી ને કોણ કહે? કોણ ટકોરે કે, તારું આવું વર્તન રાજકૂળની મર્યાદાઓને અનુકૂળ નથી. રાજકુમારી તારાને કોઇ ઘરડી સ્ત્રી કહેતી. “તારા આવા વર્તનથી કોઈપણ પુરુષ તારું પાણિગ્રહણ કરવા તૈયાર નહીં થાય ત્યારે જ તને તારા સ્વચ્છંદી વર્તનનો પારાવાર પસ્તાવો થયા વગર નહીં રહે.”

 તારા નૈનો નચાવી, થોડું હાસ્ય વેરીને ચાલી જતી. જાણે એ વાતને રજમાત્ર મહત્વ આપવા જ માંગતી ન હોય.

પ્રતિજ્ઞા

         સોળવર્ષની તીરંદાઝ તારા રૂપ, ગુણ અને શીલમાં અજોડ હતી. એની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાઈ ગઈ. ઘણાં બહાદુર યુવકો તરફથી એના હાથની માગણી થવા લાગી. પરંતુ તારાના હૃદયની પીડા તો બીજી જ હતી. ઘણી વેળા રાય સુરતને તોંક થોડા જીતવાનો પ્રયત્ન કર્યો. પરંતુ નિષ્ફળતાના ચક્રવ્યૂહમાંથી બહાર ન નીકળી શક્યા.

“પિતાજી, આ વખતે તો હું પણ આપની સાથે યુદ્ધમાં આવીશ. રાજકુમારી તારા યુદ્ધમાં તો ગઈ પરંતુ અફઘાનો સામે મળેલી હારનું પ્રત્યક્ષ દર્શન કરીને હતાશ થવાને બદલે વધુ ઉગ્ર બની તેણે પ્રતિજ્ઞા કરી, “જ્યાં સુધી તોંક થોડા નગરને જીતાય નહીં ત્યાં સુધી હું લગ્ન કરીશ નહીં. જે વીર યુવક મારા આ કાર્યમાં સહાય કરશે તેને જ હું મારા મન-મંદિરનો આરાધ્યદેવ બનાવીશ.

 નિષ્ફળ રાજકુમારો

 રાય સુરતન રૂઢિવાદી ન હતા. યુવાન પુત્રીને એના લગ્ન માટે પસંદગી કરવાનો અધિકાર સોંપી દીધો હતો. “દીકરી, તારા જીવનના મહત્વપૂર્ણ પ્રસંગનો ફેંસલો તારે જ કરવાનો છે. તું જે યુવક સાથે લગ્ન કરવા ઈચ્છીશ. હું તેની આડે નહીં આવું.” ઘણા પ્રતિભાશાળી રાજકુંવરો તારાને પામવા આવતા પરંતુ તેની શરત સાંભળીને પાછા ફરી જતા. તે વખતે અફઘાનો ખૂબ જ જોરાવર હતા. તોંક થોડાના અફઘાનો સાથે સંઘર્ષમાં ઉતરવા કરતાં રાજકુમારી તારાનો ખ્યાલ છોડી દેવો સરળ છે એમ માની રાજકુમારો પાછા ફરતા.

એક રાજકુમાર રાય સુરતન પાસે આવ્યો.

“આપની પુત્રી તારાને મારી સાથે પરણાવો.

રાય સુરતને શરત પ્રમાણે તોંક થોડાને જીતી લાવવા અનુરોધ કર્યો. “અફઘાનોનો વધ કરી હું તોંક થોડાનો વિજય મેળવીને આવીશ.” રાજકુમારે પોતાના સાથીઓ સાથે તોંક થોડા પર આક્રમણ કર્યું. પરંતુ અફઘાન શાસક સામે લડતાં લડતાં રાજકુમાર હાર્યો અને મુશ્કેલીથી જીવ બચાવવા પામ્યો.

રાજકુમારે ઘોડા પર બેસીને વનમાં વિહરતી તારાને જોઈ હતી. એના રૂપનો તે દીવાનો થઇ ગયો હતો. યુદ્ધના મેદાનમાં પીઠ બતાવીને પાછા ફરનારને તારા વરમાળા આપશે જ આરોપશે જ નહીં એવો તો તેને ખ્યાલ જ ન હતો.

રાયસુર સુરતને શરત પૂરી કર્યા પછી જ લગ્ન થાય એવો આગ્રહ રાખ્યો, “હમણાં લગ્ન કરી દો, પછી હું તોંક થોડા જીતીને તમારે હવાલે કરી દઈશ.” રાય સુરતને કહ્યું, “રાજકુમાર, તમારી અયોગ્ય માંગણીને હું સ્વીકાર કરી શકું તેમ નથી. પહેલાં મારી પુત્રીની પ્રતિજ્ઞા પૂરી કરો ત્યાર પછી જ લગ્ન વિષે…….” “ આ તો મારી વીરતાનું અપમાન છે. હું હવે તો બળજબરીથી તારાનું અપહરણ કરીશ.”

વાત વણસી. ગુસ્સાના આવેશમાં રાજકુમારે તલવાર કાઢી વાર કર્યો. ચાલાક રાય સુરતને તે ચુકવી દીધો. “રાજકુમાર હજુ કહું છું પાછો ફરીજા.” પરંતુ રાજકુમારને માથે મોત ભમતું હતું. બંને વચ્ચે તુમુલ યુધ્ધ થયું. અંતે રાય સુરતને એની તલવારના બે ટુકડા કરી નાખ્યા, ડઘાયેલો રાજકુમાર ધરતી પર ગબડી પડ્યો.

“જા  રાજકુમાર, મને તારી નહીં તારા માતાપિતાની સ્થિતિનો વિચાર આવે છે. રાજપૂતીના નામ પર કલંક ન બનતો. બેઈમાની છોડી દે અને ઈમાનદારીથી જીવતા શીખ.” રૂપની પાછળ દિવાના બનેલા રાજકુમારો વીરતામાં ઉણાં ઉતરતા. એ જમાનો જ વીરતાનો હતો. રૂપગર્વિતાઓ રૂપની કસોટીની એરણે ચઢેલા, સફળ નીવડેલા વીર યુવકોને જ વરમાળા આરોપતી. નિષ્ફળ રાજકુમારો કથીર જેવા અવહેલના પામતા. કથીર માટે રાજકુમારી તારાના મનમાં જ્યારે પ્રેમ તો શું હમદર્દી પણ ન હતી. કારણ તારા વાસનાની પૂતળી ન હતી. વીરતા એને રુવેરુવે પ્રસરેલી હતી.

પૃથ્વીરાજની પ્રતિજ્ઞા

         એ સમયે મેવાડના મહારાણા રાયમલના ત્રણ પુત્રો સૂરજમલ, પૃથ્વીરાજ અને સાંગાજી વચ્ચે રાજગાદી માટે વિવાદ ઊભો થયો.

રાજ્યનો વારસ કોણ? તેની ચર્ચા ચાલી.  સૂરજમલ અવિચારી ઉધ્ધત અને મેવાડની ગાદી માટે અયોગ્ય હતો. પૃથ્વીરાજ અને સાંગાજી બન્ને વીર હતા. ત્રણે કુમારો યુવરાજ પદ માટે સંઘર્ષ ખેલવા તૈયાર થયા.

પોતાના સરદારોમાં આ કારણે ભાગલા પડતા જોઈને રાણા રાયમલે સૌથી ઉગ્ર સાંગાજીને દેશવટો આપી દીધો. પૃથ્વીરાજ પણ વીર હતો. એને આ રુચ્યું નહીં પરંતુ તે મૌન રહ્યો.

“રાજ્ય પ્રાપ્તિની લાલસા કેવી ભયંકર છે? પિતાજીએ ભાઇ સાંગાને દેશવટો આપ્યો. સૂરજમલ પોતાની અસમર્થતા કબુલ કરતો નથી. સૌ જાણે છે કે, મેવાડની ગાદીએ અગ્નિપથ છે. ધીકતી જ્વાળા છે. ફૂલોની શૈયા નથી, કાંટાઓનું ભીષ્મ બિછાનું છે. ગાદીપતિ માટે સતત બલિદાનની રણભેરી બજતી જ રહે છે. પ્રાણોને  પ્યાર કરનાર તે સ્થાને ચાલી જ ન શકે. સાંગાજી ધમકી આપીને ગાદી પ્રાપ્ત કરે એ પણ મને મંજૂર નથી. જો મેવાડી સરદારો અને પિતાજીએ સર્વસંમતિથી સાંગાની વરણી કરી હોત તો હું સ્વેચ્છાએ સ્વીકારી લેત પરંતુ મારું મન આ વિષાદયુક્ત  વાતાવરણમાં ગૂંગળાય છે. મને લાગે છે કે, મારે પણ સાંગાની માફક મેવાડ છોડીને પુરુષાર્થ આદરવો જોઈએ.” પૃથ્વીરાજ સદાયે આવા વિચારોમાં ઘેરાયેલો રહેતો.

“પૃથ્વીરાજજી, તોંક થોંડાની રાજકુમારી વિચિત્ર છે.” સંગ્રામસિંહ નામના એના એક મિત્ત્રે વાત કરી.

“ કેમ?”

એના અનુસંધાનમાં સંગ્રામસિંહે સવિસ્તાર ઘટના કહી.

“તો તો મારે બેદોર જવું પડશે.” ભાવતું’તુંને વૈદ્યે કહ્યું. તેમ પૃથ્વીરાજ મેવાડ છોડી બેદોર તરફ ઉપાડ્યો. એને પોતાના વિજય વિષે અપાર શ્રદ્ધા હતી. તે દેખાવમાં સુંદર હતો. વીરતા તો એના અંગે અંગમાંથી નીતરતી હતી.

“મહારાજ, હું મેવાડ્નો રાજકુમાર પૃથ્વીરાજ છું. હું રાજકુમારી તારાની મુલાકાત ચાહું છું.” રાય સુરતનના મુખપર ચમક આવી ગઈ. “પધારો રાજકુમાર, ગુહિલોતવંશના કુળદીપકને નિહાળી મને આનંદ થયો. રાજકુમારી તારા સાથે તમારી અવશ્ય મુલાકાત થશે.”

 રાજકુમારી તારાને ખબર આપવામાં આવી. એક સજાવેલા ઓરડામાં રાજકુમાર પૃથ્વીરાજ પ્રવેશ્યો.

 તેણે વેધક નજરે જોયું. રાજકુંવરી તારા રૂપગર્વિતા માનુની હતી. એનું રૂપ અદ્વિતીય હતું તો એના મુખ પર પવિત્ર પ્રેમની આભા ચમકતી હતી. પિતા માટેના અનહદ પ્રેમે જીદ્દી થયેલી તારા પ્રથમ દ્રષ્ટિએ જ વીર પૃથ્વીરાજના હૈયામાં ઉતરી ગઈ પરંતુ પૃથ્વીરાજ જાણતો હતો કે, કોઈપણ સુંદર યુવતીને પોતાના મનથી હૈયામાં કંડારવાથી એ પ્રાપ્ત થતી નથી. એ પ્રાપ્ત થાય છે. પુરુષાર્થથી.

 બંનેનો વાર્તાલાપ શરૂ થયો. થોડીવારમાં જ તારા સમજી ગઈ કે, પૃથ્વીરાજ આખાબોલો, વ્યવહારકુશળ વીર રાજકુમાર છે.

“રાજકુમાર, મારી અભિલાષા તમે જાણો છો. જો તમે એ પૂર્ણ કરવાની ક્ષમતા ધરાવતા હો તો મને વિવાહ મંજુર છે.” “હું પણ ચિત્તોડગઢથી નીકળ્યો ત્યારથી જ દ્રઢનિર્ધાર કરીને જ નીકળ્યો છું કે, મહારાજ સુરતનરાયને અફઘાનોના પંજામાંથી તોંકથોડાને મુક્ત કરાવીને સોંપીશ. સાચો રાજપુત આ જ કરે. અને પછી જ તમને લગ્નના બંધનમાં બાંધીશ. પ્રભુતાના પંથે પગલાં ભરતા પહેલા પ્રેમીપાત્રના હૈયામાં સ્થાન બનાવવું પડે અને રાજકુમારી તારા ના હૈયામાં પ્રવેશવાનો રાજમાર્ગ માત્ર આ જ છે.” પૃથ્વીરાજે કહ્યું.

“તમારો પ્રણયપથ ઉજવલ હો, પરંતુ વ્રતની સીમા સચવાવી જોઈએ.” “નચિંત રહો. મારા સંસ્કારો સીમા ભંગના નથી પરંતુ સીમારક્ષાના છે. મારા પાંચસો ચુનંદા સાથીઓ સાથે તોંક થોડાના વિજયનું અભિયાન આરંભ કરવા માંગુ છું.

 વીર પૃથ્વીરાજે જોયું કે, અફઘાનોના જુલ્મથી પીડિત જનતાના મિત્રો પણ લડવા માટે થનગની રહ્યા હતા. પોતાની સેનામાં એણે એવા લોકોની ભરતી કરવા માંડી. વિજય પ્રસ્થાનની સર્વ તૈયારીઓ પૂર્ણ થઈ. તારા રાય સુરતનજી પાસે ગઈ. એણે સવિનય કહ્યું, “પિતાજી, હું પણ આ યુદ્ધમાં જવા માંગુ છું, જો આપ……..” પણ બેટી, આ અભિયાનની જવાબદારી તો રાજકુમારની છે.” “પિતાજી, આપના અને મારા કલ્યાણ પથને નિર્માણ કરવા જનાર રાજકુમારને આમ એકલોઅટુલો પણ ન જ મુકાય. મારી યુદ્ધ સાધનાની કસોટી પણ થવી જોઈએ ને?”

જિદ કરીને તારા વીર પૃથ્વીરાજ સાથે સામેલ થઈ. મોતના ડરથી અળગી રાખું તો મારી ભાવના ભ્રષ્ટ થાય.” તારા બોલી. અને આમ તોંક થોડા પર એક જોરદાર આક્રમણ થયું.

 અફઘાનો સાથેના યુદ્ધ અને સફળતા

 પૃથ્વીરાજના ગુપ્તચરો પહેલેથી નગરમાં જઈને નિરીક્ષણ કરી આવ્યા હતા. અફઘાન બાદશાહ વિલાસી હતો. એના અમીરો ખુશામતખોર હતા. પ્રજા જુલ્મ થી રિબાતી હતી. સત્તાના ડંડા વડે પ્રજાને એવી તો રંક બનાવી દીધી હતી કે, તે બળવો કરવાનો વિચાર સુધ્ધાં ન કરી શકે. પ્રજા હંમેશા જેમ ઉંદર બિલાડીથી ગભરાય તેવી શાસકોથી ગભરાયા કરતી હતી.

જોરાવરસિંહ રાય સુરતનનો જુનો વિશ્વાસુ સરદાર હતો. એણે નગરમાં છૂપાવેશે જઈને નગરજનોમાં બળવાની હવા વહેતી કરી.

આજે બાદશાહની સાલગિરહ હતી. એ કારણે જનમેદની જામી હતી. આ જનમેદનીમાં વેશપલટો કરીને પૃથ્વીરાજ, તારા અને પસંદ કરેલા સાથીઓ ભળી ગયા હતા. આમેય, આજકાલ નગરોત્સવો વધી ગયા હતા. એક બાજુ પ્રજા રિબાતી હતી અને બાદશાહ, અમીરો તથા અમલદારો મહેફિલ માણતા હતા.

  પૃથ્વીરાજે આક્રમણ કરવાનો યોગ્ય અવસર પસંદ કર્યો. નગરની બહાર સેનાને છુપાવી તેઓ નગરમાં પ્રવેશ્યા. બાદશાહની નજર નવાંગતુક પૃથ્વીરાજ પર પડી. તેમણે બૂમપાડી, “આ નવો આદમી કોણ છે? એને પકડી લો.” તરત જ પૃથ્વીરાજનો ભાલો અને તારાનું તીર બાદશાહના શરીરને ક્ષ્ણાર્ધમાં ભેદી ગયું. બાદશાહના પ્રાણ પંખેરૂ ઉડી ગયા. એ જ વેળા આયોજન પ્રમાણે કિલ્લાના દરવાજા ખુલી ગયા. યુદ્ધનો પ્રારંભ થયો. અણધાર્યું યુદ્ધ આવવાથી બાદશાહની સેના હતપ્રભ બની ગઈ. પૃથ્વીરાજની સેના અને નગરની પ્રજાના બેવડા મારથી બાદશાહની સેનાનો ભુક્કો બોલાઈ ગયો. તોંક થોડા પર વિજય પ્રાપ્ત થયો. સર્વત્ર આનંદ છવાઈ ગયો. બેદોરથી રાય સુરતન આવ્યા. તેમનો રાજ્યારોહણ કરવામાં આવ્યો.

મિલન

 રાજકુમારી તારાનો વિવાહ વીર પૃથ્વીરાજ સાથે સંપન્ન થયો. અજમેરના અફઘાન શાસક્નું એક મોટું કટક પૃથ્વીરાજને સજા કરવા આવી પહોંચ્યું હતું. તેને પણ પૃથ્વીરાજે મારી ભગાડ્યું. એટલું જ નહીં, યુદ્ધે ચડી અજમેર પર આક્રમણ કરી અજમેર પણ ખુંચવી લીધું.

 પૂનમની ચાંદની રાત હતી. તારાના મુખચંદ્રને નિહાળતો પૃથ્વીરાજ પ્રેમની તૃપ્તિ અનુભવી રહ્યો હતો, “પ્રિયે, આખરે મેં ચાહી હતી એ મંઝિલ મને મળી ગઈ. તારા હવે તો તું મારી જીવનસંગિની બની. મારું મન આનંદથી ઉભરાય છે. તું તારા મનમાં આવે તે માંગી લે.” “હું શું માંગુ? મારી પાસે તમે છો એટલે બધું જ છે. આપવા જ માંગતા હોય તો તમારો અખંડ પ્રેમ અને એ પ્રેમપર કેવળ મારો જ અધિકાર આપો.” પૃથ્વીરાજ હસ્યો, “પ્રિયા, પ્રેમમાં ભાગ ન હોઈ શકે. પૃથ્વીરાજ તારો જ છે. એમાં કોઈ ભાગ નહીં પડાવી શકે, બસ, પછી છે કાંઈ?”  ચંદ્ર કાલીઘટામાં છુપાઈ ગયો અને તારા પૃથ્વીરાજના બાહુમાં, પ્રણય મસ્ત યુગલ પ્રેમની પરાકાષ્ઠા અનુભવી રહ્યું.