Guhilot Dynasty and Maharana Pratap in Indian History - 35 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 35

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 35

ભગવાન  એકલિંગજી ની યાત્રાએ

નવી રાજધાની નો વિચાર

ઈ. સ. ૧૫૫૦ની સાલ ચાલતી હતી.

એ વખતે દિલ્હીની ગાદીપર શેરશાહના વંશજો શાસન કરતાં હતા.

મહારાણા ઉદયસિંહ મેવાડને મજબૂત બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા. શૂરવંશનો બાદશાહ આંતરિક ઝગડાઓમાં ફસાયેલો હતો. એને રાજપૂતાના તરફ નજર દોડાવવાની ફુરસદ જ ન હતી. મહારાણા સાંગાજી પછીના મધ્યકાળમાં મેવાડે અસંખ્ય લડાઈઓ આપી હતી. પરિણામે ઉદયસિંહ જ્યારે મહારાણા બન્યા ત્યારે ધન, જન અને ઉત્સાહનો નિતાંત અભાવ હતો.

      ૧૫૪૦માં રાજ્યક્રાંતિ  સરજાઈ ત્યારે ઝાલોરપતિ વીરસિંહ, સાંચોર નરેશ પૃથ્વીરાજ, સહીદાસ સલુંમ્બરાધિપતિ , બાંગોરના સંગદેવ, રાજગઢના સિંહનાથ, ડુંગરપુરના  યશકર્ણ જેવા રાજવીઓએ સંપૂર્ણ સહાય કરી હતી.

રાજ્યમાં જ્યારે શિથિલતા હતી ત્યારે કેટલાક તત્વો લૂંટ કરતા હતા. ખેતીના ઊભા પાક બાળી દેતા, પ્રજાને ત્રાસ આપતા, ઉપર દરબારમાં આ વાતો પહોંચતી નહિ, અમલદારો અને મહારાણા વૈભવમાં ફસાઈ ગયા હતા.

મહારાણા ઉદયસિંહે સૈન્ય ને લૂંટો ન થાય, વેપારીઓ નિર્ભયતાપૂર્વક આવી જઈ શકે તેવી કડક વ્યવસ્થા કરવા તાકીદ આપી. પાકને નુકસાન કરનાર કોઈ પણ વ્યક્તિને ભારે દંડ આપવાની વ્યવસ્થા કરી. હવે વ્યાપાર વધ્યો રાજકોષમાં ધન જમા થવા માંડયું.

 મહારાણા ઉદયસિંહ માત્ર મેવાડને જ નહિ પરંતુ સમગ્ર રાજપુતાનાને મજબૂત બનાવવા માંગતા હતા. આથી પોતે સદાયે યુધ્ધમાં રચ્યા પચ્યા રહેતા હતા. કદી જોધપુર તરફ, કદી મેડતા તરફ તો કદીક અજમેર તરફ,

એ વેળાનું વાતાવરણ જ વીરતાનું હતું.

શાસ્ત્ર નેપથ્યમાં જતાં રહ્યા હતા. શસ્ત્રોનું પ્રાધાન્ય  વધી ગયું હતું. શમશેર અને શમશેરધારીની કિંમત ઊંચી અંકાતી. યોધ્ધાઓ પોતાના ઘોડા અને શમશેર પાણીદાર રાખતા,

પાણી તો હોવું જોઈએ ને ?

 પાણીદાર તલવારના ઊંચા મોલ આંકાતા, હવે તો મેવાડનો દરબાર શાહ સોદાગરો માટે મોટું બજાર હતો.

શિરોહીની શમશેર સમગ્ર રાજપૂતાનામાં વખણાતી. એક દિવસ શિરોહીનો એક કારીગર ચિત્તોડગઢમાં મહારાણા ઉદયસિંહના દરબારમાં આવ્યો.

 “ મહારાણાજી , આ શમશેરના મોલ, આ દરબારમાં થશે ?

“ તલવારની ધારની પરીક્ષા કર્યા વગર તેની કિંમત ન અંકાય ?

 પોતાના વીર સરદાર મન્નાસિંહ ઝાલાને મહારાણાએ તલવારની ધાર તપાસવા માટે આપી અને કહ્યું કે, ઈસે તાગેપર ચલાયા જાય.”

     તે વખતે શક્તિસિંહ માત્ર પાંચ વર્ષનો બાળક હતો. એણે સાંભળ્યું ન સાંભળ્યું ને બોલી ઉઠ્યો, “ કહીં. તાગે સે ભી તલવાર કી જાંચ હોતી હોગી, લાઈએ , મૈં અભિ ઈસકી ધાર દેખ દેતા હું.”

અને કોઈ સમજે અને રોકે તે પહેલાં તેણે તલવારની ધારથી, પોતાની ટચલી આગળીનું ટેરવું ઉડાડી દીધું.

મેવાડના દરબારમાં આ રીતે ઉદંડ વર્તન જે એક બાળક બતાવે એ સાંખી લેવામાં આવે તો અનુશાસન ક્યાંથી રહે ?

મહારાણા બેહદ ક્રોધમાં આવી ગયા ગુસ્સાના આવેશમાં તેમણે હુકમ આપી દીધો.

       “ આ બદતમીઝ બાળકનો હાથ કાપી નાખો.”

      દરબારમાં સન્નાટો છવાઈ ગયો. સૂરજ અને ચાંદ જેવા પ્રતાપ અને શક્તિ દરબારમાં શોભતા હતા. જાણે રામ-લક્ષ્મણની જોડી. શક્તિનો હાથ કપાશે તો આવી સુંદર જોડી તૂટશે, મહારાણી જયવંતીદેવી ચૂપ બેસી રહેશે ? શું અક્ષયરાજ સોનગિરા , શું માનસિંહ સોનગીર ચૂપ બેસી રહેશે ? મેવાડ જો આ હુકમનો અમલ થાય તો ચોક્ક્સ બે ભાગમાં વહેચાઈ જાય. પરંતુ સૌ કોઈ જાણતા હતા કે પથ્થરના ખડકની માફક મહારાણા ઉદયસિંહ અડગ છે. હઠીલા છે.

હવે શું ? હવે શું ? હવે શું ? સૌને ઉત્સુકતા હતી.

 એવામાં સલુમ્બરાધિપતિ સહીદાસ ઊભા થયા. એઓ પોતાના ભાઈ સલુમ્બરાપતિ કૃષણસિંહજી પાસે ગયા. કાંઈક વાત કરી.

આ દરબારમાં સહીદાસ અને કૃષ્ણસિંહનું  ભારે માન હતું. તેઓ ત્યાગવીર ચૂંડાજીના વંશજ અને મેવાડના હિતચિંતક હતા. હવે કૃષણસિંહજી ઊભા થયા. તેમણે વિનંતીના સ્વરે કહેવા માંડયું.

મહારાણાજી, આપ મને ઘણી વેળા લડાઈ જીત્યા બાદ પુરસ્કાર માંગવા કહેલું, મારે શું જોઈએ ? ભગવાન એકલિંગજીએ સઘળું આપેલું છે પરંતુ થોડા સમયથી મારી રાણીને સુંદર બાળક દત્તક લેવાની પ્રબળ ઈચ્છા થઈ આવી છે. જો આપ મહેરબાની કરો તો રાજકુમાર શક્તિને સલુમ્બર લઈ જવા માંગુ છું.

સૌએ તાળીઓના ગડ્ગડાટથી રાવતજીને વધાવી લીધા. મહારાણા ઉદયસિંહ શું બોલે? માત્ર મસ્તક હલાવીને, સિંહાસન છોડીને દ્રુતગતિએ મહેલ તરફ ચાલ્યા ગયા.

મહારાણી જ્યવંતીદેવી એ જ્યારે શક્તિની વાત સાંભળી ત્યારે ખૂબ ગુસ્સે થયા પરંતુ બીજી ક્ષણે તેઓ તે પી ગયા. પ્રિય પુત્રને હ્રદય પર પથ્થર મૂકીને વિદાય આપી. મહારાણાનો આ ઉપાલંભ જયવંતીદેવી માટે અસહ્ય હતો. પરંતુ હ્ર્દયની વાત હોઠે લાવ્યા વગર તે પૂર્વવત વ્યવહારથી વર્તવા લાગ્યા.

બદનૌરના સ્વામી જયમલ રાઠોડે મહારાણા ઉદયસિંહની સેવામાં જ પોતાનું જીવન અર્પી દીધું. સિસોદિયા  પરિવાર સાથે તેઓ સંબંધથી જોડાયા હતા. કેલવાડાના નરેશ પત્તાજી સિસોડિઆ સાથે તેઓએ પોતાની બહેન ફૂલકુંવર નું લગ્ન કર્યું હતું.

જયમલ રાઠોડ રાજપૂતાના મહાન યોધ્ધા હતા, તેઓ વિજય માટે જ શમશેર ઉપાડતા. તેઓની વીરતા પર મુગ્ધ થઈ પરમ સુંદરી જેવી રાજકુમારીઓ તેમની સાથે લગ્ન કરવા ઉત્સુક રહેતી.

       ગુજરાતમાં આવેલા લુણાવાડા રિયાસતના રાજવી રણધીરસિંહ સોલંકીએ પોતાની પુત્રી કેવલકુંવર નું લગ્ન તેઓ સાથે કર્યું હતું. આ સિવાય ખંડેલાના રાજા કેશવદાસ નિવાણની પુત્રી વિનયકુમારી નિવાણ તેઓને  વરી હતી. દેસુરીના રાજા કેસરીસિંહની પુત્રી પદમકુંવરીના લગ્ન તેઓની સાથે થયા હતા. ચિત્તોડગઢમાં  તેઓની બોલબાલા હતી.

“મહારાણાજી , મોગલોનો સિતારો ચમકી રહ્યો છે. આજથી ૧૮ વર્ષ પહેલાં સૌ કોઈ માનતુ હતું કે, હુમાયુંના હાથે મોગલસત્તા ઊખડી ગઈ, હવે એ ક્યારેય નહિ સ્થપાય. કારણકે શેરશાહ થી હારેલા હુમાયુને તેના ભાઈઓ કામરાન અને હિંદાલે પણ આશરો ન આપ્યો.”

          આ  વિચિત્ર કહેવાય. હુમાયુંએ પોતાના ભાઈઓ માટે ઘણી રહેમનિગાહ દાખવી હતી.”

                 હા, મહારાણાજી આપની વાત સાચી છે, વાસ્તવમાં હુમાયું ભોળો હતો. એનામાં માનવીય સંવેદના વધુ પ્રમાણમાં હતી. એના ભાઈઓ જ્યારે પણ બગાવત કરતાં ત્યારે એ દંડ ન આપતા દયા લાવી છોડી મૂકતો. આ  માટે એના સેનાપતિએ વિરોધ કર્યો ત્યારે એણે કહ્યું હતું. સિપેહસાલાર,  પિતાજીના અંતિમ શબ્દો હંમેશા મને ક્રૂર થતાં રોકે છે. તેઓએ પોતાના મરણ સમયે મને કહ્યું હતું, “બેટા, તું મહાન સલ્તનતનો વરસ છે. તેથી તારું ઉત્તરદાયિત્વ પણ મહાન છે. તે તું યાદ રાખજે, અને તારા ભાઈઓ પ્રતિ સ્નેહ અને નરમાશથી વર્તજે.”

                 “દયા ને શાસન બંને એક સાથે ચાલી જ ન શકે.”

     મહારાણાજી , હુમાયુએ , ખુરાસાનના શેખઅલી  નામના હિંદાલના ગુરુની પુત્રી હમીદાબાનુ સાથે લગ્ન કર્યા હતા. તે જ્યારે અમરકોટ આવ્યો ત્યારે માત્ર સાત જ સાથીઓ તેની જોડે હતા. આ  વેળા જે પુત્રનો બેગમ હમીદાએ જન્મ આપ્યો હતો એ બાળક આગ્રામાં  મોગલ બાદશાહ અકબરના નામે સામ્રાજ્ય જમાવીને બેસી ગયો છે. આજે નહિ તો કાલે એની નજર રાજપૂતાના તરફ અવશ્ય ઢળશે, એ આપણો ભાવિ દુશ્મન છે.”

      “જયમલજી , મેવાડની મોગલો સાથેની દુશ્મની ત્રણ ત્રણ પેઢીની છે. તેઓ આપણને ગુલામ બનાવવા ઈચ્છે છે. આપણે સ્વતંત્રતા જાળવી રાખવા માંગીએ છીએ. હું પોતે ઈચ્છું છું કે જો ભવિષ્યમાં યુદ્ધ કરવું પડે તો આપણી તૈયારી હોવી જોઈએ. ગાફેલ રહેવાથી સ્વતંત્રતા ગુમાવાય. “

     આવો વાર્તાલાપ ચાલી રહ્યો છે ત્યાં સમાચાર આવ્યા.

   “ યુવરાજ પ્રતાપને ત્યાં પુત્રનો જન્મ થયો છે.”

આવા શુભ સમાચારથી સમગ્ર ચિત્તોડગઢમાં આનંદ આનંદ પ્રસરી ગયો. દિવસ    ૧૬મી માર્ચ ૧૫૫૯નો.

એની ખુશાલીમાં ભવ્ય દરબાર ભરવામાં આવ્યો. સામંતોને, મહાજનોને, સૈનિકોને, પ્રજાજનોને યોગ્ય માન આપવામાં આવ્યું. પ્રજાએ મનભરીને ભેટ-સોગાદોનો વરસાદ વરસાવ્યો. રાજા પ્રજા માટે મરી ફીટતા હતા અને પ્રજા રાજા માટે.

થોડા દિવસ પસાર થઈ ગયા.

યુવરાજના બાળકુંવરને કૂળદેવને પગે લગાડવા માટે એકલિંગજી જવું આવશ્યક હતું. જયમલજી ચિત્તોડગઢ તમે સાચવો તો અમે એકલિંગજીની યાત્રાએ જઈ આવીએ.”

મહારાણાજી, આપ નચિંત યાત્રા કરી આવો. જયમલના શ્વાસે  ચિત્તોડ સલામત જ રહેશે.”

પોતાના સમગ્ર પરિવાર સાથે મહારાણાજી, પૌત્રને ભગવાન એકલિંગજીના દર્શન કરાવવા ધામધૂમથી નીકળ્યા.

 મેવાડની પ્રજા ગામેગામે પોતાના કીર્તિવંશ મહારાણા, પ્રતાપી યુવરાજ પ્રતાપ અને રાજપરિવારનું અહોભાવથી સ્વાગત કરતી, જ્યાં જ્યાંથી તેઓ પસાર થયા, ઉત્સાહનું પૂર ઊમટ્યું.

                 સફર લાંબી હતી. અરવલ્લી પર્વતમાલાની (ઘાટી)) ખીણમાં મુસાફરી શરૂ થઈ. ગાઢ અરણ્ય અને ઊંચા ઊંચા ટેકરા જોતાં જ મહારાણાને નવી રાજધાની નો પોતાનો વિચાર સ્ફૂર્યો. નવી રાજધાની માટે પહાડોથી રક્ષાયેલું સ્થળ જ યોગ્ય છે. મોગલ સેના આવી ન શકે. આવે તો મેવાડીઓ તેને સહેલાઈથી હંફાવી શકે.

                 નવી રાજધાની માટે જ તેઓ ખાસ એકલિંગજી પધાર્યા હતા. જ્યારે શિકાર ખેલવાનો પ્રસ્તાવ રજૂ થયો ત્યારે તેમણે સહર્ષ વધાવી લીધો.

     શિકારની  શોધમાં મહારાણા ઉદયસિંહ, યુવરાજ પ્રતાપસિંહ, ઝાલા માનસિંહ, માનસિંહ સોનગિરા  અને બીજા સરદારો ગાઢ અરણ્યમાં આગળ વધ્યે જતાં હતા.

    વીજળી વેગે દોડતા અશ્વો મહારાણા અને યુવરાજને  લઈને આગળ નીકળી ગયા. તેમણે જોયું કે અરવલ્લીની પર્વતમાળાની વચ્ચે, આયડના  પ્રદેશમાં, વિપુલ પાણીની સગવડવાળી સમતલ જમીનનો પ્રદેશ કેટલાયે માઈલો સુધી પથરાયેલો હતો.   

    “ પ્રતાપ, ચિત્તોડ પર મોગલોની નજર લાગી ગઈ છે. રાજધાની તરીકે જો આ પ્રદેશમાં આપણે એક નગર વિકસાવીએ તો દુશ્મનોને અવશ્ય હંફાવી શકાય. “

     જી, પિતાજી, રાજધાની માટે ચારે બાજુ આવેલી પહાડી કુદરતી સંરક્ષણ દીવાલ બની રહે. આ સમતલ મેદાનમાં પર્વતમાળા પરથી વહેતા અસંખ્ય ઝરણાં  સરોવર બાંધવાથી ઉપયોગી થઈ શકે.”

     “ આથી જ મને આ સ્થળે એક નવું શહેર વિકસાવી મેવાડની નવી રાજધાની બનાવવાનો વિચાર આવે છે.” પ્રતાપે વિચાર કર્યો. જો અહીં નવી રાજધાની વસાવાય તો પિતાજીનું નામ અમર થઈ જાય.

      એવામાં અશ્વો દોડાવતા સરદારો આવી પહોંચ્યા. યુવરાજ પ્રતાપસિંહે નવી રાજધાની વિષે મહારાણાના વિચારો મૂક્યા. સૌએ એ વિચારને વધાવી લીધો. સૌ આ સમતલ ભૂમિપર અશ્વો દોડાવતા આગળ વધ્યા. એક ટેકરી આવી. મહારાણા અને યુવરાજ એ ટેકરી પર જવા તૈયાર થયા.

      ટેકરી પર એમણે નાનકડી ગુફા જોઈ. એ ગુફામાં એક યોગીરાજ નિવાસ કરતા હતાં. બંનેએ  પ્રણામ કર્યા. પરિચય થયો. પરમ તેજસ્વી યોગીરાજ બોલ્યા, “ મહારાણા ઉદયસિંહ, આ જગ્યાએ તમે રાજધાની સ્થાપશો તો તમારા વંશને કોઈ કદી જીતી શકશે નહિ. તમારો રાજવંશ બોંતેર પેઢી ચાલશે. તમારા નામ પરથી એ નગરીને ઉદયપુર નામ આપજો.”

 બંને યોગીને પગે લાગી, પર્વત પરથી નીચે  ઉતર્યા. મુકામે ગયા.

 હવે મંઝીલ દૂર ન હતી. રસાલો લગભગ ભગવાન એકલિગજીના મંદિરથી ૧૫ માઈલ જ  છેટે હતો. ભગવાન એકલિગજીના  મંદિરે પહોંચવા માટે ડુંગરાળ રસ્તો, જે વાંકોચૂકો હતો તેને પસાર કરતાં ઘણીવાર લાગી.

       “ આ ભવ્ય મંદિર સુંદર છે. એ આપણા  કૂળદેવનું મંદિર .”અહોભાવથી મહારાણા ઉદયસિંહ પ્રતાપસિંહને કહી રહ્યા હતા.એકલિંગજી મહાદેવની મૂર્તિ ચાર મુખવાળી હતી. મહારાણાએ  એને માટે મોટી રકમનું દાન કર્યું .

   પૂજારીજી, અહીં  એક સરસ અને મોટી ધર્મશાળા બંધાવો. એ માટે મેવાડનો રાજકોષ તમારી પડખે રહેશે.”

       આરામ કર્યા પછી  સાંજના સમયે  તેઓ ફરવા નીકળ્યા. થોડે દૂર જતાં એક સરોવર દેખાયું. આ ઈંદ્રસરોવર હતું. એના કિનારે દેવદેવીઓના મંદિરો હતા. વાતાવરણ મનોરમ્ય હતું.

સરોવર કિનારે સૌ  બેઠા. મહારાણા અને સરદારોએ  ફરી નવી રાજધાની વિષે વિચાર-વિનિમય કર્યો.

     આ વખતે રાજધાનીનું નામ ‘ઉદયપુર’ રાખવું એવો નિર્ણય થયો. બાળકુંવર ભાગ્યશાળી છે. એના જન્મોત્સવના પસંગે જ નવી રાજધાની શોધાઈ સંતના આશીર્વાદ મળ્યા.

    આનંદસાગરની હેલીમાં હિલોળા લેતી રાજપરિવારની ટુકડી જ્યારે ચિત્તોડગઢમાં પ્રવેશી ત્યારે સૌની આંખોમાં એક મનોરમ્ય નગરીનું સુંદર સપનું હતું. એ વખતે કોને ખબર હતી કે, ચિત્તોડગઢ ની જાહોજલાલી થોડા વર્ષો માટે જ છે. થોડા વર્ષોમાં હજારો માણસોથી ઉભરાતો આ ગઢ વેરાન બની જશે. અજ્ઞાની સુખી હતા. જ્યારે જ્ઞાની વિધાતા અફસોસ કરી રહ્યો હતો. આશ્વાસન માત્ર એટલું જ હતું કે, એક દીવો હોલવતા પહેલાં બીજા દીવાને રોશની આપવા મથી રહ્યો હતો.