Guhilot dynasty and Maharana Pratap in Indian history - 37 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 37

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 37

કુછવાહા ભારમલ

     આમેરના  કિલ્લામાં સોંપો પડી ગયો. આજે મહારાજા ભારમલજી કુશવાહા ભારે ચિંતાગ્રસ્ત હતા. આમેરનું રાજ્ય રાજપૂતાનામાં આગળ પડતું રાજ્ય હતું. તેના રાજાઓ રાજપુતી આન ,બાન અને શાન માટે પંકાયેલા હતા.   

          તેઓ સૂર્યવંશી રાજપૂત હતા. વિજેતા કુશના વંશના તેમના વંશજો ‘કુશવાહ’ કહેવાતા. સમય જતાં એનું અપભ્રંશ ‘કુછવાહા’ બની ગયું. રોહતાસગઢ, નિષધ ,ગ્વાલિયર. નરવર વગેરે સ્થળોએ તેમનાં રાજ્યો હતા. વ્રજદામાં તેમનામાં પ્રસિધ્ધ રાજવી થઈ ગયો. એનો પુત્ર સોંઢદેવ રાજપૂતાનામાં આવ્યો. એના પુત્ર દુલ્હેરાયે દોસાક્ષેત્રનો પ્રદેશ જીતો ગાદી સ્થાપી.

દુલ્હેરાય કુછવાહાના પુત્ર કોકીલે અંબિકાપુર પ્રદેશના મીણાંઓને હરાવ્યા. અંબિકાપુર પર વિજય મેળવ્યો.

 આ મીણાં  જાતિ જયપુર અને જોધપુરની સરહદે, પાસે આવેલી પહાડીઓમાં વસ્તી હતી. તે ખળતલ અને બહાદુર કોમ હતી. જયપુરનું સૂર્યમંદિર મીણાંજાતિના સરદારે, કછવાહા દુલ્હેરાયના શાસન પહેલાં બંધાવ્યું હતું.

ડુંગર પર આવેલો આમેરનો કિલ્લો, અંબર મહેલને અડીને આવેલો છે. અંબર મહેલ ચાર માળની મોટી ઈમારત છે. એની જોડે કિલ્લાની દીવાલ ઊંચી અભેદ અને મજબૂત છે. આ દીવાલ કિલ્લાને મજબૂત રક્ષણ કરે છે. અંબર મહેલ અને આમેરનો કિલ્લો બંને એકબીજાની રક્ષા કરે છે. આમેરના કિલ્લાના બાંધકામની શરૂઆત વર્ષો પહેલાં કુછવાહા વંશના મહાબળવાન રાજવી પજોનીના સમયથી થઈ હતી. કેટલીયે પેઢીઓ વીતી ગયા બાદ હાલમાં જ રાજા ભારમલના સમયમાં તે પૂર્ણ થયો હતો.

      આમેરનો કિલ્લો અજેય હોવાનું ભારમલજી ગૌરવ લેતા હતા .તેમના મહાવીર પુત્ર ભગવાનદાસ સુયોગ્ય વારસદાર હતા. તેમનો પૌત્ર માનસિંહ પણ ,પુત્રના લક્ષણ પારણામાંથી અનુસાર નાનપણથી જ શસ્ત્રવિધામાં કુશળ હતો.

  આમેરના રાજ્યમાં મીણાંઓની વસ્તી વધારે હતી. રાજ્ય કછવાહાઓનું હતું. મીણાઓ આર્થિક રીતે, સામાજિક રીતે કમજોર હતા. તેઓ વખત આવ્યે લૂંટફાટ પણ કરતાં. તેઓ કદાવર અને દેખાવે ભયંકર હતા. પરંતુ ભોળા અને ઈમાનદાર હતા. આથી કુછવાહા રાજાઓએ તેમનું શોષણ કર્યે જ રાખ્યું હતું.

આ જાતિ રાજપુતાનાની સૌથી વધારે પછાત જાતિ હતી. શરૂઆતમાં તેમનો જબરો સંધર્ષ કછવાહાઑ સાથે થયો. રાજપૂતોની આ જાતિ, મારવાડમાં મોટા પ્રમાણમાં ઉતરી આવી. એ જાતિ હતી. ‘કુશવાહા’  , પરંતુ મારવાડની પાડોશમાં રહેતા આ મીણાંઓને આ લોકો આક્રમણખોર લાગ્યા. તેથી તેમના તરફ નફરત જાગી. તેઓ આ લોકોને ‘કાચબા જાતિના લોકો’ તરીકે ઓળખવા લાગ્યા. ઝનુની મીણાં સરદારોએ આ ‘કુછવાહા’ જાતિને પોતાના પ્રદેશમાં પ્રવેશતા રોકી.

.   “ આ પ્રદેશમાં અમારો અબાધિત અધિકાર છે. ખૂન વહાવીશું. પરંતુ તમને પ્રવેશવા નહિ દઈએ.”  મીણાઓ સાથેની પહેલી ટક્કરમાં કછવાહા હાર્યા. પરિણામે તેમને રણથંભોર તરફ પ્રસ્થાન કરવું પડ્યું.

    પરંતુ આ કિન્નાખોર કુછવાહાઓએ મીણાઓને ઝંપીને બેસવા ન દીધા. બંને જાતિ વચ્ચે ફરી સંગ્રામ જામ્યો.

    મીણાંઓની એક અલગ સંસ્કૃતિ હતી. અંબામાતા તેઓની કૂળદેવી હતી. એમ લાગે છે કે ,અંબર શહેર તેઓએ વસાવ્યું હતું. પ્રદેશમાં છૂટાછવાયા રહેતા મીણાંઓ લૂંટફાટનો ધંધો પણ કરતાં હતા. પરંતુ અંબરનગરીમાં વસવાટ કરનારાં મીણાઓ ગમે તે વ્યવસાયમાં રચ્યાપચ્યા રહેતા હતા. તેઓ સંગથી સંસ્કારી બન્યા હતા. પોતાની રોજની કમાણીમાંથી દરેક મીણાં પુરુષ અમુક હિસ્સો મંદિરમાં અચૂક ભેટ ચઢાવતો. પરિણામે અંબિકાપુરના અંબામાતાના મંદિરમાં કરોડો રૂપિયો જમા થયા હતા. એ મંદિરની અઢળક સમૃધ્ધિ વિષે એવી પણ લોકવાયકા હતી કે, મંદિર નીચે  ભોંયરામાં મોટો પાતાળમાર્ગ છે, જેમાં સોનાનો સાગર ઉછળે છે.       

         લાંબા અને ભીષણ સંઘર્ષ પછી દુલ્હેરાય કુછવાહાએ આવી મીણાં જાતિ પર અધિકાર જમાવી દીધો. જે સામા થયા, તે બધાં જ મીણાંઓની હત્યા કરવામાં આવી. જે જીવતા રહયા.તેમને   પકડીપકડીને દિલ્હીમાં લઈ જઈને ગુલામો તરીકે વેચવા માંડયા.  આ ગુલામો એટલા બધાં મોટા પ્રમાણમાં દિલ્હીના બજારમાં વેચાતા હતા કે, દિલ્હીના એ બજારને મીનાબજાર તરીકે ઓળખે છે, કછવાહા રાજાઓએ ,ધન સંગ્રહ કરવા માટે, ગુલામ બન્યા પછી પણ મીણાંઓની જે વસ્તી વધતી ગઈ તે મીણાંઓને દિલ્હીના  મીનાબજાર ઉપરાંત આગ્રા , લખનૌ, લાહોર જેવા મોટા વ્યાપારી કેન્દ્રોમાં વેચવા માંડયા, જેમાંથી રાજકોષ કરોડો રૂપિયા જમા થતા હતા.

     રાજા ભરમાલ જાણતા હતા કે, આમેરનો કિલ્લો તો અજેય આમેરના કિલ્લાની રક્ષા મીણાં જાતિના ખૂંખાર સૈનિકો કરતાં હતા. તેઓ અંબામાતાની સાખે વફાદારીના સોગંદ લેતા અને પોતાનો પ્રાણ ગુમાવતાં પરંતુ એ શપથ પાળતા, મહેલના રક્ષકની નોકરી ઊચી અંકાતી. મહારાજા પોતાના આ રક્ષકોની ખાસ કાળજી રાખતા. અંબર મહેલની ચોંકી મીણાંઓ કરતાં હતા અને રાણીવાસની ચોંકી હિજડાઓ કરતા હતા. એમની શમશેરની કાતીલ ચમક રાતદિવસ ઝગારા મારતી, કાળોતરો ભયંકર વિષધર નાગોને અંબરમહેલની ચારે તરફ ઝાડીઓમાં છોડી મૂકવામાં આવ્યા હતા. સંરક્ષણની આટલી મજબૂત વ્યવસ્થા હોવાથી આમેરના કિલ્લા માટે તો મહારાજા નિશ્ચિંત હતા.

પરંતુ સમસ્યા જુદી જ હતી.

આમેરની ગાદીપર હગુદેવ, જન્હડદેવ , પજજનરાય કુશવાહા જેવા પ્રતાપી રાજાઓ થઈ ગયા.

દિલ્લી નરેશો સાથે આ રાજવીઓને ગાઢ સંબંધ હતો. પૃથ્વીરાજ ચૌહાણ જ્યારે દિલ્હીનરેશ હતા ત્યારે પજજનરાય કુશવાહા  એમના ગાઢ મિત્ર હતા.

ઈ. સ ૧૧૯૩માં મહારાજાધિરાજ પૃથ્વીરાજ તરફ એક કપરા સાહસ માટે ઉપડ્યા.

જયચંદ રાઠોડની પુત્રી સંયુક્તાએ પૃથ્વીરાજને સંદેશો પાઠવ્યો હતો કે. હું આપને મનથી વરી ચૂકી છે. પિતાશ્રીએ સ્વયંવરમાં આપેલ આમંત્રણોમાં આપનો સમાવેશ નથી. પરંતુ આપ અવશ્ય આવશો.

        કપરા સંજોગોમાં પૃથ્વીરાજ ચૌહાણ સંયોગિતાનું અપહરણ કરીને વિધુતવેગે દિલ્હી ભણી ઉપડ્યા, તે વેળા કનોજની સેનાને રોકવા માટે પજજતરાય કુશવાહાએ મહાપરાક્ર્મ દાખવ્યું હતું. અંતે તેઓ આ યુધ્ધમાં વીરગતિ પામ્યા હતા.

  કછવાહાઓનું નરવરમાં પણ રાજ્ય હતું. ૧૦મી સદીના ઉત્તરાર્ધમાં અહીં તેજકરણ નામનો બળવાન શાસક શાસન કરતો હતો.

   મહારાજા ભારમલ વિચારતા હતા કે, એક જમાનામાં મહારાણા સંગ્રામસિંહ સાથે રહીને , મારા પૂર્વજો, મોગલો સામે લડ્યા હતા. આજે એક જ શાખાની બે ડાળીઓ ભેગી થઈ શકી નથી.

કુશવાહા સૂર્યવંશી, કશ્યપ ગોત્રના ગૌરવશાળી રાજપૂતો છે. તેઓનું ઉદ્ભભવસ્થાન પણ અયોધ્યા જ . કુશના પોતે વંશજો, વિષ્ણુનું તો પોતાનું વાહન.

     આજે મોગલ શહેનશાહ અક્બરની ક્રૂર નિગાહ આ રાજ્ય પર પડી હતી. આ વેળા અક્બરશાહ માત્ર ઓગણીસવર્ષના દૂધમલ જુવાન હતા. નાનપણમાં શાહજાદા અકબરને ભણાવવા ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ રમતિયાળ હોવાથી તે ભણી શક્યો નહિ. નિપુણ ઘોડેસવાર, ચાલક શિકારી હતો. ભયંકર પ્રાણી સાથે એકલે હાથે ઝઝૂઝવામાં એને આનંદ આવતો. તે સાહસિક હતો. પટ્ટાબાજી અને પોલોની રમત તેને પ્રિય હતી. એની સ્મરણ-શક્તિ, કલ્પનાને જિજ્ઞાસા અસાધારણ હતા.

માત્ર ૧૩ વર્ષની ઉમરે , નસીબનો બળિયો અકબર, મોગલ શહેનશાહ બન્યો. તેના ફુવા બહેરામખાને રાજ્યરક્ષકની પદવી ધારણ કરી. પછીના તબક્કામાં થોડા વર્ષો જનાનખાનાની બેગમો અકબરના શાસનમાં ‘અમ્મા’ તરીકે દખલ કરતી રહી.

પરંતુ યુવાન અકબરે જનાનખાનાની કુટિલતા અને બહેરામખાનની દક્ષતાને છ વર્ષમાં આંબી જઈને સત્તા પોતાના હાથમાં લઈ લીધી. બંને પ્રવાહોની દખલગીરી કડક હાથે દાબી દઈ સંપૂર્ણ તેજસ્વી વ્યક્તિત્વ સાથે ઉપસી આવ્યો હતો.

અક્બરશાહ વિદ્રોહી અને દુશ્મનો સાથે ક્રૂર હતો એને રાજપૂતોની શક્તિનો પૂર્ણ અંદાઝ હતો. હિંદમાં શાસન કરનાર રાજપૂતોના સાથ વિના ક્યારેય સુંદર શાસન કરી શકે નહિ. ભારતીય રાજકારણમાં રાજપૂતો એક મોટામાં મોટું પરિબળ છે એ વાત અકબર દિમાગમાં આવી ગઈ હતી.

આમેરના રાજા ભારમલની પુત્રી જોધબાઈના રૂપની તારીફ સર્વત્ર થતી હતી. રૂપ સાથે શીલ અને જ્ઞાન પણ હતું. આમેરના રાજમહેલમાં એક મહાન સંત વિદુષી થોડા વર્ષોથી જોધાબાઈના સંસ્કાર નિખારી રહ્યા હતા. એમ કહેવાતું કે, આ મહાન સંત વિદુષી ને રાજા ભારમલ પણ વંદન કરતાં હતા. સમગ્ર રાજપરિવાર તેમના તરફ ભારે આદર દાખવતો હતો.

યુવાન બાદશાહ અકબરના હ્રદયમાં જોધાબાઈની તારીફ સાંભળી પ્રણયઅંકુર ફુટ્યા. એના મનનો મોરલો નાચી ઉઠ્યો. એને રાજકુમારી મેળવવાની ઝંખના જાગી.

 “મેં ઉસી જોધાબાઈસે શાદી કરુંગા.”

પરંતુ આ કામ કપરું હતું. આમેરનો સૂર્યવંશી રાજા પોતાની બરબાદી થવા દે. પરંતુ મોગલોને પોતાની કન્યા ન  આપે.

આમેરનો કિલ્લો જીતવાનું આધળું સાહસ પણ ન થાય જાણભેદુ સરદારે સલાહ આપી. અક્બરશાહે પોતાની સેનામાંથી એક દળ એવું બનાવ્યું કે જે ક્રૂરતમ સૈનિકોનું બનેલું હોય. ચંગેજખાં અને તૈમુરના આ વંશજે પોતાના ધ્યેયની સિધ્ધિને માટે ઘાતકી સિપેહસાલાર હાફિઝખાનને નિયુક્ત કર્યો.

 “ આમેર રિયાસતના ગામડા ઉજાડી દો. એના શાહુકારોને લૂટી લો. પ્રજાને મોતને ઘાટ ઉતારી દો. રાજ્યમાં ચારે તરફ હાહાકાર મચાવી દો.

 “ શહેનશાહ, આ બધું શા માટે ?”

અક્બરશાહ ની ધાય માં ધસી આવી, “નિકમ્મા ખૂન બહાના પાપ હૈ ,”

 તો ફિર કયા કિયા જાય ? “ અકબરે વાત વિગતે જણાવી.

આપણે બાકાયદા રાજકુંવરીનું માંગુ કરવું જોઈએ. મોગલે આઝમનું માગું ઠુકરાવવાનો અર્થ એ સમજી જશે, પછી ફાફીઝખાનને છૂટો દોર આપી દો.”

રાજકુમારી માટે માંગુ મોકલવામાં આવ્યું. પરંતુ રાજા ભારમલે અકબરને પોતાની પ્રિયપુત્રી આપવાનો ઈન્કાર કરી દીધો.

 ૧૯ વર્ષના, માતેલા  સાંઢ જેવા, થનગનતા અશ્વ જેવા યુવાન મોગલ શહેનશાહ અક્બરથી ઈન્કાર સહન થયો નહિ. એ રાજનીતિજ્ઞ બની ચૂક્યો હતો. એને હિંદમાં કાબુલથી કન્યાકુમારી સુધી એકચક્રી મોગલ-સલ્તનત ખડી કરવી હતી. હવે એણે આમેર-નરેશનું મોઢું ખોલવા, નાક બરાબર દબાવવાનો નિર્ણય કર્યો.

 “ હાફીઝખાન, આમેર કે ગાંવ ઊજાડ દો, ધનીકો કા ધન, ઈન્સાનોં કા જીવન, ઔર ઉસ રાજ્ય કી રિયાયા કા અમન ઔર ચેન ખતમ કર દો. આમેર પર જુલ્મ કી બિજલી ગીરા દો. હમારી ખ્વાહીશ ઠુકરાને કા નતીજા દિખા દો. તબ કહીં મહારાજા ભારમલ અપને આપ  હમારે સામને સર ઝુકાકર આ જાયેંગે. “

    મોગલસેના આમેરની પ્રજાપર ભૂખ્યા દીપડાની માફક તૂટી પડતી. સુંદર સુંદર સ્ત્રીઓને સૈનિકો ઉઠાવી જતા , ઉભા પાક સળગાવી દેવામાં આવતા, અવાજ કરનારનો શ્વાસ સદાને માટે બંધ કરી દેવામાં આવતો હતો.

    છેવટે આમેરના મહાજને આમેરનરેશને રડતા કકળતા સાદે ઘા નાંખી. રાજવી ફોજો કયા ક્યાં પહોંચી વળે ? ધીરજ ખૂટવા લાગી. મોગલદળ ગમે ત્યારે ત્રાટક્તા આને આંધીની માફક વરસીને ચાલ્યા જતા.

મહાજને પ્રજાને બચાવવા વિનંતી કરી. ,

 “ આપ આપની પુત્રી માટે અમારી કતલેઆમ કરવો છો ? કાં તો અમારી રક્ષા કરો, કાં તો મોગલ શહેનશાહની વાત માની લો. નહિ તો ..”

“નહિ તો તમે શું વિચાર્યું  છે?”

 “ અમે બધાં જ આપના રાજ્યમાંથી ઉચાળા ભરી જઈશું. આમેરમાં કોઈ માનવી આપને જોવા નહિ મળે.

“ મહાજનો, મને વિચાર કરવાનો સમય આપો, હમણાં કોઈ અંતિમ પગલું ભરશો નહિ. દુશ્મનનો એકેએક ઘા મને કારમી વેદના આપે છે. પરંતુ તમે મારા ધર્મસંકટને નથી જાણતા, જો , વિશ્વાસ, રાખો. તમારે અંતિમ પગલું ભરવું ન પડે એવો નિર્ણય હું જરૂર લઈશ.” ગળગળા સાદે મહારાજા ભારમલ બોલી ઉઠયા.

 અને તેથી જ મહારાજા ચિંતાગ્રસ્ત હતા. તેઓ પોતાના અને આમેરના અસ્તિત્વને જાળવી રાખવા માંગતા હતા.

ઈરાનના શહેનશાહે તહમાસ્યે હુમાયુને સુન્નીપંથ છોડી શિયા પંથ સ્વીકારવાની શરતે જ સૈનિક સહાયતા આપી હતી. સ્વયં હુમાયુને સુન્ની છોડી શિયા પંથ સ્વીકારવો પડ્યો હતો. કાંઈક મેળવવા માટે કાંઈક છોડવું તો પડે જ ને?

આ સંદર્ભમાં મહારાજા ભારમલે પોતાના પુત્ર ભગવાનદાસ, રાજપરિવાર સાથે લબાણ ચર્ચા કરી. જોધાબાઈ સાથે પિતાએ લંબાણથી ચર્ચા કરી. અંતે નિર્ણય લેવામાં આવ્યો કે, જોધાબાઈના લગ્નની બાદશાહ અક્બરની માંગ મંજૂર રાખવી.

      અજમેર તરફ મોગલસેના સાથે શહેનશાહ અકબરનો રસાલો આગળ વધી રહ્યો હતો. શાહી ગુપ્તચરોએ  બાદશાહ ને સમાચાર આપ્યા કે, આમેરના રાજવી આપને સંધિ માટે ગમે ત્યારે મળવા આવશે. અક્બરશાહ માટે આ સમાચાર સુખદ હતા.

  ખ્વાજા મુઈનુદીન ચિશ્તીની મજાર પર કિંમતી ચાદર ઓઢાડી. બે દિવસ અજમેરમાં   વિતાવી, દીન–દલિતોને પુષ્કળ દાન આપી શહેનશાહ અજમેરથી પાછા ફર્યા.

રસ્તામાં, આમેરથી આવતી ટુકડી મોગલસેના સાથે ભળી ગઈ. સ્વયં આમેરનરેશ રાજા ભારમલ શહેનશાહ અક્બરની મુલાકાતે પધાર્યા હતા.

ગુપ્ત મંત્રણા કેવળ રાજા ભારમલ અને બાદશાહ વચ્ચે જ યોજાઈ. મંત્રણાબાદ બહાર આવ્યા ત્યારે બંનેનો ચહેરો ખુશખુશાલ હતો.

થોડા દિવસઓમાં રાજકુંવરી જોધાબાઈનું લગ્ન સમ્રાટ અકબર સાથે થયું. ભગવાનદાસને  મોગલસેનામાં સેનાપતિ બનાવવામાં આવ્યા. તેઓ ને હવે છ માસ મોગલ રાજધાનીમાં અને છ માસ આમેરમાં વસવાટ કરવાનો હતો. થોડા સમય પછી ‘રાજા’ની પદવી એનાયત કરવામાં આવી.

        બાદશાહ અકબરે જ્યારે જોધાબાઈને એના જનાનખાનામાં ‘કૃષ્ણનું મંદિર’ પૂજા માટે તૈયાર કરવી આપ્યું ત્યારે દિલ્હીવાસીઓમાં કચવાટ શરૂ થયો. મુલ્લા અને મૌલવીઓની આંખો લાલ થઈ.

   વાસ્તવમાં અકબર ધર્મપ્રચારક ન હતો. એ મહાન શાસક બનવા માંગતો હતો. તે જોધાબાઈ અને રાજપૂત કોમ બંને તરફ આકર્ષાયો હતો. પોતાના મહાન સામ્રાજ્યની કલ્પનાના આ બે સ્થંભોની  અવગણના કેવી રીતે કરી શકે ?

     મોગલજનાનામાં સત્તાનો તાજ અકબરનો હતો પરંતુ રાજ્યવહીવટની બુધ્ધિ જોધબાઈની હતી. આ બાબતમાં કુશવાહા ભારમલ, ભગવાનદાસ મેડતાના વાણિયા રાવ હેમુને અનુસર્યા હતા. જોધબાઈએ ધર્મ ત્યજયો પણ હિંદુ હિત માટે અક્બરની મુખ્ય બેગમ થઈ મહત્વનું કાર્ય કર્યું. એણે બર્બર અકબરને સંસ્કારી અક્બરશાહ બનાવ્યા, બીજી બાજુ એની નીતિથી એના જીવનકાળ દરમિયાન આમેરની સંપત્તિમાં પુષ્કળ વધારો થાય એવી યોજનાઓ એણે ઘડી કાઢી.

 રાજા ભારમલ સંધિના કારણે આઘાત પામી , ટુંક સમયમાં જ આ સંસાર છોડી ગયા. થોડા વખત પછી રાજા ભગવાનદાસનો પુત્ર માનસિંહ પણ આગ્રાના તખ્ત આગળ ખડો થઈ ગયો.

   આ બાળક વીર હતો. કુશળ તલવાર બાજ હતો. એ ઈતિહાસ સર્જવા માંગતો હતો. એણે મોગલજનાનામાં જઈને ફુઆ અને ફોઈને પ્રણામ કર્યા.

     “માન , આ ગયે ?”

“હાં , ફુફાજી, હમ અબ આગ્રા મેં હી બસેંગે , આપકી ખિદમતમેં ,”

  “હમારી ખિદમત વફાદારી સે કરોગે તો હમ તુમ્હેં આસમાન કી બુલંદી દિખા દેંગે .”