Guhilot dynasty and Maharana Pratap in Indian history - 49 in Gujarati Short Stories by Sisodiya Ranjitsinh S. books and stories PDF | ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 49

Featured Books
Categories
Share

ભારતીય ઇતિહાસમાં ગુહિલોત વંશ તથા મહારાણા પ્રતાપ - 49

 મહારાણા પ્રતાપસિંહ અને રાજા માનસિંહ

            મોગલ સેનાપતિ કુંવર માનસિંહના હૈયામાં હર્ષ માતો ન હતો. એણે પોતાના ધ્યેયના પ્રથમ લક્ષાંકને સફળતા પૂર્વક સર  કર્યું હતું. બાદશાહ અકબરના આદેશ પ્રમાણે જ્યારે તેણે ગુજરાતમાંથી પ્રસ્થાન કર્યું ત્યારે ડુંગરપુર નરેશ પર પોતાનો વિજય મળશે એ ધાર્યું ન હતું. ડુંગરપુર નરેશ મહારાવલ આસકરણે સામનો કર્યો પણ અંતે ડુંગરાઓમાં , નાસીને ભરાઈ જવું પડ્યું.

ઉદયપુર ની સરહદ આવી એટલે કુંવર માનસિંહે સેના ને મુકામ કરવાનો આદેશ આપ્યો.

“  હું મહારાણા ને મળવા જાઉ છું, તું સેના સાથે રહે, “ કુંવર માનસિંહે પોતાના નાનાભાઈ ને આદેશ આપ્યો.

“ મોટાભાઈ, હઠીલા  રાણા જોડે મુલાકાતે જાઓ છો ત્યારે સેના સાથે હોય તો ..” જગન્નાથ અચકાતા અચકતા બોલ્યો.”

“મારી ફિકર ન કર મેવાડપતિ કદી પીઠ પાછળ ઘા કરે એવા તો નથી જ અને મને મારી શમશેરનો ભરોસો ક્યાં નથી  ? મારી સાથે ફક્ત મારા પાંચ અંગરક્ષકો જ આવશે. “

  સૂર્યઅસ્થાચળ તરફ પ્રયાણ કરી રહ્યો હતો ત્યારે છ ઘોડેસવારો, ઉદયપુર તરફ પ્રયાણ કરી રહ્યા હતા.

બરાબર આ જ સમયે, ડુંગરપુરના બે સરદારો સાથે મંત્રણા કરી રહ્યા હતા.

“ મહારાણાજી , કુંવર માનસિંહ મેવાડનો દર્પ ચૂર્ણ કરવાના મજબૂત નિર્ધાર સાથે નીકળ્યો છે. એક રાજપૂતને રાજપૂતી દર્પ ચૂર્ણ કરવા મોકલવાની અકબરની સામ્રાજ્યવાદી ચાલમાં હું ફસાયો નથી આપણે પર્વતપુત્રો તો આઝાદીના શ્વાસમાં જ વિહરીએ છીએ. આપ એની વાતોમાં ફસાશો નહિ. એ વાત કરશે સંધિની અને વાસ્તવમાં અક્બરશાહ સેના તૈયાર કરી રહ્યાં છે.

મહારાવલ આસકરણજીનો આ સંદેશ હતો.

મહારાણા પ્રતાપ હસ્યાં. “મેવાડી સિંહ મોગલવરુઓની ચાલમાં ફસાશે નહિ.”

ડુંગરપુરના સરદારો સાથે આવશ્યક મંત્રણા કરી, મહારાણા આરામકક્ષમાં જવા નીકળ્યા.

 “ મહારાણાજી કુંવર માનસિંહજી પોતાના અંગરક્ષકો સાથે ઉદયપુર તરફ મરતે ઘોડે આવી રહ્યા છે. એક ગુપ્તચરે સમાચાર આપ્યા.

મેવાડની સરહદો રેઢી ન હતી. નિર્જન લાગતા સરહદી વિસ્તારમાં થતી હિલચાલ ઝડપથી મહારાણા સુધી પહોંચી જતી.

         પહાડી ક્ષેત્રોમાં રાત્રિના સમયે, એક શિખરપર રસાલના વિવિધ હલનચલન દ્વાર ચોક્ક્સ અર્થો સમજવાની કળા વિકસાવી હતી. એક પહાડની ટોચ પરથી કરવામાં આવતો સંકેત, બીજા પહાડપર ઝીલાતો. મશાલના અજવાળાનો આ સંકેત, અનેક પહાડો પસાર કરી, અલ્પકાળમાં મહારાણા સુધી સમાચારના સ્વરૂપમાં પહોંચી જતો.

         મેરપુરના ભીલરાજા પૂજાએ આ માટે પાંચસો ભીલ યુવાનોને ખાસ તાલીમ આપી હતી.

મહારાણા વિચારવા લાગ્યા. કુંવર માનસિંહ મંત્રણા કરવા આવી રહ્યો છે. શોલાપુર યુધ્ધમાં પોતે વિજય મેળવીને, મારા જમણા હાથ સમા ડુંગરપુર નરેશ મહારાવલ આશકરણજીને અરવલ્લીની પહાડીઓમાં ધકેલીને ગર્ભિત ધમકી આપવા, મેવાડના મહારાણાને પોતાના વિજયનો ઠાઠ બતાવવાનો આ અવસર માનસિંહ ચૂકે ખરો ?

બાજુમાં કુંવર અમરસિંહ ઉભો હતો. તે બોલ્યો, :પિતાજી મોગલ સેનાપતિનું અણધાર્યું આગમન રહસ્યમય હોઈ શકે.

         “ અમર, આ મેવાડ ભૂખ્યા બાદશાહની સૌમ્ય ચાલ છે. દૂર્દશા એમની એ છે કે, તેઓ જે ચાલ રમવા જાય છે એની ખબર આપણને પહોંચી જાય છે.

   “ પરંતુ સામ્રાજ્યના વૈભવમાં આળોટનાર મોગલ સેનાપતિ આપના દર્શન માટે જ આટલા આતુર કેમ ? મેવાડપતિ પાસે કશું જ મળવાનું ન હોવા છતાં કયા હેતુથી કુંવર માનસિંહજી આટલી રઝળપાટ કરી રહ્યા હશે ?

“કુંવર માનસિંહ, મેવાડીઓને મૂર્ખ માને છે લડાઈઓના બોજાથી ભાંગી પડેલા મહારાણાને પોતાના વિજેતા સ્વરૂપનો પ્રભાવ દેખાડી આંજી નાખવાની આ ચાલ છે. મેવાડની પરોણાગત માણી, રાજપુતાનાના  રાજપૂત સમાજમાં પોતે કરેલા બેટી વ્યવહાર અને લગ્ન સંબંધના કલંકને ધોઈ નાખી, પોતાની જાતને અભિજાત્ય વર્ગીય બતાવવાની આ તક શોધી છે. “

 “ પિતાજી સાતસો વર્ષથી સ્વતંત્રતાના ઉજ્જવળ દીપકને મેવાડે પ્રદીપ્ત રાખ્યો છે. મેવાડપતિ સ્વાભિમાન ના પ્રતિક બની ગયા છે. આપની પાસે સંધિ કબૂલ કરાવીને પોતે અપૂર્વ વિજયના યશભાગી બનવા માંગે છે કુંવર માનસિંહજી.”

પરંતુ સંધિ  થશે નહિ આપણાં અને કુંવર માનસિંહના પંથ નિરાળા  છે. આપણે સ્વતંત્રતાને ભોગે થયેલા કોઈપણ વ્યવહાર કપટ માનીએ છે જ્યારે તે આવા વ્યવહારને કુશળ રાજનીતિ માને છે. આપણે સમાધાન નહિ, સંઘર્ષમાં માનીએ છે. આપણાં વતનની સ્વાધીનતા સાથે ચેડાં કરનાર કોઈપણ તત્ત્વ  આપણને પળવાર માટે પણ ખપે નહિ. મહારાણાના સ્વરમાં દૃઢ નિર્ધાર હતો.

         “ અમરસિંહ, રાજનીતિ અનુસાર આબેરના , કુંવર માનસિંહનું સ્વાગત મેવાડના યુવરાજ સ્વયં કરશે. આપણાં નિવાસસ્થાન સામેજ , સરોવર તટે, ભવ્ય શમિયાનો બંધાવો. રાજકીય ઠાઠ અને ભવ્ય સજાવટ કરીને મોગલ સેનાપતિનું સ્વાગત કરવામાં તમે કશી મણા ન રાખશો.”

 રાજા માનસિંહનું સ્વાગત કરવામાં આવ્યું. આવશ્યક વિધીબાદ રાજા માનસિંહ મહારાણાને મળવા આવ્યા.

   રાજા માનસિંહે પ્રાતઃસ્મરણીય મહારાણા પ્રતાપને વંદન કર્યા. લવના વંશજ પ્રતાપ અને કુશના વંશજ કુછવાહા કુંવર માનસિંહજી રાજપુતાનાનું મહામુલું યૌવન-ધન હતું. અફસોસ તો એ વાતનો હતો કે, એ જમાનામાં આ બે મહાન રાજપૂતવીરો સંસામેહ્તા, સાથે નહિ.

         મહારાણાજી , રાજનીતિ તો વારાંગના જેવી છે પલટાતી પરિસ્થિતિમાં રાજનીતિને નવો વળાંક આપવો એ શું અયોગ્ય છે ?

“માનસિંહ, સૈનિક પરિસ્થિતિઓનો સ્વામી છે, ગુલામ નહિ પરિસ્થિતિના નામે વૈભવ-વિલાસની દાસતા સ્વીકારવી એ રાજપૂતી શાન નથી.”

      “આપ જેને ગુલામી માંનો છો એ રાજનીતિ છે. આજે મોગલ દરબારમાં રાજપૂતોનું વર્ચસ્વ છે. એ શું દૂરંદેશી નથી ? આપના પ્રત્યે બાદશાહને માન છે. આપની પ્રતિભાનો પરિચય તો ચિત્તોડ ગઢના ઘેરા વખતે જ બાદશાહ ને થયો હતો, તેઓ તો તે જ વખતે આપને મોગલ દરબારમાં લઈ જવાની અભિલાષા સેવતા હતા. પરંતુ બીજે જ દિવસે સદગત મહારાણા ઉદયસિંહ સાથે આપ પણ રાજનૈતિક પ્રસ્થાન કરી ગયા. આપને તેઓ મોગલ સલ્તનતના મજબૂત સ્થંભ બનાવવા માંગે છે. આપની મિત્રતા ઝંખે છે. શહેનશાહની મિત્રતાની માંગણી સ્વીકારીને વ્યર્થ રેડાનાર લોહીની નદીને અટકાવી શકશો,”

        "માનસિંહજી, સંધિ એ શાંતિની મંઝીલ નથી, ભાવિ યુદ્ધનો પાયો છે. આપના શહેનશાહ મિત્રતા નથી માંગતા વફાદારી માંગે છે. વફાદારી માલિક ઈચ્છે, મિત્ર જ મિત્રતા ચાહે અમે બીજાની તસુ જમીન પણ ઈચ્છતા નથી અને અમારી તસુ એ તસુ જમીન માટે રાજા પ્રજા, ડુંગર, કંકર , પક્ષી, વૃક્ષો સુરવે કાળ બનીને ઉભા રહે છે. અમે કદી આક્રમણ કરતાં નથી. પરંતુ આક્રમણખોર સામે નમતા પણ નથી. સ્વયં ભગવાન મહાકાલ આક્રમણ કરે તો પણ નહિ.”

 “ સૂર્યકુળભૂષણ પ્રાતઃ સ્મરણીય મહારાણાજી , આપ આદર્શના પ્રવાહમાં તણાઈ રહ્યા છો. ભાવનાનો અતિરેક ક્યારેક કાળના મુખનો કોળિયો બની જાય છે. મેવાડે માળવાના , માડું નરેશ સુલતાન બાઝબહાદુર તથા વિદ્રોહી મિરઝાને આશરો આપ્યો હતો. એ વાતને દફનાવી ને બાદશાહ આપની દોસ્તી ઈચ્છે છે.”

         “રાજા માનસિંહ, બાઝ બહાદુરે મેવાડના મહારાણા ઉદયસિંહનો આશરો  માંગ્યો અને તે આપવામાં આવ્યો. શરણાગતની રક્ષા કરવી એ  તો રાજપૂતનો પરમધર્મ છે. એજ ભાણું આગળ ધરીને શું ચિત્તોડગઢપર આક્રમણ કરવામાં આવ્યું ન હતું ?

         “બાદશાહ અકબર સારાયે ભારતમાં એક કેન્દ્રીય મહાસત્તા સ્થાપી ભારતને લડાઈ, લૂંટ અને કાવાદાવાહીન બનાવી પ્રજાનું કલ્યાણ ઈચ્છવાની અભિલાષા સેવે છે. બાઝ બહાદુર આવા દિગ્વિજયની આડે આવનાર કંટક હતો. “

“માનસિંહ, સ્વાર્થ સત્ય જોઈ શકતું નથી. બાઝ બહાદુર અને રાણી રૂપમતી માંડુમાં ઉત્તમ પ્રકારે રાજ્ય કરતાં હતા. એ શું મોગલોની તૌહીન ગણાય ? રાણી રૂપમતીને પ્રાપ્ત કરવા આદમખાને , માડુંની પ્રજાની ક્રૂર કતલેઆમ કરવાની ધમકી આપીને રાણી રૂપમતીને પોતાને તાબે થવાની ફરજ પાડવાનો પ્રયત્ન કર્યો અને એને વિષપાન કર્યું એ શું મોગલસામ્રાજ્યની શાન હતી? શું નાઝનીન ને લૂંટમાં પણ સેનાપતિ મેળવી શકે ? રાજધાનીમાં લઈ જઈ પોતાના ઘરમાં રાખી શકે ? આદર્શ સામ્રાજ્યની આ નિશાની છે ? એક રાજ્યની પરમસુંદરીને મેળવવા પ્રજાની ક્રૂર કતલેઆમ કરે. સેનાને લૂંટારાઓ માફક છૂટો દોર આપે એવો યુવાન બાદશાહ શું કછવાહા કુંવર માનસિંહ નો આદર્શ હોઈ શકે ?

         રાજા માનસિંહજી મહારાણાનું  આ સ્વરૂપ જોઈ ડઘાઈ ગયા. તીખો તમતમતો જવાબ આપવા જીભ ખૂલે તે પહેલાં પોતાનો હેતુ યાદ આવ્યો. સેનાપતિ માનસિંહ પર મુત્સદ્દી માનસિંહ હાવી થઈ ગયો. મંદ મંદ હસતા હસતા તે બોલ્યા.

“મહારાણાજી, આપનો પુણ્ય પ્રકોપ હું સમજી શકું છું. પરંતુ એજ અદમખાનને હાથીના પગતળે શું બાદશાહે કચળાવી માર્યો ન હતો, ખુદ આદમખાનની માતા અને બાદશાહની ધાય માં પણ ચોકમાં હાથી તળે ચગદાતા , મૃત્યુના મુખમાં ધસતા પોતાના પ્રિય પુત્રને ચૂપચાપ જોઈ રહી ન હતી ? છેવટે બોલી તો માત્ર એટલું જ બોલી હતી, “ જહાંપનાહ , આપને સોચ સમજકર હી આદમ કો ઈન્સાફ કે તરાજૂ  મેં તોલા હોગા.”

થોડા દિવસમાં એજ ધાઈમાં , બેટાના ગમમાં મૃત્યુ પામી. બાદશાહ અકબર ક્રૂર હતા. હવે નથી. યુવાન અક્બરશાહ માં ક્રૂરતા કેમ ન હોય ? એ ચંગેજ ખાં અને તૈમૂર લંગનો વંશજ અને બાબરનો પૌત્ર છે. છતાં આજે અક્બરશાહ પોતાની સેનાને છુટ્ટો દોર નથી આપતા. આ સેનામાં રાજા માનસિંહ, રાજા ભગવાનદાસ ,રાજા બીરબલ, રાજા ટોડરમલ અને કવિ અબ્દુલ રહીમ ખાનખાનાન જેવા સિપેહસાલર છે. આપે કહેલો સમય હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. સમયે કરવટ બદલી છે. બાદશાહ દરેક ધર્મની ઈબાદતમાં સામેલ થાય છે.

  “રાજા માનસિંહ, ધર્મનો બુરખો ઓઢાડીને યુધ્ધો લડાય છે. ઈન્સાનો ખુશી ખુશી બલિદાનો આપે છે. પરંતુ ધર્મ કદી ધર્મ સામે લડતો જ નથી. મેવાતના ખાનસૂરિ  મારા દિલોજાન મિત્ર છે. માળવાના સુલતાનો સાથે અમારી મૈત્રી છે. શું મુસલમાન હોવાથી તેઓ મોગલોના મિત્રો ન બની શક્યા ? અમારો વાંધો ફક્ત અમને અમારા પ્રદેશમાં સ્વતંત્ર રીતે  રાજ કરવા દો. “

         “પરંતુ આપ બાદશાહ ની સંધિ સ્વીકારી , મજબૂત પડોશી ની હૂંફ કેમ મેળવતા નથી. હું આપને હજુયે વિનવું છું કે , આપ સંધિનો સ્વીકાર કરી લો. આપના માન મરતબાની રક્ષાની જવાબદારી હું લઉ  છું.”

         “રાજા માનસિંહજી, એક બાજુ તમે સંધિનો પ્રસ્થાવ  લઈને ચર્ચાનો દોર ચાલુ રાખી રહ્યા છો અને બીજી બાજુ તમારા જાસૂસો અમારા પ્રદેશમાં જાળ બિછાવી રહ્યા છે તમારા બાદશાહની અજમેરની યાત્રાનો દોર વધી ગયો છે. સેનાને સજ્જ કરી રહ્યા છો. મારે તમારા કયા સ્વરૂપને સાચું માનવું. “

“મહારાણાજી આપ ભ્રમણામાં રાચો છો. બાદશાહ રાજપૂતોના દિલોજાન મિત્ર છે. આવડા મોટા સામ્રાજ્યના માલિક હોવા છતાં સંધિ માટે પહેલ એમણે કરી છે. એ વાતની તો કદર કરશોને ?

“ માનસિંહ, આ દેશમાં જેને પણ રાજ કરવું હશે તેને  હિદુ પ્રજાની અવગણના કરે નહિ પાલવે હિંદુ પ્રજાનું પ્રતિનિધિત્વ  મેવાડ કરે છે માટે સંધિની પહેલ તમારા તરફથી કરવામાં આવી છે. મૈત્રી અને ગુલામીની ભેદરેખા સમજવા જેવી છે. તમે, તમારા , પિતા અને ભવિષ્યમાં તમારા કુંવરોને મોગલ દરબારમાં શા માટે હાજરી આપવાનું બંધન છે. તમારી કન્યાઓને મોગલોને આપવાની કડવી શરત કેમ ? સોનાની હોય તો એ તો બેડી જ કહેવાય.”

 રાજા માનસિંહ પર આ આકરો ઘા હતો. આ ૨૬ વર્ષનો મોગલ સિપેહસાલાર મામૂલી ન  હતો. ભવિષ્યમાં હજુ કેટલાયે સંગ્રામો એને જીતવાના હતા. મહારાણાના આકરા બોલ કડવું સત્ય હતા ઝેરજેવો ડંખ આપવા લાગ્યા.

ભારતની વિધાત્રીએ પણ નિરાશાનો શ્વાસ લીધો. તે વિચારવા લાગી. રાજપુતાનાના બે પ્રસિધ્ધ  રાજવંશ ગુહિલોત અને કછવાહા દેશના દુર્ભાગ્યે સામસામે હતા , સાથે નહિ.

રાજા માનસિંહે મોગલ દરબારમાં રહીને હિન્દુત્વના રક્ષણની વાત કરી, મોગલ દરબારમાં હાજરી તથા લગ્નસંબંધના નિયમોથી મહારાણાને અપવાદ ગણાવવાની વાત કરી. પરંતુ પ્રતાપ અટલ રહ્યા બંને સાહસી હતા, પરંતુ એકમાં સ્વતંત્રતાની લગની નો સાગર હતો તો બીજામાં તેનો પૂર્ણપણે અભાવ હતો. એક રાષ્ટ્રવાદી હતો તો બીજો ભોગવાદી હતો.

 “મહારાણાજી , તો પછી આપ બાદશાહ અક્બરની મૈત્રી ઠુકરાવો છો એમ જ ને ? પરિણામની કલ્પના તો આપ જેવા મહાપુરુષને હશે જ,”

 ‘રાજા માનસિંહ ! આપ મોગલોનું સુંદર પ્રતિનિધિત્વ કરી રહ્યા છો. પરંતુ એટલું યાદ રાખજો, ધમકીથી કોઈ પણ મેવાડી ગભરાતો નથી. કારણકે , અમો હથેલીપર પ્રાણ લઈને જ જીવીએ છીએ, ભગવાન એકલિગજીના અમે તો દીવાન આજે રોકાઈ જાઓ. મારે પણ પ્રજાપરિષદ આગળ વાત મૂકવી પડે અને નિર્ણય સર્વાનુમતે થાય. પ્રજાપરિષદ સાથે મંત્રણા કરી જવાબ આપી શકું.”

         ‘મહારાણાજી, પ્રજા, પ્રજાપરિષદ આ બધું જ આપ છે આપ તો મેવાડના સર્વે સર્વા છો. આપ ધારો તેવો મોડ વાતને આપી શકો એમ છો.

રાજા માનસિંહ રોકાઈ ગયા. ઊંડે ઊંડે તેઓને આશા હતી કે  પરિસ્થિતિ એવી પેદા થાય કે, મેવાડ સંધિ માટે તૈયાર થાય તો મારી મૂત્સદગીરીનો ડંકો વાગે.