Hitopradeshni Vartao - 34 in Gujarati Children Stories by SUNIL ANJARIA books and stories PDF | હિતોપદેશની વાર્તાઓ - 34

Featured Books
Categories
Share

હિતોપદેશની વાર્તાઓ - 34

34.

હિમાલયની તળેટીમાં એક ઋષિનો આશ્રમ હતો. આશ્રમમાં ઘણા વિદ્યાર્થીઓ રહેતા હતા. ઋષિ સૌને પ્રેમથી ભણાવતા હતા. એક રામ શર્મા નામના વિદ્યાર્થીનું ભણતર પૂરું થતાં ગુરુદેવ પાસે આવ્યો અને પ્રણામ કરી ઘેર જવાની આજ્ઞા માગી. ગુરુએ આશીર્વાદ આપ્યા. રામ શર્મા કહે "ગુરુજી, તમે મને ઘણા શાસ્ત્રોનું જ્ઞાન આપ્યું પણ આજે વિદાય વેળાએ એવું કંઈક કહો જેને અનુસરી હું મારું કલ્યાણ સાધી શકું."

ગુરુજી કહે "બેટા, મેં તો તથાશક્તિ તને જ્ઞાન આપ્યું છે છતાં એક વાત ધ્યાનમાં રાખજે. ક્યારેય જ્ઞાનનું અભિમાન નહીં કરતો. એમ સમજતો નહીં કે તું ભણ્યો એટલે શ્રેષ્ઠ પંડિત બની ગયો. જ્ઞાનનો સાગર અગાધ છે. કોઈ મનુષ્યની એટલી શક્તિ નથી કે એક જન્મમાં બધું જ્ઞાન પામી શકે. માટે તું ભલે બધું જાણતો હો છતાં હંમેશા પ્રશ્ન પૂછતો રહેજે. તારી જિજ્ઞાસાવૃત્તિ જાગૃત રાખજે. ગમે તેવા અભણ માણસોના જવાબમાંથી પણ તું જ્ઞાન પ્રાપ્ત કરી શકીશ. આ મારી તને અંતિમ શિખામણ છે." "જેવી આજ્ઞા, ગુરુજી" કહી રામ શર્માએ ઋષિને દંડવત પ્રણામ કર્યા અને પોતાને ગામ જવા નીકળી પડ્યો. રસ્તામાં એક ઝાડ નીચે એ આરામ કરવા બેઠો ત્યાં તેની પીઠ ઉપર ઝાડ પરથી કોઈ કૂદી પડ્યું. તેણે ઊંચે નજર કરી. જુએ છે તો ભયંકર રાક્ષસ. એના મોતિયા મરી ગયા. રાક્ષસ એની પીઠ પર બરાબર વળગી પડ્યો અને ખડખડાટ હસવા લાગ્યો.

"કેમ મારી રજા વગર મારા ઝાડ નીચે આરામ કરવો છે? હમણાં તને મજા ચખાડું છું."

" પણ મને શી ખબર કે આ તમારું ઝાડ છે? આવું ઘટાદાર વૃક્ષ રસ્તામાં બીજું ન દેખાયું. આ ઝાડની શીતળ છાયા જોઈ મને આરામ કરવાનું મન થયું અને ઉલ્લુ, તારા જેવાને સપડાવવા માટે જ મેં આ ઝાડ પસંદ કર્યું છે. ચાલ હવે તૈયાર થઈ જા. પહેલાં મને પહેલા તળાવ સુધી લઈ જા."

" પણ રાક્ષસરાજ, તમારું વજન બહુ છે. મારાથી તમને ઊંચકીને ચલાતું નથી. હું તમને ખાતરી આપું છું કે તમે નીચે ઉતરો પણ ભાગી નહીં જાઉં. જોઈએ તો મારો હાથ પકડી રાખો. મને દોરડાથી બાંધી રાખો પણ મારી પીઠ પરથી ઉતરો. નહીં તો હું અહીં જ ઢગલો થઈ જઈશ."

" મૂર્ખ, હું ચાલવા માંગતો નથી."

" પણ તમારા પગ તો છે. શું કામ નથી ચાલતા?"

" ના, હું તારા કરતાં ઝડપથી દોડી શકું છું પણ આ ગંદી જમીન પર પગ મૂકીને હું મારા પગ બગાડીશ નહીં."

" પણ તમારા પગ તો માખણ જેવા ચોખ્ખા અને લીસ્સા છે. આટલા સરસ પગ તમે કેવી રીતે રાખી શકો છો?" રામ શર્મા ને ગુરુની શિખામણ યાદ આવી એટલે પ્રશ્ન પૂછ્યો. "આટલા સુંદર પગ રાખવા માટે ઘણી મહેનત કરવી પડે. હું ક્યારેય જમીન પર ચાલતો નથી. તારા જેવો એકાદ ગધેડો રોજ અહીં આવી પહોંચે એટલે એની પીઠ પર બેસી બધે ફરું છું."

" એ વાત તો સાચી કે તમારા પગ ચોખ્ખા છે પણ આવા રૂ જેવા પોચા કેમ છે?"

" એ હું કોઈને નહીં કહું."

" પણ મારે તમારા જેવા પગ બનાવવા છે."

" પણ તો પછી તું ચાલીશ કેવી રીતે? તારા પગ ગાંડા થઈ જશે."

" તો તમે મને બીજી યુક્તિ બતાવો."

" સારું, સારું. તું મને પહેલાં તળાવ સુધી લઈ જા. મને બહુ તરસ લાગી છે. તું મારી સેવા કરીશ તો હું તને કાંઈ નહીં કરું અને આવા સુંદર પોચા પગ બનાવવાની યુક્તિ શીખવીશ."

" સારું. હું તમને હમણાં જ ત્યાં લઈ જાઉં. પણ શું કરું? તમારું વજન એટલું બધું છે અને હું નબળો છું છતાં કોશિશ કરું." કહી રામ શર્માએ રાક્ષસને ઊંચકી ચાલવા માંડ્યું. વાતવાતમાં એ જાણી લીધું કે ગમે તે કારણે રાક્ષસ ચાલી શકતો નહીં હોય એટલે એના સકંજામાંથી છૂટવું હોય તો તેને પીઠ પરથી નીચે ઉતારવો પડશે. તળાવ પાસે પહોંચ્યા એટલે રાક્ષસ નીચે ઉતર્યા વગર જ રામ શર્માને કહે "તારા થેલામાંથી લોટો કાઢ અને પાણી પીવડાવ."

રામ શર્માએ વિચાર્યું કે આ છે ઉસ્તાદ પણ વાંધો નહીં. એણે એક થેલો મોટા પથ્થર પર મૂક્યો અને તેમાંથી લોટો કાઢ્યો. પછી રાક્ષસને લઈને થેલો ત્યાં જ રહેવા દઈ તળાવને કિનારે આવ્યો. રાક્ષસ તો પીઠ પરથી ઉતરવાનું નામ ન લે. જેમતેમ કરીને રામ શર્માએ તળાવમાંથી લોટો ભરી પાણી રાક્ષસને આપ્યું. રાક્ષસે બીજું પાણી માગ્યું. બીજો લોટો પણ ભરી આપ્યો. પછી ધીમે રહી રામ શર્માએ કહ્યું "રાક્ષસ જી, કેટલું શીતળ અને ચોખ્ખું જળ છે? મને તો આ તાપ માં નહાવાનું મન થઈ ગયું છે. જો તમે થોડીવાર અહીં પાણી પર આરામ કરો તો હું પાણી લાવી દઉં પછી મને પેલી વિદ્યા શીખવો. આમ પણ શાસ્ત્રોમાં કહ્યું છે કે નવી વિદ્યા શીખતા પહેલાં સ્નાન કરી સ્વચ્છ થઈ ગુરુ પૂજા કરવી જોઈએ.

રાક્ષસે વિચાર કર્યો કે આ મૂર્ખ બરાબર ફસાયો છે. હવે મારે એનું ભક્ષણ કરવાનું છે પણ લાંબી મુસાફરીથી આવ્યો છે એટલે ગંદો થઈ ગયો છે. ભલે નહાઈને ચોખ્ખો થાય. એમ વિચારી રાક્ષસે કહ્યું "તારી વાત સાચી. તું એમ કર, મને અહીં પાળી પર બેસાડી દે જેથી હું મારા પગ પાણીમાં બોઇને ધોઈ શકું જરા રજકણો લાગી છે એ પણ સાફ થઈ જાય અને તું બરાબર નહાઈને સ્વચ્છ થઈ જા પછી આપણે ઝાડની છાયામાં જઈને જ્ઞાન વાર્તા શરૂ કરીએ."

રામશર્મા મનોમન ખુશ થયો. એણે રાક્ષસને પાળી પર બેસાડ્યો. રાક્ષસ તો પાણીમાં પગ બોળીને છબછબિયાં કરવા લાગ્યો.

રામશર્મા વિનય પૂર્વક બોલ્યો "મહારાજ, મારા કપડાનું પોટલું પેલા પથ્થર પર પડ્યું છે એ હું લઈ આવું."

" હા, જલ્દી જા અને તરત પાછો આવ."

" ભલે" કહી રામ શર્મા પહેલાં તો ધીમે પગલે પેલા પથ્થર તરફ ગયો પછી પોટલું હાથમાં આવતાં જ એણે પાછળ જોયા વગર દોટ મૂકી.  એને ભાગતો જોઈ રાક્ષસે બુમાબૂમ કરી મૂકી પણ તે ચાલી તો શકતો ન હતો એટલે શું કરે? થોડી જ વારમાં રામશર્મા દૂર નીકળી ગયો અને રાક્ષસ થી બચી ગયો.