Patanni Prabhuta - 41 in Gujarati Fiction Stories by Kanaiyalal Munshi books and stories PDF | પાટણની પ્રભુતા - ભાગ 41

Featured Books
Categories
Share

પાટણની પ્રભુતા - ભાગ 41

૪૧. વિષ્ટિ

ત્રિભુવને થોડા દિવસમાં અદ્ભુત શક્તિ દાખવી હતી; અને શહેરની વ્યવસ્થા નને રક્ષણ માટે તેણે ચાંપતા ઉપાયો લેવા માંડ્યા હતા. અલબત્ત, ખેંગારનો અનુભવ અને ઉદાના મુત્સદ્દીપણાને લીધે ઘણું કામ થયું હતું; છતાં ત્રિભુવનના જેટલી ઉત્સાહપ્રેરકતા કોઈનામાં નહોતી. લોકો તેને થઈ ગયેલા શૂરા સોલંકીઓનો મુકુટમણિ લેખવા લાગ્યા, તેના વચને પ્રાણ આપવા તૈયાર થવામાં મોટાઈ માનવા લાગ્યા. સ્ત્રીઓ તેનું કુમળું છતાં ભવ્ય મોઢું જોઈ વારી જવા લાગી; પુરુષો તેનું હિમતભર્યું અને બાહોશીવાળું ચારિત્ર્ય જોઈ કુરબાની કરવા લાગ્યા; ઘરડાઓ તેના બાપ અને માની જૂની વાતો તાજી કરી તેને પૂજવા લાગ્યાં. ડુંગર નાયક તો તેને દેવ ધારતો અને તેની પાછળ કૂતરાની નિમકહલાલીથી ફરવામાં વડાઈ સમજતો. પ્રસન્ન તેને માટે બધી વાતની તજવીજ કરવામાં તથા તેને દિલગીરી પેદા થાય તો તે દૂર કરવામાં મશગૂલ રહેવા લાગી.

પાટણના લોકોમાં ઉત્સાહ કેટલેક અંશે વધતો ગયો હતો. લોકોને આમ બારણાં દઈ બેસી રહેવાનું રુચવા લાગ્યું નહિ; કેટલાકે તો દિગ્વિજયની તૈયારીના વિચાર કરવા માંડ્યા; પણ દિગ્વિજયના હોંસીલાઓને ત્રિભુવનની દૃઢતા અને ઉદાની વ્યવસ્થાએ કેટલેક અંશે કાબૂમાં રાખવા માંડ્યા. ઉદાએ પોતાની હાલની સત્તાનો લાભ લઈ રાજ્યતંત્ર પાછું હતું તેવું ચલાવવાનો પ્રયત્ન કર્યો; અને લોકોમાં એક જ મહત્ત્વાકાંક્ષા હોવાથી તેને ઘણે ભાગે ફત્તેહ મળી. એ બેની રાત અને દિવસની અથાગ મહેનતથી કરેલી ગોઠવણોને લીધે લોકોને ગેરવ્યવસ્થાનો જે ડર હતો, તે દૂર ચાલ્યો ગયો; અને નીડરપણે સ્વસ્થતાથી પાટણની રાણીની સામે થયું.

ત્રિભુવનને ખબરો આવતી, તે ઉપરથી તેને જણાયું કે રાણી હાલ કાંઈ પણ કરે એમ નથી; એટલે તેણે બેઠાં બેઠાં પાટણની સત્તા કેમ વધારી શકાય તેના વિચારો કરવા માંડ્યા. સવારે તે ઊઠ્યો ત્યારે માબાપનો શોક છતાં તેનું મન પ્રફુલ્લ હતું. તેના મહત્ત્વાકાંક્ષી મનને ભરતખંડ જીતવું પણ સહેલ લાગ્યું. સૂતકને લીધે નિત્યકર્મ કાંઈ નહિ હોવાથી તેણે નાહીને બહાર નીકળવાનો વિચાર કર્યો, પણ હજુ સૂર્યોદયને જરા વાર હતી. તેણે ઉંદાને બોલાવી થોડીઘણી મસલત કરી અને પોતાને માટે હાથી મંગાવવાનો હુકમ આપ્યો.

'બાપુ ! બધા લોકો એકની એક વાત કરી રહ્યા છે.' ઉદાએ દુપટ્ટાની ગડી ફરતાં કહ્યું.

'શાની વાત ?'

‘આપની,' ઝીણી આંખો કરી મારવાડી બોલ્યો. પણ શાની વાત ?' ઉંદાની વાત કરવાની ખૂબી પર જરા હસતાં ત્રિભુવને કહ્યું.

'કેમ, તમને – પણ મહારાજ, ગુસ્સે નહિ થશો.'

'વારું. પણ કહે તો ખરો.'

'તમને બધા ઠપકો દે છે,'

'શા માટે ?'

'કાલે મેં વાત કરી તે માટે.'

'ઉંદા ! તું ગમે તેટલું ચાતુર્ય વાપર, પણ હું એકનો બે થવાનો નથી. જે વચન મારા દાદાએ આપ્યું, તે હું ઉથાપવાનો નથી. પાટણની ગાદીએ કર્ણદેવ મહારાજનો છોકરી હયાત છતાં હું ચઢું ? ગાંડા ! તે કેમ બને ? પાટણનો પતિ તો તે જ, હું તેનો દાસ.'

'આમાં ને આમાં –'

'જો પાછી એ વાત લંબાવી, કહી તે ફરવા જતો હતો, એટલામાં એકદમ એક નોકર હાંફળોફાંફળો આવ્યો અને કોની સાથે વાત કરે છે, તે વીસરી પૂછવા લાગ્યો : 'ખેંગાર બાપુ છે ? ખેંગાર બાપુ?'

એક દૃષ્ટિપાતે ત્રિભુવને તેને ડાર્યો અને વિનયી બનાવ્યો, 'કેમ ? આટલી ધાડ શું આવી છે ? તે કોણ છે ?'

'મહારાજ ! મહારાજ ! હું પહેરેગીર છું. મોઢેરી દરવાજા પર...' કહી તે થોડી વાર શ્વાસ લેવા થંભ્યો. સખ્તાઈથી ત્રિભુવન સાંભળી રહ્યો. 'બાપુ ! ખેંગાર મહારાજને કહેવા આવ્યો હતો, કે દરવાજા બહાર નગરશેઠ આવ્યા – પધાર્યા છે.'

‘નગરશેઠ ? ત્રિભુવન અને ઉંદો બંને જાણે નીચેથી ધરતીએ માર્ગ આપ્યો હોય, તેમ ખસીને બોલ્યા.

'હા, બાપુ ! મુંજાલ મહેતા.’

બંને સાંભળનારા ગભરાટમાં ફિક્કા પડવા ત્રિભુવન મહામુશ્કેલીએ શાંત થયો. ‘લશ્કર લઈ ? કેટલું માણસ સાથે છે ?'

'ના, બાપુ ! એકલા.'

'હેં?'

'હા. કહે છે કે આપને મળવું છે; રજા હોય તો અંદર આવે, નહિ તો આપ બહાર આવી જાઓ.'

'ઉદા ! જા, ખેંગારસિંહને બોલાવ.'

ઉંદો ખેંગાર મંડલેશ્વરને તેડવા જતાં જતાં વિચાર કરવા લાગ્યો. તે પણ એકદમ ગભરાઈ ગયો હતો, પણ તેની નિર્મળી સ્વાર્થબુદ્ધિ તરત મદદે આવી. મુંજાલ ગામમાં આવ્યો તો બધો ખેલ ખલાસ થઈ જવાનો; તેનું વ્યક્તિત્વ, તેનું વાક્ચાતુર્ય, તેની હોશિયારી બધાને તાબે કરશે. હવે કરવું શું ? ખેંગાર મળ્યા ત્યાં સુધીમાં તેણે એક યોજના ઘડી કહાડી હતી.

'બાપુ ! બાપુ ! કોટ બહાર મુંજાલ મહેતા આવ્યા છે; ત્રિભુવન મહારાજને મળવાની રજા માંગે છે. તમે ચાલી, મહારાજ બોલાવે છે.'

'હેં?' ખેંગારે કહ્યું, ‘રાણીએ મોકલ્યો હશે.'

'હા, પણ જોજો, એ કાંઈ ઊંધું નહિ વેતરે, મહા મુત્સદ્દી છે.'

'અરે વેતર્યું, વેતર્યું, ડોસાએ મૂછો તાણતાં કહ્યું; એમ કાંઈ સહેલી વાત છે ?'

'નહિ તો બાપુ 'એમ કરજો ત્રિભુવનપાળને ગામ બહાર વાત કરવા જવા દેજો; મુંજાલ મહેતાને ગામમાં બોલાવશો નહિ.'

'જા રે, ગાંડા ! મુંજાલ મહેતો કોઈ દિવસ પાટણને લાંચ્છન લાગવા દે નહિ,’

એમ કહેતાં ખેંગાર મંડલેશ્વર ત્રિભુવન પાસે આવી લાગ્યા : ‘કેમ ખરું કેની?' તેને સંબોધી ડોસો બોલ્યો, મુંજાલ મહેતા આવ્યા, તો બોલાવો અહીંયાં.'

'હા, હું તે જ વિચાર કરતો હતો.'

'મહારાજ !' ઉદાએ પોતાની વાત પાછી આગળ ધરીઃ આપ કોટ બહાર મળવા જાઓ તો કેમ ?'

'શું કામ ? મહેતા પણ પાટણના છે, અને વાત કરી પાછા ચાલ્યા જશે,' ત્રિભુવને કહ્યું.

ઉદાએ નિસાસો મૂક્યો. તેને મન આ બધા મૂર્ખાઈભરેલું ડગલું ભરતા હતા.

'ઠીક, બાપુ !'

ખેંગારકાકા ! આપ કહેતા હો તો મારો હાથી મોકલીએ. નગરશેઠના મોભાને શોભે એવો આવકાર દેવો જોઈએ.’

'પણ સાથે કોઈ માણસ અંદર નહિ આવે,' ખેંગારે કહ્યું.

'ના, એ તો આ દરવાન કહે છે કે મહેતા સાથે કોઈ નથી.'

'ઠીક ત્યારે મોકલો. કહેતા હો તો હું જાઉં,' ખેંગારે કહ્યું. ઉદો વધારે વિચારમાં પડ્યો. નગરશેઠના નામની જાદુઈ અસર થવા માંડી હતી.

'હું પણ જાઉં ?' તે વચમાં બોલી ઊઠ્યો. આવો લાગ તે ચૂકે એવો નહોતો.

'હા' કહી ત્રિભુવન ત્યાં રહ્યો અને ખેંગાર અને ઉદો ગયા. થોડીક પળ વીતી અને વાત સાંભળી પ્રસન્ન દોડતી આવી. મુંજાલ મહેતા આવે છે,’ સાંભળી રાજગઢમાં ખળભળાટ થઈ રહ્યો હતો.

'હેં, ખરી વાત ?'

‘હા, કેમ ? તેમાં આટલી ગભરાય છે શું ?'

'જોજો. તમારું વ્રત નહિ તોડાવે.’

‘જરાય ગભરાઈશ નહિ,’ ત્રિભુવને મગરૂરીમાં જવાબ દીધો : ‘હું અડગ છું.'

ક્યાંય સુધી બે જણ મૂંગાં મૂંગાં એકમેકની સામે ટીકી ટીકીને જોઈ રહ્યાં. મુંજાલને મળવાની આતુરતામાં અને અધીરાઈમાં બેમાંથી કોઈ કાંઈ વાત કરી શક્યું નહિ. એટલામાં એકબે સામંતો આ ખબર સાંભળી આવી લાગ્યા. ઘણા થોડા વખતમાં ને ઘણી વધારે અધીરાઈ અનુભવ્યા પછી, રાજગઢમાં થોડા લોકો આવતા સંભળાયા. ત્રિભુવન ઓટલા પર ગયો. મુંજાલ, ખેંગાર, ઉંદો અને રસ્તે જે જે મળ્યા હતા, તે બધા પગે ચાલીને આવતા હતા.

મુંજાલનો પહેરવેશ તદ્દન સાધારણ અને મેલો હતો. જે વેશે તેને કેદમાં પૂરવામાં આવ્યો હતો તે જ વેશે તે અહીંયાં આવ્યો હતો. તેના ઊંચા ઘાટીલા શરીરમાં જરા ખૂંધ જણાતી હતી; માથાના મરોડમાં પહેલાં કરતાં ગર્વ જરા ઓછો અને નમ્રતા વધારે દીસતી હતી. આંખોના તેજમાં સત્તા નીકળી ગઈ તિરસ્કાર વધારે સ્પષ્ટ થતો હતો. તે ડગલાં પહેલાંના જેવાં જ ભરતો હતો, દૃઢ અને સત્તાદર્શક; તેનું વ્યક્તિત્વ પહેલાંના જેવું જ શોભતું હતું, તેજસ્વી અને બધાથી નિરાળું,

ત્રિભુવન એકદમ લેવાને આગળ ગયો. તેના મનમાં કાંઈ કાંઈ ઉમળકા આવ્યા હતા; તેણે અભિમાની મંત્રી, મુત્સદ્દી, નગરશેઠ અને રાણીનો માનીતો મુંજાલ જોવાની આશા રાખી હતી. તેને બદલે સાધારણ માંગણિયો અરજ ગુજારવા આવે, તેમ તે આવ્યો હતો. તેમાં ત્રિભુવનને મુંજાલના શબ્દો સાંભર્યાં : ‘ત્રિભુવન ! મારા ખાલી હૃદયની આશા પૂરશે ?' એ શબ્દો સાંભળતાં તે બધું ભૂલી ગયો; માત્ર પોતાના મામા કે જેને આખરે રાણીએ કેદ કર્યા, તે મામાને જોઈ રહ્યો. ત્રિભુવન દોડ્યો અને મુંજાલને ભેટી પડ્યો. 'મામા !' બોલતાં તેની આંખમાં આંસુ આવ્યાં. મુંજાલની આંખ તેવી ને તેવી સ્થિર રહી.

ત્રિભુવન તેને ઓરડામાં લઈ ગયો અને બેસાડ્યો. 'મામા ! આ તસ્દી કાંઈ તમે લીધી?'

'ત્રિભુવન ! તું જાણી તો ગયો હશે, કે શા કારણે હું આવ્યો છું. પણ હું રાણી તરફથી નથી આવ્યો, મારે પોતાને લીધે આવ્યો છું. તમે કોઈ એમ ધારતા હશો, કે હું પાટણની ટેક તોડવા આવ્યો છું તો તેયે વાસ્તવિક નથી. હું તમારામાંના એકબે આગેવાનોની જોડે વાત કરવા આવ્યો છું. મારે એકબે વાત કહેવી છે; અને તે સાંભળશો તો પાટણનું ગૌરવ વધારે સચવાશે.' મુંજાલે ધીમે ધીમે ગમગીનીભર્યા અવાજે વાત કરવા માંડી.

‘મહેતા !' ખેંગારે કહ્યું : ‘તમારું બધું સાંભળવા ખુશી છીએ. અમે કાંઈ મજાકમાં બધું આરંભ્યું છે ? જે કહેવું હોય, તે સુખેથી કહો.'

‘હા, પણ આમ નહિ. આપણે ત્રણચાર જણ બેસીએ. કેટલીક વાતો ચકલેચકલે થાય, તે કામની નહિ.'

'બરોબર છે. ઠીક, ખેંગારકાકા !' ત્રિભુવને કહ્યું, ‘વસ્તુપાલ શેઠને બોલાવીશું તો ચાલશે. તે, તમે, હું અને ઉદો.’

'બરોબર છે.'

'ચાલો, આપણે ઉપર જઈએ,' ત્રિભુવને કહ્યું. બધા ઊઠ્યા અને દાદર તરફ ગયા. મુંજાલની તીક્ષ્ણ નજર પ્રસન્ન દોડતી બાજુના ઓરડામાં સંતાઈ ગઈ, તેના પર પડી.

‘કોણ, પ્રસન્ન ?' દૃઢતાથી નજર ફેરવી મુંજાલે કહ્યું.

‘હા, પ્રસન્ન છે.' ત્રિભુવને કહ્યું, 'બોલાવું ? પ્રસન્ન ! ઓ પ્રસન્ન ! મામા બોલાવે છે.'

તરત હસતી, શરમાતી પ્રસન્ન નીચું જોતી આવી અને ઊભી રહી. 'કેમ છે ? તું રાણીને મળી હતી, નહિ ? તું પણ ચાલ. તમને કોઈને વાંધો તો નથી ?'

'ના રે, ના,' ખેંગારે કહ્યું. થોડા દિવસના અનુભવે તે ડોસા પણ પ્રસન્ન પાછળ ગાંડા ગાંડા થઈ ગયા હતા. ચાલ, પ્રસન્ન !'

પાંચે જણાં ઉપર ગયાં અને મૂંગાંમૂંગાં બેઠાં. થોડી વારે વસ્તુપાલ શેઠ આવ્યા; અને તેમના ગભરાટનો પાર નહિ રહેવાથી મુંજાલની તબિયતની ખબર પૂછવા માંડી.

‘વસ્તુશેઠ ! તબિયત હવે કોને ? છેલ્લા પાંચ દિવસમાં તો કાંઈ કાંઈ જુગ મારા ૫૨ વહી ગયા. આ બધું પતે તો હું તો આબુજીને શરણે જવાનો છું. દુનિયાના બહુબહુ લહાવા મેં લઈ નાંખ્યા,' મંદ દયાજનક હાસ્ય મોઢા પર લાવી મુંજાલે કહ્યું : છેલ્લો છેલ્લો તમે પણ આપ્યો,' ખેંગાર અને ત્રિભુવન તરફ ફરતાં તેણે કહ્યું.

'શો ?' બન્નેએ સાથે પૂછ્યું.

'હું જાણતો હતો. હું હંમેશાં કહેતો કે પાટણ જીવતુંજોત શહેર છે; એને છેડવાથી કોઈનું ભલું થવાનું નથી. એ તમે સિદ્ધ કરી આપ્યું. ત્યારે તમને આ બધું પસંદ છે ?' વસ્તુપાલે પૂછ્યું.

'પસંદ ? જ્યારે મેં સાંભળ્યું કે પરદેશીઓનાં પગલાં સાંભરી પાટણ એકી અવાજે સામે થયું છે ત્યારે મારું જીવન મેં સાર્થક લેખ્યું આ ભૂમિ દેવતાઈ છે. એના વીરપુત્રો દેવાંશી છે, તેની મને ત્યારે જ ચોક્કસ ખાતરી થઈ. કહેતાં તેણે ગર્વમાં માથું ઊંચક્યું. તેના ફિક્કા પણ સ્વરૂપવાન મુખ પર પહેલાનું ગૌરવ દીપી રહ્યું હોય એમ સૌને લાગ્યું

'મામા ! શું આ બધું તમને ગમે છે ? ત્યારે તમે શું કહેવા આવ્યો છો?' ત્રિભુવને પૂછ્યું.

'ભાઈ ! લોકોને જે કહેવું હોય તે કહે, પણ મેં તો આટલાં વર્ષ પાટણને ચક્રવર્તી બનાવવાના જ વિચાર કર્યા કર્યાં છે. આ બધું મને ગમે છે, તમારી દૃઢતા, તમારી વીરતા નીરખી મારું હૈયું વૈતવેંત ઊંચું આવે છે; અને આવ્યો છું તો એટલું જ કહેવા કે હવે જે કરો તે વિચાર કરીને કરજો. આ પળે ભૂલ કરશો તો તમારું નગર પડ્યા વિના રહેવાનું નથી.'

'કેવી રીતે ?' ખેંગારે પૂછ્યું. મંડલેશ્વર ! મારી એક વાત સાંભળી લો, પછી હું બીજું કહું. રાણીએ મને મનાવવા આવવા કહ્યું, પણ મેં ના પાડી; પાછળથી મારા હ્રદયે મને પ્રેર્યો; અને હું આવવા તૈયાર થયો, તે માટે ખાતર નહિ, રાણીને ખાતર નહિ, પણ પાટણને ખાતર.

'તેમ કેમ ?'

'ખેંગારર્સિંહજી ! તમને આ પળની કિંમત છે ? નથી. હું જાણું છું. તમને ખબર છે, કે પંદર વર્ષ હું મૂંગે મોઢે કેમ બેસી રહ્યો અને કાંઈ કરી શક્યો નહિ ? કારણ કે તે પળ આવી નહોતી. આજે કેટલાં વર્ષો થયાં બધા પાટણની મહત્તા માટે તલસી રહ્યા હતા, છતાં કોઈ કેમ કાંઈ નહિ કરી શક્યા ! કારણ કે આ પળ નહોતી આવી. મને કાંઈ સમજ નથી પડતી,' ત્રિભુવને કહ્યું.

'ત્રિભુવન ! તને ખબર છે કે પાટણ વિશ્વનો મુકુટ ક્યારે થઈ રહે ? જે ઉત્સાહ એકલા પાટણમાં અત્યારે છે, તે આખું ગુજરાત ઝીલે ત્યારે. એક ચપટીમાં ભીમદેવે પાટણ પાછું મેળવ્યું; તેનું શું કારણ? આખા દેશમાં એ પ્રેરણા થઈ તેથી. આપણા બધા લોકો ઊઠીને ઊભા થવા જોઈએ; આપણી તામ્રચૂડની ધ્વજા પાછળ આખી પ્રજા આવવી જોઈએ. એ ઉત્સાહ આટલાં વર્ષ આવ્યો નહિ; હવે આવશે.'

'કેમ ?' ત્રિભુવને પૂછ્યું.

'તું બાળક છે. જૂના વિરોધો તેં જોયા નથી : આ બધા જાણે છે. પાટણને ખંડણી આપનારમાં કેટલા વિરોધો છે ? ત્રિભુવન ! બાર મંડલેશ્વરો – તારા બાપ, ખેંગારસિંહજી, મદનપાળ અને વલ્લભસેન – એ ચાર જણ પાટણ આવવાની તસ્દી પણ લેતા; બાકીના બધા પોતાનાં મંડલોમાં મજાહ કરે છે. આપણાં બાવન શહેર ગણાય છે, તેમાં આપણાં જોઈએ તો મોંઢેરા, કર્ણાવતી ને બહુ તો સોમનાથ અને પાટણ. બાકીનાં બધાં ક્યાં છે ? બધાંએ પાટણની સરદારી સ્વીકારી છે, પણ નામની.'

'મારા બાપુ પણ એ જ કહેતા હતા.'

'ભાઈ! તારા બાપુના ઉદ્દેશો મોટા હતા; પણ તેમનો સ્વભાવ ઘણો ઉતાવળિયો હતો. દરેક મંડળ સ્વતંત્ર રાખી પાટણની સત્તા વધારવી હતી; તે કેમ બને ? તે થયું. પછી અમારા શ્રાવકોની પંચાત પાછી નડતી. વિમલશાહે સ્થાપેલી સત્તા પાછળ તેઓ ગાંડા થઈને ફરતા; એટલે જ્યાં ત્યાં તેમને તે જોઈએ.'

'ત્યારે તમે શું ધારતા હતા ?'

'હું બધામાંથી રસ્તો કાઢવાનો પ્રયત્ન કરી થાકી મરતો. જ્યાં સુધી મારું ચાલ્યું ત્યાં સુધી બધું સીધું રાખ્યું. મારો ઈરાદો જુદો હતો. મારે પાટણના નરપતિનો મોભો વધારી તેનો ડંકો આખા દેશમાં વગડાવવો હતો. જ્યાં સુધી એક હાથમાં સત્તા હોય નહિ ત્યાં સુધી રાજ્ય ચાલે નહિ.'

'એ તો મીનળકાકીનો અભિપ્રાય.' ત્રિભુવને કહ્યું.

ના, તારી ભૂલ છે. તેને સત્તા જોઈતી હતી; અને તે કોઈ પણ રસ્તે. તેનાં પરિણામ આજે તે ચાખે છે. તે સત્તાને ખાતર તો તેણે ચંદ્રાવતીના લશ્કરની મદદ માંગી.'

‘અને આનંદસૂરિને રાખ્યો,' ઉદાએ કહ્યું.

'એ જિત ઘણો જબરો છે. એના સિદ્ધાંત ભયંકર છે. એને જૈન ધર્મના વિજય પર પાટણનું રાજ્ય રચવું છે.'

'તે કેમ બને ?'

વસ્તુપાળે કહ્યું, તે વૈષ્ણવ વણિકોના આગેવાન હોવાથી શ્રાવકોની સત્તાની વિરુદ્ધ હતા.

'કેમ શું ? એમાં મૂર્ખાઈ નથી. ધર્મની શક્તિ પર રાજ્ય રચવાથી એક દશ વર્ષમાં આપણે આખો ખંડ જીતીએ, પણ આપણી સ્થિતિ એવી નથી; તેમ જૈન ધર્મમાં એટલું ઝનૂન નથી.'

'ત્યારે તમે કેમ કરવા માંગતા હતા ?' ખેંગારે પૂછ્યું. મારો એક જ રસ્તો હતો. બેચાર મંડલેશ્વરો જો સાથે થાય તો આખા ગુજરાતનું લશ્કર ભેગું કરી માળવા પર ચડાઈ કરવી; અને ચડાઈમાં સામેલ ન થાય તેને તાબે કરવા. હું તમને તે જ કહેવા આવ્યો છું.'

'શું ?’

'કે જે સમય માટે મેં, મંડલેશ્વરે, દરેક પટ્ટણીએ ઝંખ્યા કર્યું, તે આવ્યો છે. પાટણ ત્રિભુવનને પૂજે છે; દેહસ્થળી ને વલ્લભસેન એનાં છે. ભીમદેવ મહારાજે પાટણ પાછું લીધું ત્યાર પછી કેટલે વર્ષે બધામાં એક ઉત્સાહ આવ્યો છે ! બધા એક માણસનો બોલ ઉઠાવવા તૈયાર છે. જો તે માણસ સમયનો સદુપયોગ કરે તો પાટણનો ડંકો દિગંતો સુધી સંભળાય.' ધીમે ધીમે મુંજાલના શબ્દોની શક્તિથી તેના મોઢા પર તેજ આવવા માંડશું. તેની અપૂર્વ કાન્તિ વધારે તેજસ્વી થવા માંડી,

'બરોબર છે, બરોબર છે,' ઉંદાએ કહ્યું, મને પણ એ જ વિચાર આવે છે.'

‘વિચારનું કામ નથી,’ મુંજાલે પ્રભાવથી ધ્રૂજતે અવાજે કહ્યું; 'દરેક પળ જાય છે, તે સોનાની જાય છે; એક મહિનો આમ ને આમ પડી રહેશો તો ઉત્સાહ ચાલ્યો જશે. મેં સાંભળ્યું હતું કે પાટણ આખું ઊલટીને રાજગઢ આવ્યું હતું; તેને થંભાવો નહિ, પાટણને આગળ વધવા દો; તે પ્રવાહના મહા તરંગોને અવંતી સુધી તો પહોંચાડો !'

'અમારે તે જ કરવું છે; પણ કેવી રીતે ?” ઉદાએ પૂછ્યું.

ખેંગાર અને ત્રિભુવનના હૃદયમાં તો વીરતાનો અને આકાંક્ષાનો ઝણકાર થવા લાગ્યો.

'કેવી રીતે તે વિચારો. તમે બધા પ્રતિજ્ઞા લઈને બેઠા છો, કે મીનળદેવીને અહીં આવવા નહિ દેવાં. જો એ પ્રતિજ્ઞા તમારે જાળવી રાખવી હોય તો બે જ રસ્તા છે.’

‘શા ? ત્રિભુવને પૂછ્યું.

'ક્યાં તો આમ ને આમ પડી રહો; તો તમારો ઉત્સાહ ચાલ્યો જશે; નહિ તો ત્રિભુવન ગાદી પર બેસી આણ વર્તાવ.’

'હું ? હું એ કદી નહિ કરું.' જોરથી ડોકું ધુણાવી ત્રિભુવને કહ્યું; ‘મારા દાદાનું વચન હું તોડું?'

'પણ ધાર કે તું ન કરે, તો રાણી, જે આજે એક પણ મિત્ર વગરની છે, તેના પચ્ચીશ મિત્રો ઊભા થશે; ગુજરાતમાં માંહ્યોમાંહ્ય કાપાકાપી થશે; અને કાલે ઊઠીને પટ્ટણીઓ પણ થાકશે. તમારો ઉત્સાહ બધો પાણીમાં જશે અને પાટણની પ્રભુતા પાટણમાં જ સમાઈ જશે.'

'પણ ત્યારે કરવું શું ?' ખેંગારે વિચાર કરતાં કહ્યું,

'કરવામાં તો માત્ર એક જ વસ્તુ બને એમ છે. જયદેવકુમારને ગાદીએ બેસાડવો.' મામા ! મામા ! તમારી વાત હું સમજ્યો. અમારી પ્રતિજ્ઞા ધૂળધાણી કરવા માંગો છો ? અમે મીનળકાકીને પાછાં આવવા દઈએ અને ચંદ્રાવતીના સૈનિકોને પાટણમાં ફરવા, પેરાવા દઈએ ? એકદમ ઊકળી જઈ ત્રિભુવને કહ્યું,

'ના, તે મેં ક્યાં કહ્યું ? ચંદ્રાવતીના સૈનિકોને પાછા કહાડીએ; એટલું જ નહિ પણ ચંદ્રાવતી પાસે ખંડણી લઈએ, તેના સૈનિકોને આપણા દુશ્મનો સામે મોકલીએ. પણ ક્યારે બને ? પાટણની પડખે તેનો રાજા હોય અને સાથે ત્રિભુવન હોય તો.'

‘તે કેમ બને ? મીનળકાકીએ જયદેવકુમા૨ને મોકલવાની તો ના પાડી.’ મીનળદેવી તો કાલે સવારે સતી થવા તૈયાર છે; અને તે સતી થશે તો પછી જયદેવકુમા૨ને તરત તમે રાજા તરીકે સ્વીકારશો ? પછી તમારી પ્રતિજ્ઞામાં વાંધો આવે?'

‘ના.' ખેંગારે કહ્યું.

'પણ તેમ કરવાનાં પરિણામ ખબર છે ? પછી તમારા રાજાનાં અને પાટણનાં હ્રદય કદી એક થવાનાં નથી. જયદેવના મનમાં માનુ મૃત્યુ હંમેશાં સાલશે; અને તેને તમારે લીધે મરવું પડ્યું તે એ કદી ભૂલશે ? પછી તમે એકતાનતા ક્યાંથી લાવશો ? રાજ્ય કેવી રીતે વધારશો ?' બધાએ એકમેકની સામે જોયું.

'હું ફરીથી કહું છું, કે પાટણને માટે મને પ્રેમ છે તો હું આટલું કહેવા આવ્યો છું; જે ઉત્સાહ અત્યારે તમારામાં પ્રસર્યો છે, તેનો ઉપયોગ કરવો હોય, જે સંકલ્પો ભીમદેવ મહારાજના, કર્ણદેવ મહારાજના, તારા બાપુના અને મારા હતા; તેને મૂર્તિમંત કરવા હોય, અને ગુજરાતમાં પાટણની સત્તા પૂરીપૂરી રીતે બેસાડવી હોય, તો એક જ રસ્તો છે – રાણીને અને જયદેવકુમારને પાછાં સ્વીકારો. એમને આ શિક્ષા ઓછી છે ?'

'પણ ચંદ્રાવતી –’

‘તમે આટલું સ્વીકારતા હો, તો તેનો રસ્તો બતાવવો એ મારું કામ. ચંદ્રાવતીનું લશ્કર ? રાણીને, જોઈએ તો, કહાવો કે ચંદ્રાવતીનું લશ્કર પાછું રવાના કરે. મા ને દીકરો એકલાં પાટણમાં આવે, તો બારણાં ઉઘાડજો. પાટણની રાણીને એ ઓછી નાલેશી છે ?'

‘પણ અમારી પ્રતિજ્ઞા ?' ખેંગારે પૂછ્યું.

'મંડલેશ્વર ! રાજ્યકાર્યભારમાં મુદ્દા સાચવવાના હોય છે, માત્ર પ્રતિજ્ઞા નહિ, પાટણનું સ્વાતંત્ર્ય રહે, ચંદ્રાવતી અને રાણી મૂર્ખ ઠરે, તમારી પીડા જાય, તમારી સત્તા વધે; એ બધું વધારે કે ગુસ્સામાં લીધેલી પ્રતિજ્ઞાના બોલ વધારે ?

‘મામા ! મારું વેણ ? મારી ટેક ?'

‘ભાઈ !' અભિમાનથી માથું ઊંચું કરી મુંજાલે કહ્યું : 'તારા બાપે ભૂલ કરી, તેવી તું નહિ કરતો. ટેક પહેલી, પણ કોની ? તારા એકલાની નહિ, તારા પાટણની પાટણની ટેક શામાં રહે ? વિચાર કર. એક પળમાં આખી જિંદગીનું ધારેલું સિદ્ધ થાય તેમાં, કે એક પળનો નિશ્ચય આખી જિંદગીના આશયો ભાંગી નાંખે તેમાં ? પહેલું પાટણ, પછી પટ્ટણી.’

'મુંજાલ મહેતા !' ખેંગારે કહ્યું : તમારા બોલ લાગે છે તો વાસ્તવિક, પણ આ વાત ગામના બધા આગેવાનોની આગળ મૂકવી જોઈએ. નહિ તો અમારા પર આળ આવે.’

'તે હું ક્યાં ના કહું છું? પટ્ટણીઓની સદ્બુદ્ધિમાં મને ભરોસો છે. રાજ્યનીતિમાં ગુસ્સો રાખનારનું કોઈ દિવસ ભલું થયું છે ? પહેલાં રાણીને જીતો, ચંદ્રાવતીને જીતો, એટલે ગુજરાત તમારું થશે અને આખી દુનિયા તમારા પગ આગળ આવીને નમશે.'

'પણ, શેઠજી !' ઉદાએ કહ્યું : રાણી આવીને બધાને છૂંદવા માંડે તો ? કરેલા ગુના તે કદી ભૂલતાં નથી.’

‘તે મને ખબર છે. પણ ત્રિભુવન દંડનાયક થશે; વલ્લભ સેનાધિપતિ થશે; અહીંયાં તમે કોઈ મંત્રી થશો; પછી શું કરવાનું બાકી રહે ? પણ ત્રિભુવન ! તુંકેમ બોલતો નથી ? તારો શો વિચાર છે ?'

'હું શું કહું ? મારી પ્રતિજ્ઞા દૃઢ છે; છતાં તમારી વાત સત્ય છે, તેમાં પણ વાંધો દેખાતો નથી. પાટણને જે કરવું હોય તે કરે.'

‘ના, એમ છેલ્લે પાટલે શું કામ બેસે છે ?'

'ના, હું ક્યાં મારે લીધે પાટણનો લાગ જવા દઉં છું ? ઉદા ! જા, દાંડી પિટાવ,કોઈને પણ અસંતોષનું કારણ મળવું નહિ જોઈએ.’

‘નહિતો.’ વસ્તુપાલે કહ્યું; 'ચાલો ત્યારે, અમે હેઠળ જઈ બેસીએ. પછી બધાને વાત કરી તમને બોલાવીશું.’

‘ઠીક, મારે વાંધો નથી,' કહી મુંજાલ બેઠો.

ખેંગાર, ઉંદો અને વસ્તુપાલ હેઠળ ગયા.