70 થી પણ વધુ વય વટાવી ગયેલા આઘેડ શામજીભાઈએ આંખો બંધ કરી, જાણે એ 1852ની એ કાળી રાતને પોતાની નજર સામે જોઈ રહ્યા હોય. એમને ધ્રૂજતા અવાજે વાત આગળ વધાર્યું:
"બેનબા , આ વિરાજ મહેલ અને આનંદપુરની ગાદી પાછળ બહુ મોટો લોહીયાળ ઈતિહાસ છે. આ આનંદપુર મૂળ તો જહાંનઅલી ખાનના વડીલોએ રાજપૂતો પાસેથી છળ-કપટથી જીતેલું હતું. પોતાની હારેલી માતૃભૂમિને પાછી મેળવવા માટે રાજપૂતો અંદર જ અંદર સળગી રહ્યા હતા. બરાબર ૩૫ વર્ષ બાદ, રાજપૂતોએ આસપાસના રાજ્યોને ભેગા કરી એક અતિ શક્તિશાળી અને વિશાળ સૈન્ય તૈયાર કર્યું અને આનંદપુર પર ચઢાઈ કરી દીધી!
એ રાત્રે આકાશમાં કાળા ડીબાંગ વાદળો ઘેરાયેલા હતા, ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો અને વીજળીના કડાકા-ભડાકા થતા હતા. રાજપૂતોના એ શક્તિશાળી સૈન્યને ખાળવા અને પોતાની ગાદી બચાવવા માટે રાજા જહાંનઅલી ખાન પોતાના વફાદાર સૈનિકો સાથે તાબડતોબ મહેલની બહાર મેદાનમાં નીકળી ગયા. બસ, મહેલમાં હાજર પેલી ત્રણેય રાણીઓ માટે આ સોનેરી તક હતી. યુદ્ધની અફરાતફરીનો લાભ ઉઠાવી, ઈર્ષ્યાની આગમાં અંધ બનેલી એ રાણીઓએ મહેલના જ અમુક ગદ્દાર સૈનિકોને પૈસાની લાલચ આપી પોતાના વશમાં કરી લીધા.
મુસળધાર વરસાદ અને યુદ્ધના નગારાના અવાજમાં સુહાના બેગમની મસૂમ ચીસો દબાઈ ગઈ. એ ગદ્દાર સૈનિકોની મદદથી રાણીઓએ સુહાના બેગમને પકડી લીધા. એ જ કાળી રાતે, મહેલની નીચે આવેલા અંધારિયા ભોંયરામાં રાતોરાત એક નાની સુરંગ ખોદવામાં આવી. સુહાના બેગમ કરગરી રહ્યા હતા, પોતાના નિકાહના સોગંદ આપી રહ્યા હતા, પણ પેલી ત્રણેય રાણીઓના દિલ પથ્થર બની ગયા હતા. એમને જીવતી જ સુહાના બેગમને એ સુરંગમાં ધકેલી દીધી અને એ સૈનિકો પાસે સુરંગનું મોઢું ઈંટો અને પથ્થરોથી ચણીને હંમેશા માટે બંધ કરાવી દીધું! એ અંધારી, ભેજવાળી અને કાળી સુરંગમાં સુહાના બેગમ ભૂખ, તરસ અને શ્વાસ રૂંધાવાથી તડપી-તડપીને મરી ગયા. મરતાં પહેલાં એમના મોઢામાંથી આખા મહેલ માટે એક ભયાનક શ્રાપ નીકળ્યો કે, 'આ મહેલમાં કોઈ ક્યારેય ખુશ નહીં રહી શકે, અને જે કોઈ મારા આ રહસ્યને અડવાની કોશિશ કરશે, તેનું લોહી પણ આ ભોંયરાની દીવાલો પી જશે!'
બીજી તરફ, રાજા જહાંનઅલી ખાને રણમેદાનમાં બહાદુરી પૂર્વક લડીને રાજપૂતોના એ શક્તિશાળી સૈન્યને હરાવી દીધું અને આનંદપુર પર વિજય મેળવ્યો. રાજા જીતના ઉત્સાહ સાથે, લોહીથી ખરડાયેલી તલવાર લઈને વિરાજ મહેલમાં પાછા ફર્યા. એમને લાગ્યું કે સુહાના એમના વિજયની આરતી ઉતારશે... પણ મહેલમાં પગ મૂકતા જ એમના પગ નીચેથી જમીન સરકી ગઈ! પેલી ત્રણેય રાણીઓએ રડવાનો ઢોંગ કરતા કહ્યું કે હુમલાની અફરાતફરીનો ફાયદો ઉઠાવીને સુહાના બેગમ કોઈ બીજા સાથે ભાગી ગયા છે.
રાજા પોતાની એ ચહેતી રાણી, એના પ્રેમમાં પાગલ હતા. આ જૂઠ સાંભળીને રાજા ભાંગી પડ્યા. જે રાજા રણમેદાનમાં કદી નહોતો ધ્રૂજ્યો, એ પોતાની રાણીના મોતના (ગેરહાજરીના) ગમમાં બાળકની જેમ રોવા લાગ્યો. રાજા દિવસ-રાત સુહાનાના વિરહમાં, એની યાદમાં રોઈ-રોઈને તડપતા રહ્યા. એમને અન્ન-જળનો ત્યાગ કરી દીધો. એ અસહ્ય દુઃખ અને વેદનામાં જ થોડા દિવસોમાં રાજાનું કરુણ મૃત્યુ થઈ ગયું. રાજાને ક્યારેય ખબર જ ના પડી કે જેને એ મહેલની બહાર શોધી રહ્યા હતા, એ તો મહેલના જ ભોંયરામાં જીવતી ચણાઈ ગઈ હતી!"
શામજીભાઈ આટલું બોલીને અટક્યા એટલે મેં એમના ચહેરા સામે જોયું. એમના કપાળ પર પરસેવાના ટીપાં હતા. મારા મનમાં એક સવાલ ક્યારનોય મૂંઝવતો હતો, એટલે મેં પૂછ્યું, "પણ શામજીભાઈ, આ બધી અંદરની હકીકત, એ કાળી રાતની એકે-એક વિગત તમને આટલી ચોકસાઈથી કેમ ખબર? દસ્તાવેજોમાં તો આવું કંઈ નથી!"
શામજીભાઈએ પોતાની ધોતીના છેડાથી આંસુ લૂછ્યા અને બોલ્યા, "બેન... કારણ કે એ રાતે રાણીઓની લાલચમાં આવીને જે સૈનિકોએ પાપ કર્યું હતું, એમાંના એક સૈનિક મારા સગા દાદા હતા! સુહાના બેગમને જીવતી ચણવામાં મારા દાદાનો પણ હાથ હતો. પણ એ પાપ કર્યા પછી મારા દાદા આખી જિંદગી ક્યારેય શાંતિથી ઊંઘી ન શક્યા. એમને પસ્તાવો થતો હતો. મરતી વખતે એમને મારા પિતાને અને મને બોલાવીને કહેલું કે, 'મેં બહુ મોટું પાપ કર્યું છે, જેનો શ્રાપ આપણી પેઢીઓને નડી રહ્યો છે. જો ભવિષ્યમાં ક્યારેય કોઈ સાચા દિલ વાળું માણસ આ મહેલની હકીકત પૂછવા આવે, તો એને બધી સાચી વાત કહી દેજે. એ આત્માને મુક્તિ અપાવવામાં મદદ કરજે, જેથી નરકમાં સડતા મારા આત્માના પાપ થોડા ધોવાય!' બસ બેન, એટલે જ આજે મેં તમને આ બધું કહી દીધું." પણ મને એમ હતૂ કે વૃદ્ધ માણસ છે કદાચ આ કોઈ વાર્તા હયસે... પણ આટલા વરસ થયા કદી કોઈ પૂછવા ના આવ્યું. એટલે મને મનમાં પાક્કું થઈ ગયેલ નક્કી આ એક વાર્તા હતી.. અને તમે કહ્યું ત્યાં રોવાનો અવાજ આવે એ સાંભળી હું ડરી ગયો બેન દાદાની વાતમાં કયઁક તૉ સત્ય છે જ...
શામજીભાઈની વાત સાંભળીને મારા અને શંભુ કાકાના રૂવાડા ઊભા થઈ ગયા. મારો આખો ભૂતકાળ મારી નજર સામે તરી આવ્યો—તન્વીનું એ ભોંયરા પાસે જઈને બેભાન થવું, એનું વિચિત્ર વર્તન અને મહેલની દીવાલોને એકીટશે જોયા કરવું!
મારા મગજમાં એક ઝબકારો થયો. મેં ધ્રૂજતા અવાજે શંભુ કાકા સામે જોયું અને કહ્યું, "કાકા! તન્વી જે રીતે દીવાલો તરફ ગુમસુમ જોયા કરે છે... એનો મતલબ... એનો મતલબ એ કે સુહાના બેગમની આત્મા મુક્તિ માટે તન્વીનો સંપર્ક કરી રહી છે! તન્વીના શરીરમાં કંઈક એવું ચાલી રહ્યું છે જે આપણી સમજ બહાર છે. શામજીભાઈના દાદાએ જે પાપ કર્યું હતું, એનો ઘડો ભરાઈ ગયો છે અને હવે કુદરત આપણી પાસે આ આત્માની મુક્તિ કરાવવા માંગે છે."
હવે અમારી સામે મોટો પડકાર હતો. એક તરફ શામજીભાઈના દાદાના પસ્તાવાની આ ભયાનક વાર્તા હતી, અને બીજી તરફ મારી સહેલી તન્વીની જિંદગી, જે દિવસે-દિવસે એ ગોઝારા મહેલના રહસ્યમાં ડૂબતી જઈ રહી હતી. મેં મનોમન નક્કી કરી લીધું કે ગમે તે થાય, મારે એ ભોંયરાની અંદર બનેલી ઘટના નું આખરી સત્ય દુનિયા સામે લાવવું જ પડશે અને સુહાના બેગમને મુક્તિ અપાવવી જ પડશે, ભલે પછી એના માટે મારે મારી જિંદગી દાવ પર કેમ ન લગાવવી પડે!