જાદુગરે પાંજરાનો દરવાજો ખોલ્યો.
“બાળકોને બહાર કાઢો,” તેણે આદેશ આપ્યો.
બાળકો કંપતા પગે બહાર આવવા લાગ્યા.
એક નાનકડો અમીન બાળક તો રડતો રડતો સીધો ભગવાન શ્રી કૃષ્ણ પાસે દોડી આવ્યો અને તેમના પગ પકડીને ઉભો રહી ગયો.
ભગવાને પ્રેમથી તેના માથા પર હાથ ફેરવ્યો.
એ દ્રશ્ય જોઈને જાદુગરના ચહેરા પર અચાનક ગુસ્સો આવી ગયો.
“એ વૃદ્ધ કોણ છે…?” તેણે શંકાભરી નજરે પૂછ્યું.
શ્યામ તરત બોલી ગયો—
“મારા ગુરુ છે.”
ભગવાન શ્રી કૃષ્ણ થોડું મલકાયા.
જાદુગર હજુ પણ તેમને શંકાથી જોઈ રહ્યો હતો.
કદાચ તેને ભગવાનની અંદર રહેલી દિવ્ય શક્તિનો આભાસ થઈ રહ્યો હતો.
પરંતુ તેની લાલચ તેના ડર કરતાં મોટી હતી.
બધા અમીન બાળકોને આઝાદ કર્યા અને ભગવાન શ્રી કૃષ્ણ પાસે મોકલ્યા પછી તે વળી પાછો શ્યામ તરફ ફર્યો.
“સારું… હવે તારો વારો.”
એમ કહી તેણે લોખંડની જાડા સાંકળો બહાર કાઢી.
શ્યામનું હૃદય જોરથી ધબકવા લાગ્યું.
પણ તેણે બાળકો તરફ જોયું…
તેમની આંખોમાં ફરી જીવવાની આશા દેખાઈ રહી હતી.
અને એ જ ક્ષણે શ્યામે મનમાં નક્કી કરી લીધું—
ભલે કંઈ પણ થાય…
આ બાળકોને પાછા તેમની માતાઓ સુધી પહોંચાડવાના જ.
જાદુગર ધીમે ધીમે તેની નજીક આવવા લાગ્યો.
અને એ જ સમયે…
ભગવાન શ્રી કૃષ્ણની આંખોમાં આછો વાદળી પ્રકાશ ચમક્યો.
જાણે તેઓ આવી જ કોઈ અજાણી ક્ષણની રાહ જોઈ રહ્યા હોય…
ભગવાન શ્રી કૃષ્ણ એકદમ શાંત ચેહરે પણ જોરથી બોલ્યા,
" કેમ છો મહર્ષિ વેદભટ્ટાચાર્ય, તમારી જિંદગી તો મજામાં ચાલી રહી છે ને..?"
એ સાંભળીને પેલો જાદુગર જાણે ડરના લીધે ડઘાઈ જ ગયો.
એના પગ નીચેથી તો જમીન સરકી રહી હતી. તે ત્યાંજ ફસડાઈ પડ્યો અને તે રડવા લાગ્યો.
તે જાદુગર જેટલો તો નહિ પણ તેનાથી ઓછો પણ નહિ એવો શ્યામને પણ ઝટકો લાગ્યો.
'આ જાદુગર, મહર્ષિ વેદભટ્ટાચાર્ય ..!'
"હા લાલભાઈ, આ જ જાદુગર છે મહર્ષિ વેદભટ્ટાચાર્ય."
ભગવાન કહેવા લાગ્યા.
"તેઓ જાણતા હતા કે જો મહર્ષિ દિવ્યાદગ્ધીની તપસ્યા પૂર્ણ થશે તો તેમના જેટલું પ્રભાવશાળી તપસ્વી બીજું કોઈ નહી હોય."
"આસપાસના રાજ્યોમાં જેટલું માન-સમ્માન મહર્ષિ વેદભટ્ટાચાર્યને મળે છે એ ઘટી જશે અને તે જ માન સમ્માન મહર્ષિ દિવ્યદગ્ધીને મળવા લાગશે."
"એટલે ઈર્ષ્યાથી ભરેલા મહર્ષિ વેદભટ્ટાચાર્યએ તેમની તપસ્યા ભંગ કરાવવા માટે એક ખુબ જ ભયંકર પાપ કર્યું."
"જેના કારણે અનેક લોકોએ તેમજ અસંખ્ય પ્રાણીઓએ પોતાનો જીવ ગુમાવ્યો અને અહીં આ શ્રાપથી પીડાય છે તેની પાછળ મહર્ષિએ કરેલું પાપ જ જવાબદાર છે."
શ્યામ પેલા જાદુગર તરફ જોઈ રહ્યો હતો જે અત્યારે એકદમ ઉદાસ થઈને નીચું માથુ કરીને ધીમે ધીમે રડી રહ્યો હતો.
ભગવાનની વાત જેમ જેમ આગળ વધી રહી હતી તેમ શ્યામની નવાઈમાં વધારો થઈ રહ્યો હતો. તે આંખો ફાડી ફાડીને પેલા જાદુગર તરફ જ જોઈ રહ્યો હતો.
ભગવાન આગળ કહેવા લાગ્યા,
"ઈર્ષ્યામાં બળી રહેલા મહર્ષિ વેદભટ્ટાચાર્યએ જ પેલા ઓસ્ટ્રસ હાથીને કાળી વિદ્યાનો ઉપયોગ કરીને ગાંડો કર્યો."
"એના મનમાં તે પોતે જ સમગ્ર વિશ્વનો સ્વામી છે એવો વિચાર પણ નાખ્યો જેથી તે મદમસ્ત હાથીએ અનેક જીવ લીધા"
"તે હત્યાકાન્ડમા થયેલી ગૌહત્યાનું પાપ પણ તમારા શિરે જ આવશે મહર્ષિ વેદભટ્ટાચાર્ય.."
ભગવાને પેલા જાદુગર તરફ પોતાની આંગળી ચીંધીને જોરથી કહ્યું.
"તમે જ મહારાજ અમીરાજને પણ એ વિશ્વાસ અપાવ્યો કે જો મહર્ષિ દિવ્યદગ્ધીની તપસ્યાનો ભંગ થાય તો તેઓ હાથીને શ્રાપ આપશે અને તેનો નાશ થશે."
"પરંતુ તમે એ કેમ ભૂલી ગયા કે તેઓ તો મહાજ્ઞાની છે જો તેઓની તપસ્યા ભંગ થશે તો તેઓ શ્રાપ ખાલી હાથીને જ નહી પરંતુ તેની પાછળ રહેલા મહારાજ અમીરાજને અને સાથે તેમની પ્રજાને તેમજ આ બધાની પાછળ જેનું દિમાગ છે એવા તમને પણ એ શ્રાપમાં આવરી લેશે."
“ઊભા રહો…!”
શ્યામ જોરથી ચીસ પાડીને તેની સામે આવી ગયો.
જાદુગરની લીલી આંખો ગુસ્સાથી સળગી રહી હતી.
તેના હાથમાં રહેલો હાડકાનો દંડ ધીમે ધીમે લીલા પ્રકાશથી ચમકી રહ્યો હતો.
પરંતુ શ્યામ હવે પહેલા જેવો ડરેલો નહોતો.
તે ધીમે ધીમે જાદુગરની નજીક ગયો.
“તમને ખબર છે પ્રભુએ અત્યારે શું કહ્યું?”
શ્યામ ગંભીર અવાજમાં બોલ્યો.
“તમે હજારો વર્ષોથી જીવતા નથી… તમે હજારો વર્ષોથી સજા ભોગવી રહ્યા છો.”
જાદુગરની આંખોમાં એક ક્ષણ માટે અજીબ ચમક આવી.
“ચૂપ…!” તે ગર્જ્યો.
“મને ઉપદેશ આપવાનો અધિકાર કોઈને નથી!”
“અધિકાર છે.”
શ્યામ શાંતિથી બોલ્યો.
“કારણ કે તમારી ભૂલોના લીધે બીજા કરોડો નિર્દોષ જીવો પીડાયા છે.”
રૂમમાં થોડા સમય માટે ભયંકર શાંતિ છવાઈ ગઈ.
લીલા અગ્નિના પ્રકાશમાં જાદુગરનો દાઝેલો ચહેરો વધુ ભયાનક દેખાઈ રહ્યો હતો.
ભગવાન શ્રી કૃષ્ણ શાંતિથી બધું જોઈ રહ્યા હતા.
શ્યામ ફરી બોલ્યો—
“તમે મહર્ષિ હતા… લોકો તમને ગુરુ માનતા હતા…!
"પણ માત્ર માન-સન્માન જતું રહેશે એ ડરે તમે આખી દુનિયા બરબાદ કરી નાખી?”
જાદુગરની પકડ દંડ પર વધુ મજબૂત થઈ ગઈ.
તેના હાથ ધ્રુજવા લાગ્યા.
“હું… હું માત્ર ભૂલ કરી બેઠો હતો…”
તે પહેલીવાર ધીમા અવાજમાં બોલ્યો.
“ના.”
ભગવાન શ્રી કૃષ્ણનો અવાજ આખી ગુફામાં ગુંજી ઉઠ્યો.
“ભૂલ અને પાપમાં ફરક હોય છે મહર્ષિ.”
તેમની આંખોમાં હવે કરુણા નહોતી.
“ભૂલ અજ્ઞાનમાં થાય છે…
પરંતુ તમે જે કર્યું હતું એ સંપૂર્ણ જ્ઞાનમાં કર્યું હતું.”
જાદુગરનું માથું ધીમે ધીમે ઝૂકવા લાગ્યું.
અચાનક જ રૂમમાં રાખેલા કાચના પાત્રો ધ્રુજવા લાગ્યા.
યજ્ઞકુંડમાં રહેલું લીલું પ્રવાહી ઉકળવા લાગ્યું.
જાણે વર્ષો જૂનું સત્ય બહાર આવતાં આખી ગુફા બેચેન થઈ ગઈ હોય.
જાદુગર અચાનક જોરથી ચીસ પાડીને બોલ્યો—
“હા…!
હા મેં જ કર્યું હતું આ બધું…!!”
તેની આંખોમાંથી લીલા રંગના આંસુ વહેવા લાગ્યા.
“મને ડર લાગતો હતો…!
મને લાગતું હતું કે લોકો મને ભૂલી જશે…!
મારું માન-સન્માન ખતમ થઈ જશે…!”
તે પાગલની જેમ હસવા અને રડવા લાગ્યો.
“અને પછી…
પછી બધું મારા હાથમાંથી નીકળી ગયું…”
શ્યામ ચૂપચાપ તેને જોઈ રહ્યો હતો.
એ ક્ષણે પહેલીવાર તેને આ ભયંકર જાદુગરમાં એક તૂટેલો માણસ દેખાયો.
પરંતુ એટલામાં જ…
પાંજરા પાસે ઉભેલી નાનકડી અમીન બાળકી ડરીને રડવા લાગી.
એ અવાજ સાંભળતાં જ જાદુગરની આંખોમાં ફરી પાગલપણું આવી ગયું.
તે અચાનક બાળકો તરફ વળ્યો.
“ના…!
હું મરી નથી શકતો…!
મારે જીવવું જ છે…!!”
એમ કહી તેણે દંડ હવામાં ઊંચો કર્યો.
પળવારમાં આખી ગુફામાં લીલો વાવાઝોડો ફાટી નીકળ્યું.
દીવાલો ધ્રુજવા લાગી.
યજ્ઞકુંડમાંથી ધુમાડાના વિશાળ ચહેરા બહાર આવવા લાગ્યા.
શ્યામ પાછળ ધકેલાઈ ગયો.
અને એ જ ક્ષણે…
ભગવાન શ્રી કૃષ્ણ ધીમે ધીમે આગળ વધ્યા.
તેમના શરીરમાંથી દિવ્ય વાદળી પ્રકાશ ફેલાવા લાગ્યો.
તેમની આંખોમાં હવે બ્રહ્માંડ જેટલી ગંભીરતા હતી.
તેઓ જાદુગરની સામે ઊભા રહ્યા…
હવે જાદુગર ગુસ્સામાં એક ખડખડાટ અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.
એક વાર તો તેને પણ ખ્યાલ આવી જ ગયો હશે કે તેના વિશે એટલું સાચું સચોટ બોલનાર કોઈ મહાન જ્ઞાની જ હશે, છતાં તે જોરથી બોલવા લાગ્યો.
"ભલે તે મહર્ષિએ મને પણ શ્રાપ આપ્યો હોય, પરંતુ હુ મારી આવડત અને કાળા જાદુ વડે જ આટલા સમયથી જીવિત છું અને આગળ પણ જીવિત રહીશ."
એટલું કહીને જાદુગરે પોતાની લાકડી જમીન પર જોરથી પછાડી.
ધડામ્મ…!
ક્રમશઃ
Dr Dipak kamejaliya
"શિલ્પી"