lanka dahan - 6 books and stories free download online pdf in Gujarati

લંકા દહન - 6

"તારો દોસ્ત સાચો સાધુ થવા નીકળ્યો છે. સુરતના આશ્રમમાં એક ભગતની દીકરીઓને સેવિકા બનાવવાના કામમાં આડે આવવાની કોશિશ કરી રહ્યો છે, આવા માણસને તે આપણી સંસ્થામાં કોને પૂછીને પ્રવેશ આપ્યો ? તું પણ થોડો સતવાદીનું પૂછડું થયો હતો. હવે તારો આ ભાઈબંધ ! જો કે એને તો ઠેકાણે પાડી જ દેવાનો છે. પણ તારું પદ પણ આજથી જ છીનવી લેવામાં આવે છે અને તને અહીં અમેરિકામાં નજરકેદ કરવામાં આવે છે. એટલે આજથી તારે કંઈ જ પ્રવુતિ કરવાની નથી "

અમેરિકા સ્થિત આશ્રમમાં અધિપતિએ જગદીશની પાંખો કાપી નાખી હતી.અને કોઈ પણ સંજોગોમાં રમણ સાથે સંપર્ક ન થાય એવી રીતે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ હતી.

"પ્રભુ, એકવાર મને તક આપો. હું એને સમજાવીશ.એને હજુ કોઈ અનુભવ નથી.એટલે એ કદાચ આશ્રમની વિરુદ્ધ જવાનું વિચારતો હશે. પ્લીઝ મને એક તક આપો"

જગદીશની અનેક વિનવણી કામમાં ન આવી.અધિપતિએ તરત જ ભીખુ મહારાજ અને જોરાવરને ટુંક સમયમાં રમણને અદ્રશ્ય કરી નાખવાનો આદેશ આપી દીધો.અને જગદીશને નજરકેદ કર્યો.

હવે જે કંઈ કરવાનું હતું એ રમણને કરવાનું હતું. એણે હનુમાનજીનું સ્મરણ કરીને આ લંકા દહન કરવામાં સહાય કરવા માટે અનેક વાર સ્તુતિ કરી.આખરે દાદાએ જ કોઈ યુક્તિ સુઝાડી હોય તેમ તેના મોં પર સ્મિત આવ્યું.

રમણ કોઈ જ વ્યક્તિ સાથે સંપર્ક કરી શકે તેમ નહોતો.તેથી સુધીરભગત એક માત્ર સહારો હતો. રમણે સુધીરભગતને અહીંથી નાસી જવા માટે મદદ કરવા કહ્યું પણ એ ડરપોક માન્યો નહિ.

આખરે રમણે એક નવી જ યુક્તિ અમલમાં મૂકી. થોડા દિવસો એકદમ નિષ્ક્રિય થઈ ગયો. જાણે કાંઈ બન્યું જ નથી. જોરાવર અને ભીખુ મહારાજ સાથે ખૂબ જ પ્રેમથી વર્તન કરવા માંડ્યું અને બને તેટલો સમય એ લોકો જોડે પસાર કરવા લાગ્યો.શરૂઆતમાં તો આ લોકોને પણ ખૂબ જ નવાઈ લાગી અને આ રમણની કોઈ ચાલ હોવાની શંકા પણ ગઈ.પરંતુ રમણે પોતાના આબાદ અભિનય વડે એ લોકોના મનમાં એમ ઠસાવવામાં સફળ થયો કે હવે રમણ મહર્ષિ આશ્રમની વિરુદ્ધ કોઈ જ પગલું ભરવાની હિંમત નહિ કરે.

અવારનવાર જોટા અને ભીખુ જોડે એ બેસીને ગપ્પા મારવા લાગ્યો.અને એ લોકોની મહેફિલમાં પણ જવા લાગ્યો.ચિક્કાર દારૂ ઢીચીને બન્ને લુડકી જતા. રમણ પીવાનો ખોટો ડોળ કરીને સાથે પડ્યો રહેતો.નાસી જવાની તક ક્યારેક આ લોકો જ પુરી પાડશે તેવું તે માનતો.પણ એ આશા પર પણ જોરાવરે એક દિવસ પાણી ફેરવી દીધું. "મહર્ષિના દીકરા, તારે ભાગવાની ઈચ્છા હોય તો ભાગજે. પણ યાદ રાખજે જે દિવસે હું તને આશ્રમમાં નહિ જોઉં તે જ દિવસે તારી બયરી અને છોકરા અહીં હશે.અત્યારે તેઓ ક્યાં રહે છે એ તને પણ ખબર નહિ હોય. તારી દીકરી પણ હવે જુવાન થવા લાગી છે.અને તું જરાય આડો અવળો થઈશ એટલે તારી વ્હાલી ટબુડી સેવિકા તરીકે ભીખુ મહારાજના પગ દબાવતી હશે '' કહીને ગંદી ગાળ બોલીને જોરથી થુંકયો.

"અરે ના ભાઈ, એ બધું મેં પડતું મૂક્યું છે.મારા જેવા મગતરાથી આટલી મોટી સંસ્થાની કાંકરી પણ ન હલે હો, એટલે જે થાય એ જોયા કરવામાં અને મફતની મજા કરવામાં જ સાર છે એ મને સમજાઈ ગયું છે. અધિપતિએ તો મને મારી નાખવાનો હુકમ જ આપી દીધો છે પણ તમારી દયાથી હું જીવી રહ્યો છું.અને તમે મારા પર વિશ્વાસ કરીને મારી જિંદગી બક્ષી છે એ પણ હું સમજુ છું. તમે લોકો ભલે ગમે તેવા છો પણ મારા ઉપર આટલી દયા કરી એ ઉપકાર હું થોડો ભૂલી જાઉં.એટલે તમે મારી કોઈ ચિંતા ન કરશો " રમણે કહ્યું.

"તારી ચિંતા ? હે હે હે... શુ બકે છે , અમે શુકામ તારી ચિંતા કરીએ. તું તો બહુ થોડા દિવસ નો મહેમાન છો, બસ એક કામ ચાલી રહ્યું છે એ પતે એટલે તને પણ પતાવી જ દેવાનો છે,કારણ કે સતવાદીની પુંછડી હોય એ કૂતરાની પૂંછડી કરતાંય વધુ વાંકી હોય છે.કદાચ કૂતરાની પૂંછડી સીધી થાય પણ ખરી, પણ તમારા જેવા લોકો જીવ આપીને પણ સત્ય છોડતા નથી હોતા.એટલે આ સંસ્થાનો નિયમ જ છે કે આડો ચાલે એને ઉડાવી દેવો અથવા ગાયબ કરી દેવો.જગલો તો હવે કોઈ દિવસ જોવા નહીં મળે, પણ તારું શુ કરવું એ હજુ ફાઇનલ થયું નથી સમજ્યો ?" ભીખુ મહારાજે નશાની અસરથી બીડાઈ જતી આંખો પરાણે ઊંચી કરીને કહ્યું. પછી બન્ને ઢળી પડ્યા.

ઓરડામાં એક જ જણ ભાનમાં હતો.અને એ રમણ પોતે. અત્યાર સુધી પોતે જીવતો હતો એની પાછળ કંઈક બાકી રહેલું કામ હતું એ આ લબાડોએ જણાવ્યું.અને પોતાના કુટુંબને પણ આ લોકોએ જ ક્યાંક સંતાડયું છે.અને પોતાને તો વહેલું મોડું મરવાનું જ છે.બસ આ પળ જ નિર્ણયની ઘડી છે.અને રમણે ઘાતક નિર્ણય લીધો.

જોરાવર તેની પાસે ધારદાર છરો રાખતો અને ભીખુ મહારાજ પિસ્તોલ રાખતો.રમણ એ હથિયારો પૈકી એક વાપરવાનો વિચાર કર્યો. પણ બીજી જ પળે પરિણામનો પણ વિચાર આવ્યો.આ બન્નેનું ખૂન કરવું જરૂરી જ હતું પણ કઈ રીતે કરવું એ સમજાતું નહોતું.

આખરે રમણે એ હથિયારો સિવાયનું નવું હથિયાર લીધું. જે ઓરડામાં આ લોકો બેઠા હતા એ ઓરડો મહેમાનો માટે બનાવેલા બાર માળના એપાર્ટમેન્ટના ટેરેસ પર એક સાઈડના કોર્નર પર બાંધેલો હતો.અને આ ઓરડામાં ફક્ત જોરાવર અને ભીખુ મહારાજ પીવા માટે આવતા.આ સિવાય કોઈ અહીં આવી શકતું નહિ. જે વ્યક્તિને પતાવી દેવાનો હોય તેને આ બન્ને જલ્લાદો અહીં લાવીને પતાવી દેતા. આશ્રમના છેવાડે એકદમ અવાવરું જેવી આ જગ્યા પર બાંધેલા આ એપાર્ટમેન્ટમાં ખાસ મહેમાનોની ખાસ સરભરા પણ થતી.એ તમામ વ્યવસ્થા આ બન્ને સાંભળતા.અને એમના કામમાં કોઈ દખલગીરી કરતું નહિ.કહો કે કોઈની તાકાત નહોતી કે ભીખુ મહારાજ કે જોરાવર સામે આંખ પણ ઊંચી કરી શકે.

પાછળના ભાગે આશ્રમની ઊંચી દીવાલ પર ભાલા મુકવામાં આવ્યા હતા. કોઈ પણ માણસ આ દીવાલ કૂદીને અંદર કે બહાર જઈ શકે એવી કોઈ જ શકયતા નહોતી. અને શહેરની છેવાડે આવેલો આ વિસ્તાર સાવ નિર્જન અને ભેંકાર હતો. રાત્રીના બે વાગ્યા હતા.રમણે ઝડપથી વિચારી લીધું.

જોરાવરનો છરો અને ભીખુ મહારાજની પિસ્તોલ એણે લઈ લીધી.અને સોફામાં પડેલી ગાદી ઢળી પડેલા ભીખુ મહારાજના મો પર દબાવીને તેની છાતી પર ચડી બેઠો.છેલ્લા કેટલાય દિવસથી કાગડાઓ દેડકાને રમાડે એમ આ બન્ને નરાધમો પોતાને રમાડી રહ્યા હતા. પેલા ભગતની ત્રણ માસૂમ દીકરીઓ જેવી અનેક નિર્દોષ બળાઓના ચહેરા તેની આંખ સામે ભમી રહ્યા હતા.જાણે કે દરેક સેવીકાઓ " મારો મારો, જાનથી મારી નાખો મહારાજ, મારો મારો" ના પોકાર કરતી હતી. રમણના શરીરમાં પણ ન જાણે ક્યાંથી જનુન ઉતપન્ન થયું . ભીખુ મહારાજ થોડીવાર તરફડીને શાંત થઈ ગયો.ત્યારબાદ દીવાલને ટેકે ઘોરી રહેલા જોરાવરને સુવાડવા તેના બન્ને પગ પકડીને રમણે જોરથી ખેંચ્યા. એ જટકાથી જોરાવર જાગી ગયો.પણ ખૂબ જ પીધો હોવાથી તે રમણ શુ કરી રહ્યો છે તે સમજી શક્યો નહિ.તે કઈ સમજે તે પહેલા જ તેનું મો તકિયા નીચે દબાઈ ગયું. રમણ જેવા ત્રણ માણસો ને એકલો પૂરો પડે એવા મહાકાય જોરાવરને ઝનૂનથી એકલા રમણે પૂરો કરી નાખ્યો.