Highway Robbery - 40 books and stories free download online pdf in Gujarati

હાઇવે રોબરી - 40

હાઇવે રોબરી 40

રાઠોડ સાહેબ સામે ઉભેલા બે નવયુવકોને અવલોકી રહ્યા. એ બન્ને વિશે કોઈ પ્રાથમિક અનુમાન પર આવી રહ્યા હતા. એમને ખબર હતી કે આ બન્ને આંગડિયા લૂંટ કેસ બાબતે કોઈ વાત કરવા આવ્યા હતા.
' યસ , ટેઈક યોર સીટ. '
બન્ને રાઠોડ સાહેબની સામે બેઠા.
' જુઓ , મારી પાસે સમય ઓછો છે. જે કહેવું હોય એ ઝડપથી કહો. '
આશુતોષ : ' સર , આંગડિયા લૂંટ કેસનો શંકાસ્પદ વ્યક્તિ વસંત મારો મિત્ર હતો. એની એક ડાયરી મને મળી , અને સાથે મળ્યા છે કેટલાક હીરા , જે હું તમને આપવા માગું છું. એટલે એ જેના હોય એને પાછા આપી શકાય. '
આસુતોષે એક ડાયરી ટેબલ પર મૂકી. રાઠોડ સાહેબ આશુતોષને અવલોકી રહ્યા. પરંતુ એમણે ડાયરીને હાથ પણ ના લગાવ્યો.
રાઠોડ સાહેબને આશ્ચર્ય થયું. એક તો લૂંટની એફ.આઈ.આર. માં ક્યાંય હીરાના લૂંટનો ઉલ્લેખ ન હતો. બીજું કે આ માણસ કેટલા કિંમતી હીરા પાછા આપવા માંગે છે. રાઠોડ સાહેબ કોઈ ઉતાવળ કરવા માગતા નહતા. આ હીરા ખરેખર એ લૂંટના જ છે કે કેમ ? એ જાણવું જરૂરી હતું.
' તમને આ ડાયરી અને હીરા કેવી રીતે મળ્યા ? '
આસુતોષે આખી વાત સમજાવી...
' મી.આશુતોષ , પોલીસ તમારી વાતની ચકાસણી કરશે , અને જો તમારી વાત ખોટી નીકળી તો તમે વસંતના સાગરિત તરીકે ગુનેગાર બની જશો. માટે જે સત્ય હોય એ જ કહેજો. '
' સર , મારે જો ખોટું કરવું જ હોત તો હું સામેથી તમારી પાસે ના આવત. '
રાઠોડ સાહેબને આશુતોષની વાત સાચી લાગી. રાઠોડ સાહેબે ડાયરી હાથમાં લીધી. ખૂબ જ ટૂંકમાં ઉતાવળથી થોડી વાતો લખી હતી. જેમાં લૂંટની , હીરાની અને નંદિની વિશે કંઇક લખ્યું હતું.
' આ અક્ષર કોના છે ? '
' સર , વસંતના છે. '
' હીરા ક્યાં છે. '
નિરવ : ' સર , હીરા અમારી પાસે છે. પણ અમે આપને એ આપીએ એનું કંઇક પ્રુફ અમને મળશે. '
' ચોક્કસ , અમે નિયમ મુજબ એને લઈશું , એની એન્ટરી થશે , તમે એની ચિંતા ના કરો. '
નિરવે હીરાની થેલી ટેબલ પર મૂકી. રાઠોડ સાહેબે થેલીના હીરા ચેક કર્યા. હીરાના નંગ એ ગણી શકે પણ હીરાની ગુણવત્તા વિશે એ અનુમાન લગાવી શકે એમ ન હતા.
નિરવ : ' સર , મારો સોના ચાંદી અને હીરાનો વ્યવસાય છે. આ હીરાની કિંમત કરોડો રૂપિયા છે. '
આશુતોષ : ' રાધા ભાભી - વસંતના પત્ની , નંદિની - વસંતની બહેન કે હું આને રાખવા માંગતા નથી. કાયદાને અને ધર્મને માથે રાખી આ પાછા આપવા માંગીએ છીએ. કદાચ વસંત હાજર હોત તો એને પણ આ પાછા આપવા મનાવી લેત. '
રાઠોડ સાહેબ કરોડોના હીરા આમ સહજતાથી પાછા આપવા આવેલા યુવાનોને જોઈ રહ્યા. આંગડિયા લૂંટ કેસનું આ પણ એક પાસું હતું.
******************************

દિલાવરની ગાડી ફાર્મ હાઉસના બંગલા આગળ આવીને ઉભી રહી. નાથુસિંહ અને બીજા માણસો એલર્ટ થઈ ગયા. ગાડીનો અવાજ સાંભળી છોટુ અને એના મિત્રો પત્તાં મૂકી ઉભા થઇ ગયા.
દિલાવર અંદર આવ્યો. નાથુસિંહ દિલાવરની સાથે અંદર આવ્યો. બહાર ચોકી માટે ઉભા રહેલા માણસો બહાર જ રહ્યા. નંદિની અને સોનલ હજુ બરાબર હોશમાં આવ્યા ન હતા.
' એ જ છે કે બીજા કોઈને લઈ ને આવ્યા છો ? '
છોટુ એ નંદિનીની સગાઈના ફોટા મોબાઈલ માંથી બતાવતા કહ્યું. ' બોસ , એક વસંતની બહેન છે , જેની પેલા ચિરકુટ જોડે સગાઈ થઈ છે . અને બીજી એની બહેનપણી છે જે પેલા હીરાના વેપારીની પત્ની છે. '
' કોલ ટુ ધ બ્લડી ચિરકુટ. '
નાથુસિંહે સેટેલાઇટ ફોન કાઢ્યો અને આશુતોષનો ફોન નમ્બર લગાવી દિલાવરને આપ્યો.

******************************

રાઠોડ સાહેબ હીરા જોઈને થેલીમાં પાછા મૂકી રહ્યા હતા. અને આશુતોષના મોબાઈલમાં રીંગ વાગી. આસુતોષે રાઠોડ સાહેબ સામે જોઈ રીંગ કાપી નાંખી. તરત જ ફરી રીંગ વાગી. આસુતોષે રાઠોડ સાહેબ સામે જોયું.
' ડોન્ટ વરી , એટેન્ડ કોલ. '
આસુતોષે ફોન રિસીવ કર્યો. નિરવ અને રાઠોડ સાહેબ બન્ને જોઈ રહ્યા કે આશુતોષ જેમ જેમ વાત કરતો ગયો , તેમ તેમ તેના ચહેરા પર ગભરાહટ અને ચિંતાના ભાવ આવતા ગયા.
ફોન પૂરો થતાં જ એનો ફોન ટેબલ પર મુકાઈ ગયો. એ રાઠોડ સાહેબ તરફ શૂન્યમનસ્ક થઈ જોઈ રહ્યો. કપાળ પર પરસેવાના ટીપાં આવવા લાગ્યા.
રાઠોડ સાહેબ આશુતોષના ચહેરા તરફ જોઈ રહ્યા. એમને અંદાજ આવી ગયો કે કંઈક ખોટું થયું છે. નિરવને કંઈ સમજમાં આવતું ન હતું. આશુતોષ તદ્દન અવાચક થઈ ગયો હતો. રાઠોડ સાહેબે પાણીનો ગ્લાસ આશુતોષ તરફ કર્યો. નિરવે આશુતોષને પાણી પીવડાવ્યું..
' આશુતોષ , આશુતોષ શું થયું ? '
આશુતોષ નિરવ સામે જોઈ રહ્યો અને જાણે કોઈ મડદું દૂરથી બોલતું હોય એમ હોઠ ફડાવતા બોલ્યો...
' નિરવ , નંદિની અને સોનલ કિડનેપડ... '
****************************

વારાણસીના આશ્રમમાં વસંતના કાનમાં સતસંગના શબ્દો ઉતરતા હતા. હાથ રસોઈ બનાવતા પરંતુ કાનમાં એ અમૃતવાણી ઉતરતી હતી. મોહ , માયા , વાસનાના કાદવથી દુર થઇ આ જીવને પ્રભુમય બનાવી જીવને ઉચ્ચ કક્ષાએ લઈ જવું જોઈએ. ઈશ્વર જ સત્ય છે , શાશ્વત છે , અવિનાશી છે. માટે એની પ્રાપ્તિ જ એક સત્ય છે. બાકી બધો મનનો ભ્રમ છે.
વસંત એના મનને પૂછતો હતો. રાધાને કેવી રીતે ભૂલી જાઉં. નંદિની અને આશુતોષને કેવી રીતે ભૂલી જાઉં. જવાનસિંહના શબ્દો યાદ આવતા હતા, ' ગુરુ , હું જીવું છું ત્યાં સુધી તમને કાંઇ થવા નહિ દઉં. ' એવા મિત્રને કેવી રીતે ભૂલી જાઉં?
સરકારના કાયદાને તોડી , કરચોરી કરી , નિયમો વિરુદ્ધ કરોડો રૂપિયા એકઠા કરનારા આઝાદીથી ફરતા હતા અને પોતે , પોતે એક જ ગુનો કર્યો અને કેવડી મોટી સજા. કેટલા લોકોને સજા. રાધા , લાલો , નંદિની , આશુતોષ , જવાનસિંહ , સવિતા , રઘુ , જીવણ , પ્રહલાદ , રતનસિંહ... ઓહ...
ગમે તે હોય. પણ પોતે કાયદાનો ગુનેગાર હતો. એણે વિચારોને દૂર કરવા રસોઈમાં ધ્યાન પરોવ્યું..
( ક્રમશ : )
16 જુલાઈ 2020