Atitrag - 35 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 35

અતીતરાગ-35
 
દેવ આનંદ અને સુરૈયા.
 
આ એક એવી રીલ લાઈફ જોડી હતી જે રીઅલ લાઈફ જોડી પણ બની શકી હોત.
જો સંગીતકાર નૌશાદે એક એન્ટી હિંદુની ટોળકીની આગેવાની ન કરી હોત તો.
 
નૌશાદ એવું ઇચ્છતાં હતાં કે, હિંદુ દેવ આનંદ સાથે સુરૈયાના લગ્ન કરવાં કરતાં સુરૈયા તેમની ઉંમર કરતાં ૧૮ વર્ષ મોટા, વિવાહિત અને બાળ બચ્ચાં વાળા વ્યક્તિ સાથે સુરૈયા લગ્ન કરે તો નૌશાદને કોઈ વિરોધ નહતો, પણ હિંદુ દેવ આનંદ જોડે તો હરગીઝ નહીં.
 
એ કોણ હતું, જેની જોડે નૌશાદ, સુરૈયાના લગ્ન કરાવવા ઇચ્છતા હતાં.?
 
અને કોણ કોણ સામેલ હતું નૌશાદની ટોળકીમાં, દેવ અને સુરૈયાની રીઅલ પ્રેમ કહાનીમાં વિલનની ભૂમિકા ભજવવામાં ?
 
વાત કરીશું આજની કડીમાં..
 
દેવ આનંદ અને સુરૈયા પરસ્પર બન્ને એકબીજાના પરિચયમાં આવ્યાં આશરે ૧૯૪૯ પહેલાં, તે સમયે બંનેમાં ખાસ્સું અંતર હતું.. ના.. ના.. ઊંમરની દ્રષ્ટિએ નહીં, પણ સામાજિક સ્તર પર.
એ સમયે સુરૈયાજી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની સૌથી વ્યસ્ત અને મોંઘેરા અદાકારા હતાં.
તેમણે તેમનું એક સન્માનનીય સ્થાન હાંસિલ કરી લીધું હતું. અને દેવ આનંદ..એક નવોદિત હતાં.
બંનેની મુલાકાત થઇ એક ફિલ્મના સેટ પર. ડીરેક્ટર હતાં ગીરીશ ત્રિવેદી,સુરૈયા સામે લીડ રોલમાં હતાં દેવ આનંદ. ૧૯૪૮માં રીલીઝ થયેલી એ ફિલ્મનું નામ હતું ‘વિદ્યા’.
 
દેવ આનંદના કારકિર્દીની આ ચોથી ફિલ્મ હતી. અને સુરૈયાજીની ૨૮મી ફિલ્મ.
એ ‘વિદ્યા’ ફિલ્મના શૂટિંગ દરમિયાન એક નાવડી હંકારતા દેવ આનંદ અને સુરૈયાયજી નદી પસાર કરી રહ્યાં છે, એવું દ્રશ્ય ફિલ્માવાય રહ્યું હતું.
 
એ દ્રશ્ય દરમિયાન સુરૈયાજી નદીમાં પડી ગયાં અને સુરૈયાજીને બચાવવા દેવ આનંદે પણ પાણીમાં છલાંગ લગાવી.
પાણીમાં પડ્યા. પલાળ્યા, પછી બંને પડ્યા પ્રેમમાં.
 
એ પછી પ્રેમરંગમાં એવાં રંગાયા કે.. 'વિદ્યા' પછી સળંગ છ ફિલ્મો બન્નેએ એકસાથે કરી.
‘શાયર’(૧૯૪૯), ‘જીત’(૧૯૪૯), ‘નીલી’(૧૯૫૦), ‘સનમ’(૧૯૫૧), ‘દો સિતારે’(૧૯૫૧), અને ‘અફસર’(૧૯૫૦).
 
સળંગ સાત ફિલ્મો પછી બન્નેએ નિર્ણય લીધો કે, લગ્ન કરી લેવા જોઈએ.
પણ સૌથી મોટો અવરોધ હતો જાતિભેદનો. પરિવારના સદસ્યો અસ્વીકાર સ્વાભાવિક હતો, જે નક્કર વાસ્તવિકતાથી બંને વાકેફ હતાં.
 
બન્નેએ એવું નક્કી કર્યું કે, પરિવારની મરજી વિરુદ્ધ લગ્ન કરીશું.
ફિલ્મ ‘જીત’ ના સેટ પર એવું નક્કી થયું કે. એક દિવસે બંને ભાગીને લગ્ન કરશે.
અને તેમની મદદ કરવામાં હતાં, ફિલ્મ ‘જીત’ના કેમેરામેન દ્વારકા દીવેચા, અને બીજી વ્યક્તિ હતી દુર્ગા ખોટેજી.
 
પણ જેમ દરેક પ્રેમ કહાનીમાં કોઈને કોઈ વિલન હોય જ એમ અહીં પણ વિલન મૌજૂદ હતાં.
 
દુર્ભાગ્યવશ કોઈ કારણ સર દેવ આનંદ અને સુરૈયાજીના સિક્રેટ મેરેજ મિશનનો ભાંડો ફૂટી ગયો. અને ફિલ્મ ‘જીત’ના સેટ પરથી સુરૈયાજીનું બાવડું પકડીને તેમને ઘરે લઇ જવાયા.
‘જીત’ ના સેટ પર બન્નેના પ્રેમ કહાનીની હાર થઇ ગઈ.
 
સુરૈયાજીને ઘરે ગયાં હતાં તેમના નાનીમા. બાદશાહ બેગમ. સુરૈયાજીની માતા મુમતાઝ બેગમ તો આ સંબંધ માટે રાજી હતાં.
 
દેવ આનંદે લાહોરની ગવર્નમેન્ટ કોલેજમાંથી ઈંગ્લીશ લીટરેચરમાં બી.એ. પાસ કર્યું હતું. દેવસાબ ઉર્દુ ભાષાના પણ જાણકાર હતાં. ટોટલી જેન્ટલમૅન પર્સનાલીટી, પણ એક જ દાગ, તેઓ હિંદુ હતાં. તે વાત સુરૈયાજીના પરિવાર માટે કોઈ ગુન્હાથી કમ નહતી.
 
બાદશાહ બેગમની કાન ભંભેરણી કરવામાં સામેલ હતાં, ફિલ્મ મેકર અબ્દુલ રાશીદ કરદાર અને સંગીતકાર નૌશાદ.
આ બંને વ્યક્તિનો સુરૈયાના પરિવાર સાથે ઘનિષ્ઠ ઘરોબો હતો.
 
સુરૈયાજીને માત્ર ૧૩ વર્ષની ઉંમરમાં નૌશાદ સાબે બ્રેક આપ્યો હતો. જેના ડીરેક્ટર હતાં, અબ્દુલ રાશીદ કરદાર અને ફિલ્મનું નામ હતું ‘શારદા’ (૧૯૪૨).
 
બીજા એક ફિલ્મ ડીરેક્ટર મહોમ્મદ સાદિક. જેમણે ૧૯૪૮માં આવેલી સુરૈયાજીની ફિલ્મ ‘કાજલ’નું ડીરેક્શન કર્યું હતું. જે સુરૈયાથી ઉમ્રમાં ૧૮ વર્ષ મોટા, પરણિત અને
બાળકોના પિતા હોવાં છતાં સુરૈયા સાથે લગ્ન કરવાં હવાતિયા મારતાં હતાં.
અને આ ધૃણાસ્પદ કલ્પનાને સમર્થન આપતી હતી સુરૈયાની નાનીમા બાદશાહ બેગમ, થેક્સ ટુ નૌશાદ એન્ડ અબ્દુલ રાશીદ કરદાર.
 
નૌશાદસાબ મહોમ્મદ સાદિકની આ અભદ્ર માંગને પ્રોસ્ત્સાહન આપીને એટલે પંપાળતા હતાં કે, મોહમ્મદ સાદીકે તેમના ડીરેક્શનમાં નૌશાદ સાબને તેમની બ્રેક થ્રુ
ફિલ્મ આપવી હતી, ફિલ્મ હતી ‘રતન’.
 
અને ચોથી એક વ્યક્તિ હતી સુરૈયાજીના મામા, ઝહૂર. આ સૌએ મળીને સુરૈયાજી છેક ડીપ્રેશન આવી જાય ત્યાં સુધી માનસિક અત્યાચાર કરવામાં કોઈ કમી નહતી રાખી.
 
આ ચર્ચા પાયાવિહોણી નથી. ખુદ નૌશાદ સાબે લેખક રાજુ ભારતનની બૂક “નૌશાદનામા’માં આ વાતને સમર્થન આપ્યું છે. અને તેમાં સુરૈયાની નાનીમાનું નિવેદન છે કે, તે સમયે નૌશાદ સાબે હિંદુ વિરોધી ચળવળની આગેવાની કરી હતી.
સુરૈયા અને દેવ આનંદની લવ સ્ટોરીના અકાળે આવેલા કે લાવેલા ધ એન્ડ માટે તેઓ જવાબદાર હતાં.
 
જે નૌશાદે ‘બૈજુ બાવરા’માં હ્ર્દયસ્પર્શી ભજનને સંગીતબદ્ધ કર્યા તે નૌશાદ સાબ અંગત જિંદગીમાં જાતિ અને ધર્મ માટે કેટલો ઘેરો ભેદભાવ રાખતા હતાં.
 
એ ‘જીત’ ફિલ્મના સેટ પર બનાવ બન્યાં પછી સુરૈયાની અંગત જિંદગી ડામડોળ થઇ ગઈ. તેના પર સતત વોચ રાખવામાં આવતી. નજરકૈદ જેવી પરિસ્થિતિ સર્જાઈ.
 
ફિલ્મના સેટ પર પણ તેની નાનીમા સાથે જ રહેવા લાગી.
ધીરે ધીરે પરિસ્થિતિ પ્રેમનું ગળું ભીંસતી રહી અને અંતે... તે પ્રેમ કહાનીનું અકાળે અવસાન થયું.
 
અડધી રાત્રે સુરૈયાજીને મળવા આવી પહોંચેલા અમેરિકન એક્ટર ગ્રેગરી પેક સામે નાનીમાને કોઈ વિરોધ નહતો, એ કિસ્સા વિશે ચર્ચા કરીશું ફરી કયારેય અતીતરાગની કડીમાં.
 
 
આગામી કડી...
 
‘મૂડ મૂડ કે ના દેખ મૂડ મૂડ કે..’
 
આશરે છ દાયકા પહેલાં વર્ષ ૧૯૫૫માં આવેલી સુપરહિટ ફિલ્મના આ યાદગાર ગીતના આટલાં શબ્દો સંભાળતા જ નજર સામે આવી જાય.. ‘શ્રી ૪૨૦’માં એ મારકણી અદાના અદાકારા ‘નાદીરાજી.’
 
હવે પછીની કડીમાં વાત કરીશું ‘નાદીરાજી’ની નાયાબ અભિનય કરીકીર્દી વિષે.
 
વિજય રાવલ
૦૩/૦૯/૨૦૨૨