Atitrag - 44 books and stories free download online pdf in Gujarati

અતીતરાગ - 44

અતીતરાગ-૪૪

આજની કડીમાં આપણે ચર્ચા કરીશું હિન્દુસ્તાન અને પાકિસ્તાનની બે મહાન જગ મશહુર ગાયિકાઓ વિશે.

હિન્દુસ્તાનની સ્વર સામ્રાજ્ઞી લતા મંગેશકર અને પાકિસ્તાનની મલ્લિકા-એ-તરન્નુમ નૂરજહાં.

કઈ રીતે બન્ને દિગ્ગજ પહેલીવાર અને ક્યાં મળ્યાં અને કઈ રીતે તેમની વચ્ચે સાત સૂરના સરગમ જેવો મધુર સંબંધ પાંચ દાયકા સુધી સળંગ રહ્યો.

સ્વર સંબંધના નિયતિની સંગતી અને સંયોગના સંવાદનો સત્સંગ કરીશું આજની કડીમાં..
લતાજી અને નૂરજહાં બેગમની પ્રથમ મુલાકાત થઇ, તે વર્ષ હતું, ૧૯૪૫નું. આ એ સમય હતો જયારે બે સુપર સ્ટાર સિંગરના સિક્કા પડતા હતાં.

એક હતાં કે.એલ.સાયગલ અને બીજા હતાં નૂરજહાં.

નૂરજહાં જાદુઈ સ્વરના માલકિન અને અભિનેત્રી પણ હતાં.
તેઓ બેહદ ખૂબસૂરત હતાં એટલે સૌ તેને આદરથી ‘મેડમ’ કહેતા.

તે સમયના અખંડ ભારતમાં તેમણે તેમના મખમલી અવાજથી સૌને મંત્રમુગ્ધ કરી મુક્યા હતાં.

તેમનું અસલી નામ હતું અલ્લા રખી વસાઈ.
સુપર સ્ટાર સિંગર નૂરજહાં સાથે જયારે લતાજીનો ભેટો થયો ત્યારે લતાજીની ઉમ્ર હતી માત્ર સોળ વર્ષ.

લતાજી તે સમયે કોલ્હાપુરમાં રહેતાં હતાં. જયાં લતાજી એક્ટ્રેસ નંદાના પિતાજી માસ્ટર વિનાયક દામોદર કર્નાટકીની ફિલ્મ કંપનીમાં જોબ કરતાં હતાં.

તે માસ્ટર વિનાયકની કંપની એક ફિલ્મનું નિર્માણ કરી રહી હતી. જે ફિલ્મમાં નૂરજહાં એક્ટ્રેસ હતાં. અને તે ફિલ્મના શૂટિંગ માટે તેઓ કોલ્હાપૂર આવી રહ્યા હતાં.

એ ફિલ્મનું નનામ હતું, ‘બડી માં’.

તે ફિલ્મ ‘બડી-માં’ ના સેટ પર માસ્ટર વિનાયકે નૂરજહાં સાથે લતાજીનો પરિચય કરાવ્યો. અને લતાજીને કહ્યું કે,
‘મેડમ’ નૂરજહાંને કંઇક સંભળાવો.’
એટલે લતાજીએ નૂરજહાંને રાગ જય જયવંતી ગાઈને સંભળાવ્યું.
એ પછી નૂરજહાં કહ્યું કે, ‘કોઈ ફિલ્મી ગીત આવડતુ હોય તો તે ગાઈને સંભળાવો.’

એટલે લતાજી એ ગીત લલકાર્યું...
‘જીવન હૈ બેકાર તુમ્હારે..’ ફિલ્મનું નામ હતું ‘વાપસ’ જે ૧૯૪૩માં રીલીઝ થઇ હતી.

વર્ષો પછી એક ઈન્ટરવ્યુંમાં લતાજીએ કહ્યું હતું કે. ‘તે ગીત સાંભળીને નૂરજહાં એવું બોલ્યા હતાં કે, તું ખુબ સારું ગાઈ રહી છે. રીયાઝ કરતી રહેજે, એક દિવસ તું જરૂર સારી ગાયિકા બનીશ.’
ત્યારબાદ ૧૯૪૭માં હિન્દુસ્તાનના ભાગલાં પડ્યા, અને નૂરજહાં પાકિસ્તાન સ્થિત કરાંચી શહેરમાં જઈ વસ્યાં.

એ પછી નૂરજહાં અને લતાજી વચ્ચે અવારનવાર ટેલીફોનીક વાર્તાલાપની સાથે સાથે ગીતોના આલાપની આપ લે પણ થતી.

એ ટેલીફોનીક સત્સંગ ધીમે ધીમે એટલો ગાઢ થઇ ગયો કે. ૧૯૫૦માં લતાજી તેની બન્ને બહેનો, ઉષા મંગેશકર અને મીના મંગેશકર સાથે વાઘા બોર્ડર પર મળવા ગયાં મેડમ નૂરજહાંને. અને મેડમ નૂરજહાં તેમના ઘરેથી એક મોટા પાત્રમાં બિરયાની બનાવીને લાવ્યાં હતાં. અને વાઘા બોર્ડર પર નૂરજહાં અને મંગેશકર સિસ્ટર્સએ બિરયાનીનો લુફ્ત ઉઠાવ્યો હતો ૧૯૫૦માં.

ઘણા વર્ષો પછી દર વરસે મે અને જૂન મહિના દરમિયાન મેડમ નૂરજહાં લંડન જતાં અને લતાજી પણ તે સમયે લંડન આવતાં.
અને નૂરજહાં માટે લતાજી ખૂદ રસોઈ બનાવતા હતાં, લંડનમાં.

વર્ષ ૧૯૮૨માં જયારે અંતિમ વખત નૂરજહાં ઇન્ડિયા (મુંબઈ) આવ્યાં હતાં ત્યારે તેમનું શાનદાર સ્વાગત કર્યું હતું લતા મંગેશકર અને દિલીપકુમારે.

લતાજીએ તેમના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે. નૂરજહાંના આખરી દિવસોમાં તેમને ડાયાલીસીસ પર રાખવમાં આવ્યાં હતાં, તેમની કીડની ડેમેજ થઇ ગઈ હતી. તેમના દર્દની પીડા પણ તેઓ લતાજી જોડે ફોન કોલ્સમા શેર કરતાં હતાં.

જોગાનુજોગ જુઓ.... ૨૩ ડીસેમ્બર ૨૦૦૦ના દિવસે નૂરજહાંનું ઇન્તેકાલ થયું તે ખબર જયારે લતાજીને મળ્યાં ત્યારે.... લતાજી કોલ્હાપુરમાં હતાં. એ જ કોલ્હાપુર જ્યાં બંનેની પહેલી મુલાકાત થઇ હતી.

આગામી કડી..

‘ચુરા લિયા હૈ તુમને જો દિલ કો....’

હવે પછીની કડી માટે જે અભિનેત્રીના નામનો ઉલ્લેખ કરવા જઈ રહ્યો છું, તેની ઓળખ માટે ઉપરોક્ત ગીતના શબ્દો કાફી છે.

જી હાં, બોલ્ડ એન્ડ બ્યુટીફૂલ જીન્નત અમાન.

જીન્નત અમાનના અનેક કિરદારમાંથી બે કિરદાર ચર્ચિત રહ્યાં.

પહેલું ‘હરે રામ હરે ક્રિશ્ના’માં ‘જેનીશ’નું કેરેક્ટર અને
બીજું ‘સત્યમ શિવમ સુન્દરમ્’માં ‘રૂપા’નું કેરેક્ટર.

ધ ગ્રેટ શો મેન રાજ કપૂર તેની રૂપા ક્યાં અને કરી રીતે મળી ? તે વિષે વાત કરીશું આગામી કડીમાં.

વિજય રાવલ
૦૬/૦૯/૨૦૨૨