Satya ae j Ishwar chhe - 29 in Gujarati Fiction Stories by Mahatma Gandhi books and stories PDF | સત્ય એ જ ઈશ્વર છે - 29

Featured Books
Categories
Share

સત્ય એ જ ઈશ્વર છે - 29

૨૯. ગીતાનો સંદેશ

૧. સન ૧૮૮૮-૮૯માં જ્યારે ગીતાનું પ્રથમ દર્શન થયું ત્યારે જ મને એમ લાગ્યું કે આ ઐતિહાસિક ગ્રંથ નથી પણ તેમાં ભૌતિક યુદ્ધના વર્ણનને નિમિત્તે પ્રત્યેક મનુષ્યના હ્યદયની અંદર નિરંતર ચાલતા દ્રંદ્રયુદ્દનું જ વર્ણન છે, માનુપી યોદ્ધાઓની રચના હ્ય્દયગત યુદ્ધને રસિક બનાવવાને સારુ ઘડેલી કલ્પના છે. આ પ્રાથમિક સ્ફુરણા, ધર્મનો અને ગીતાનો વિશેષ વિચાર કર્યા પછી પાકી થઇ. મહાભારત વાંચ્યા પછી મજકૂર વિચાર વળી દૃઢ થયો. મહાભારત ગ્રંથને હું આધુનિક અર્થમાં ઇતિહાસ નથી ગણતો. તેમાં સબળ પ્રમાણ આદિપર્વમાં જ છે. પાત્રોની અમાનુષી અને અતિમાનુષી ઉત્પત્તિ વર્ણવી વ્યાસ ભગવાને રાજા-પ્રજાનો ઇતિહાસ ભુંસી નાખ્યો છે. તેમાં વર્ણવેલાં પાત્રો મૂળે ઐતિહાસિક ભલે હોય, પણ મહાભારતમાં તો તેમનો ઉપયોગ વ્યાસ ભગવાને કેવળ ધર્મનું દર્શન કરાવવાને સારુ જ કરેલો છે.

૨. મહાભારતકારે ભૌતિક યુદ્ધની આવશ્યકતા સિદ્ધ નથી કરી; તેની નિરર્થકતા સિદ્ધ કરી છે. વિજેતાની પાસે રુદન કરાવ્યું છે, પશ્ચાત્તાપ કરાવ્યો છે ને દુઃખ સિવાય બીજું કંઇ રહેવા નથી દીધું.

૩. આ મહાગ્રંથમાં ગીતા શિરોમણિરૂપે બિરાજે છે તેનો બીજો અધ્યાય ભૌતિક યુદ્ધવ્યવહાર શીખવવાને બદલે સ્થિતપ્રજ્ઞનાં લક્ષણ શીખવે છે. સ્થિતપ્રજ્ઞને ઐહિક યુદ્ધની સાથે સંબંધ ન હોય એવું તેના લક્ષણમાં જ છે એમ મને તો ભાસ્યું છે. સામાન્ય કૌટુંબિક ઝઘડાની યોગ્યતા અયોગ્યતાનો નિર્ણય કરવાને સારુ ગીતા જેવું પુસ્તક ન સંભવે.

૪. ગીતાના કૃષ્ણ મૂર્તિમંત શુદ્ધ સંપૂર્ણ જ્ઞાન છે પણ કાલ્પનિક છે. અહીં કૃષ્ણ નામે અવતારી પુરુષનો નિષેધ નથી. માત્ર સંપૂર્ણ કૃષ્ણ કાલ્પનિક છે. સંપૂર્ણાવતારનું થયેલું આરોપણ છે.

૫. અવતાર એટલે શરીરધારી પુરુષવિશેષ. જીવમાત્ર ઇશ્વરનો અવતાર છે, પણ લૌકિક ભાષામાં બધાને આપણે અવતાર નથી કહેતા. જે પુરુષ પોતાના યુગમાં સૌથી શ્રેષ્ઠ ધર્મવાન છે તેને ભવિષ્યની પ્રજા અવતારરૂપે પૂજે છે. આમાં મને કંઇ દોષ નથી લાગતો; એમાં નથી ઇશ્વરની મોટાઇને ઝાંખમ, નથી એમાં સત્યને આઘાત. ‘આદમ ખુદા નહી; લેકિન ખુદાકે નૂરસે આદમ જુદા નહીં.’ એ વિચારશ્રેણીએ કૃષ્ણરૂપી સંપૂર્ણાવતાર આજે હિંદુ ધર્મમાં સામ્રાજ્ય ભોગવે છે.

૬. આ દૃશ્ય મનુષ્યની અંતિમ રૂડી અભિલાષાનું સૂચક છે. મનુષ્યને ઇશ્વરરૂપ થયા વિના સુખ વળતું નથી, શાંતિ થતી નથી. ઇશ્વરરૂપ થવાના પ્રયત્નનું નામ જ ખરો અને એકમાત્ર પુરુષાર્થ અને આ જ આત્મદર્શન. આ આત્મદર્શન બધા ધર્મોગ્રંથોનો વિષય છે તેમ ગીતાનોયે છે. પણ ગીતાકારે એ વિષયનું પ્રતિપાદન કરવા ગીતા નથી રચી. પણ આત્માર્થીને આત્મદર્શન કરવાનો એક અદ્રિતીય ઉપાય બતાવવાનો ગીતાનોઆશય છે. જે વસ્તુ હિંદુ ધર્મગ્રંથોમાં છૂટીછવાઇ જોવામાં આવે છે તેને ગીતાએ અનેક રૂપે, અનેક શબ્દેમાં, પુનરુક્તિનો દોષ વહોરીને પણ સારી રીતે જ સ્થપિત કરી છે.

૭. એ અદ્રિતીય ઉપાય છે કર્મફલત્યાગ.

૮. આ મધ્યબિંદુની આસપાસ ગીતાની ફૂલગૂંથણી છે. ભક્તિજ્ઞાન ઇત્યાદિ તેની આસપાસ તારામંડળરૂપે ગોઠવાઇ ગયાં છે. દેહ છે ત્યાં કર્મ તો છે જ. તેમાંથી કોઇ મુકત નથી. છતાં દેહને પ્રભુનું મંદિર કરી તે દ્ધારા મુકિત મળે છે એમ સર્વ ધર્મોએ પ્રતિપાદન કર્યું છે. પણ કર્મમાત્રમાં કંઇક દોષ તો છે જ. મુક્તિ તો નિર્દોષને જ હોય ત્યારે કર્મબંધનમાંથી એટલે દોષસ્પર્શમાંથી કેમ છુટાય ? આનો જવાબ ગીતાજીએ નિશ્ચયાત્મક શબ્દોમાં આપ્યો : ‘નિષ્કામ કર્મથી; યજ્ઞાર્થે કામ કરીને; કર્મફલત્યાગ કરીને, બધાં કર્મો કૃષ્ણાપર્ણ કરીને, એટલે જ મન, વચન, કાયાને ઇશ્વરમાં હોમી દઇને.’

૯. પણ નિષ્કામતા, કર્મફલત્યાગ, કહેવા માત્રથી નથી થતી. એ કેવળ બુદ્ધિનો પ્રયોગ નથી. એ હ્યદયમંથનથી જ ઉત્પન્ન થાય છે. એ ત્યાગશક્તિ ઉત્પન્ન કરવાનું સારુ જ્ઞાન જોઇએ. એક પ્રકારનું જ્ઞાન તો ઘણા પંડિતો પામે છે. વેદાદિ તેમને મોઢે હોય છે, પણ એમનામાંના ઘણા ભોગાદિમાં રચ્યાપચ્યા રહે છે. જ્ઞાનનો અતિરેક શુષ્ક પાંડિત્યરૂપે ન થાય, તેથી ગીતાકારે જ્ઞાનની સાથે ભક્તિને ભેળવી અને તેને પ્રથમ સ્થાન આપ્યું. ભક્તિ વિનાનું જ્ઞાન વીફરે. તેથી કહ્યું, ભક્તિ કરો તો જ્ઞાન મળી જ રહેવાનું. પણ ભક્તિ એ ‘શીશતણું સાટું’ છે. તેથી ગીતાકારે ભક્તનાં લક્ષણ સ્થિતપ્રજ્ઞના જેવાં વર્ણવ્યાં છે.

૧૦. એટલે ગીતાની ભક્તિ તે વેવલાપણું નહીં, અંધશ્રદ્ધા નહીં. ગીતામાં સૂચવેલા ઉપચારોને બાહ્ય યેષ્ટા કે ક્રિયાની સાથે ઓછામાં ઓછો સંબંધ છે. માળા, તિલક, અર્ધ્યાદિ સાધનો ભલે ભકત વાપરે પણ તે ભક્તિનાં લક્ષણ નથી. જે કોઇનો દ્ધેષ નથી કરતો, જે કરુણાનો ભંડાર છે, જે અહંતામમતાથી મુકત છે, જેને સુખદુઃખ, ટાઢતડકો સરખાં છે, જે ક્ષમાશીલ છે, જે સદાય સંતોષી છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઇશ્વરને અર્પણ કર્યાં છે, જેના નિશ્ચય કદી ફરતા નથી, જેણે મન અને બુદ્ધિ ઇશ્વરને અર્પણ કર્યા છે, જેનાથી લોકો ત્રાસતા નથી, જે લોકોનો ભય નથી રાખતો, જે હર્ષ, શોકભયાદિયી મુકત છે, જે પવિત્ર છે, જે કાર્યદક્ષ છે છતાં તટસ્થ છે, જે શુભાશુભનો ત્યાગ કરનારો છે, જે શત્રુમિત્ર પ્રત્યે સમભાવી છે, જેને માનઅપમાન સરખાં છે, જે સ્તુતિથી ફૂલાતો નથી, નિંદાથી ગ્લાનિ પામતો નથી, જે મૌનધારી છે, જેને એકાંત પ્રિય છે, જે સ્થિરબુદ્ધિ છે, તે ભક્ત છે. આ ભક્તિ આસકત સ્ત્રીપુરુષને વિશે સંભવે નહીં.

૧૧. એમાંથી આપણે જોઇએ છીએ કે જ્ઞાન પામવું, ભક્ત થવું એ જ આત્મદર્શન. આત્મદર્શન એ તેનાથી ભિન્ન વસ્તુ નથી. જેમ એક રૂપિયો દઇને ઝેર લાવી શકાય ને અમૃત પણ લાવી શકાય, તેમ જ્ઞાનને કે ભક્તિને બદલે બંધન પણ લાવી શકાય અને મોક્ષ પણ લાવી શકાય એમ નથી. અહીં તો સાધન અને સાધ્ય સાવ એક જ નહીં તો લગભગ એક જ વસ્તુ છે. સાધનની પરાકાષ્ઠા તે જ મોક્ષ. અને ગીતાનો મોક્ષ એટલે પરમ શાંતિ.

૧૨. પણ આવા જ્ઞાને અને ભક્તિએ કર્મફલત્યાગની કસોટીએ ચડવાનું રહ્યું. લૌકિક કલ્પનામાં શુષ્ક પંડિત પણ જ્ઞાનીમાં ખપે. તેને કશું કામ કરવાનું હોય નહીં. લોટો સરખો ઉપાડવો એ પણ તેને સારુ કર્મબંધન હોય ! યજ્ઞશૂન્ય જ્યાં જ્ઞાની ગણાય ત્યાં લોટો ઉપાડવા જેવી તુચ્છ લૌકિક ક્રિયાને સ્થાન જ ક્યાંથી હોય ?

૧૩. લૌકિક કલ્પનામાં ભક્ત એટલે વેવલો, માળા લઇને જપ જપનાર, સેવાકર્મ કરતાં પણતેની માળામાં વિક્ષેપ આવે, તેથી તે ખાવા પીવા વગેરે ભોગ ભોગવવાને સમયે જ માળાને હાથમાંથી મૂકે, ઘંટી ચલાવવાને સારુ કે દરદીની સારવાર કરવાને સારુ કદી નહીં.

૧૪. આ બંને વર્ગને ગીતાજીએ સ્પષ્ટ રીતે કહી દીધું, “કર્મ વિના કોઇ સિદ્ધિ પામ્યા નથી. જનકાદિ પણ કર્મ વડે જ્ઞાની થયા. જો હું પણ આળસરહિત થઇને કર્મ ન કર્યા કરું તો આ લોકોનો નાશ થાય.” તો પછી લોકોને વિશે તો પૂછવું જ શું હોય ?

૧૫. પણ એક તરફથી કર્મમાત્ર બંધનરૂપ છે એ નિર્વિવાદ છે. બીજી તરફથી દેહી ઇચ્છા - અનિચ્છાએ પણ કર્મ કર્યા કરે છે. શારીરિક કે માનસિક ચેષ્ટામાત્ર ધર્મ છે. ત્યારે કર્મ કરતો છતો મનુષ્ય બંધનમુકત કેમ રહે ? આ કોયડાનો ઉકેલ ગીતાજીએ જેવી રીતે કર્યો છે તેવો બીજા એક પણ ધર્મગ્રંથે કર્યો મારી જાણમાં નથી. ગીતા કહે છે : ‘ફલાસક્તિ છોડો, ને કર્મ કરો,’ ‘નિરાસી થાઓ ને કર્મ કરો,’ ‘નિષ્કામ થઇને કર્મ કરો,’ એ ગીતાજીનો ન ભુલાય એવો ધ્વનિ છે. કર્મ છોડે તે પડે. કર્મ કરતો છતો તેનાં ફળ છોડે તે ચડે.

ફલત્યાગ એટલે પરિણામને વિશે બેદરકારી એવો અર્થ નથી. પરિણામ, સાધનનો વિચાર અને તેનું જ્ઞાન અત્યાવશ્યક છે. એ થયા પછી જે મનુષ્ય પરિણામની ઇચ્છા કર્યા વિના સાધનમાં તન્મય રહે છે તે ફલત્યાગી છે.

૧૬. પણ અહીં ફલત્યાગ એટલે ત્યાગીને ફળ મળતું નથી એવોય અર્થ કોઇ ન કરે. ગીતાજીમાં એવા અર્થને ક્યાંયે સ્થાન નથી. ફલત્યાગ એટલે ફળને વિશે આસક્તિનો અભાવ. ખરું જોતાં ફલત્યાગીને હજારગણું ફળ મળે છે. ગીતાના ફલત્યાગમાં તો અખૂટ શ્રદ્ધાની પરીક્ષા છે. જે મનુષ્ય પરિણામનું ધ્યાન ધર્યા કરે છે તે ઘણી વાર કર્મ - કર્તવ્યભ્રષ્ટ થાય છે. તેને અધીરાઇ આવે છે, તેથી તે ક્રોધને વશ થાય છે, ને પછી તે ન કરવાનું કરવા માંડે છે. એક કર્મમાંથી બીજામાં ને બીજામાંથી ત્રીજામાં પડ્યે જાય છે. પરિણામનું ચિન્તવન કરનારની સ્થિતિ વિષયાન્ધના જેવી થઇ જાય છે, ને છેવટે તે વિષયીની જેમ સારાસારનો, નીતિઅનીતિનો વિવેક છોડી દે છે, ને ફળ મેળવવા સારુ ગમે તે સાધનનો ઇપયોગ કરે છે, ને તેને ધર્મ માને છે.

૧૭. ફલાસક્તિનાં આવાં કડવાં પરિણામોમાંથી ગીતાકારે અનાસક્તિનો એટલે કર્મફલત્યાગનો સિદ્ધાંત ઘટાવ્યો ને જગતની પાસે અતિશય આકર્ષક ભાષામાં મૂક્યો.

સામાન્ય માન્યતા એવી હોય કે ધર્મ અને અર્થ વિરોધી વસ્તુ છે. “વ્યાપાપ ઇત્યાદિ લૌકિક વ્યવહારમાં ધર્મ સચવાય નહીં, ધર્મને સ્થાન હોય નહીં; ધર્મનો ઉપયોગ કેવળ મોક્ષને અર્થે કરાય. ધર્મને સ્થાને ધર્મ શોભે, અર્થને સ્થાને અર્થ.” મારી મતિ પ્રમાણે, ગીતાકારે આ વહેમને દૂર કર્યો છે. તેણે મોક્ષ અને વ્યવહાર વચ્ચે આવો ભેદ રાખ્યો નથી. પણ વ્યવહારમાં ધર્મને ઉતાર્યો છે. જે ધર્મ વ્યવહારમાં ન લાવી શકાય તે ધર્મ નથી એવી સૂચના ગીતામાં છે એમ મને લાગ્યું છે. એટલે ગીતાના અભિપ્રાય પ્રમાણે જે કર્મ આસક્તિ વિના થઇ જ ન શકે એવાં હોય તે બધાં ત્યાજ્ય છે. આવો સુર્વણ નિયમ મનુષ્યને અનેક ધર્મસંકટોમાંથી બચાવે છે. આ અભિપ્રાય પ્રમાણે ખૂન, જૂઠું, વ્યભિચાર ઇત્યાદિ કર્મો સહેજે ત્યાજ્ય થઇ જાય છે, મનુષ્યજીવન સરળ થાય છે ને સરળતામાંથી શાંતિ ઉદ્‌ભવે છે.

૧૮. આ વિચારશ્રેણીને અનુસરતાં મને એમ લાગ્યું છે કે ગીતાજીના શિક્ષણને અમલમાં મૂકનારને સહેજે સત્ય અને અહિંસાનું પાલન કરવું પડે છે. ફલાસક્તિ વિના મનુષ્યને નથી અસત્ય બોલવાની લાલચ થતી, નથી હિંસા કરવાની. ગમે તે હિંસાનું કે અસત્યનું કાર્ય આપણે લઇએ તો એમ જણાશે કે તેની પાછળ પરિણામની ઇચ્છા રહેલી જ છે.

પણ અહિંસાનું પ્રતિપાદન ગીતાનો વિષય નથી. કેમ કે ગીતાકાળની પૂર્વ પણ અહિંસા પરમ ધર્મ રૂપે મનાતી હતી. ગીતાને તો અનાસક્તિનો સિદ્ધાંત બતાવવો હતો. બીજા અધ્યાયમાં જ આ વાત સ્પષ્ટ થઇ જાય છે.

૧૯. પણ જોગીતાને અહિંસા માન્ય હતી અથવા અનાસક્તિમાં અહિંસા સહેજે આવી જ જાય છે તો ગીતાકારે ભૌતિક યુદ્ધને ઉદાહરણરૂપે પણ કેમ લીધું ? ગીતાયુગમાં અહિસાં ધર્મ મનાતા છતાં ભૌતિક યુદ્ધ સર્વસામાન્ય વસ્તુ હોઇ ગીતાકારને એવા યુદ્ધનું ઉદાહરણ લેતાં સંકોચ ન થયો, ન થાય.

૨૦. પણ ફલત્યાગના મહત્ત્વનું માપ કાઢતાં ગીતાકારના મનમાં શા વિચાર હતા, તેણે અહિંસાના મર્યાદા ક્યાં બાંધી હતી, તે આપણે વિચારવાપણું નથી રહેતું. કવિ મહત્ત્વના સિદ્ધાંતો જગતની આગળ મૂકે છે; તેથી તે હમેશાં પોતે આપેલા સિદ્ધાંતોનું મહત્ત્વ સંપૂર્ણતાએ ઓળખે જ છે, અથવા ઓળખ્યા પછી બધું ભાષામાં મૂકી શકે છે, એમ નથી હોતું. એમાં કાવ્યનો અને કવિનો મહિમાં છે. કવિના અર્થનો અંત જ નથી.

જેમ મનુષ્યનો તેમજ મહાવાક્યોના અર્થનો વિકાસ થયા જ કરે છે. ભાષાઓનો ઇતિહાસ તપાસીએ તો આપણે જોઇએ છીએ કે ઘણા મહાન શબ્દોના અર્થ નિત્ય નવા થયા કર્યા છે, તેમ ગીતાના અર્થને વિશે પણ છે. ગીતાકારે પોતે મહાન રૂઢ શબ્દોના અર્થ વિસ્તાર્યા છે. ગીતા ઉપરટપકે તપાસતાં પણ આપણે એ જોઇ શકીએ છીઅ. ગીતાયુગ પૂર્વ કદાચ યજ્ઞમાં પશુહિંસા માન્ય ગણાતી હોય. ગીતાના યજ્ઞમાં તેની ગંધ સરખીયે નથી. તેમાં તો જપયજ્ઞ એ યજ્ઞનો રાજા છે. ત્રીજો અધ્યાય સૂચવે છે કે યજ્ઞ એટલે મુખ્યપણે પરોપકારાર્થે શરીરનો ઉપયોગ, ત્રીજો અને ચોથો અધ્યાય મેળવીને બીજી વ્યાખ્યાઓ પણ ઘટાડી શકાય. પણ પશુહિંસા નહીં ઘટાવાય.

ગીતાના સંન્યાસના અર્થને વિશે તેમ જ છે. કર્મમાત્રનો ત્યાગ ગીતાના સંન્યાસનો ભાવતો જ નથી. ગીતાનો સંન્યાસી અતિ-કર્મી છે છતાં અતિ-અ-કર્મી છે; આમ ગીતાકારે મહાન શબ્દોના વ્યાપક અર્થ કરીને પોતાની ભાષાનો પણ વ્યાપક અર્થ કરવાનું આપણને શીખવ્યું છે. ભૌતિક યુદ્ધ સંપૂર્ણ કર્મફલત્યાગીથી થઇ શકે એવું ગીતાાકારની ભાષના અક્ષરમાંથી ભલે નીકળતું હોય, પણ ગીતાના શિક્ષણને પૂર્ણતાએ અમલમાં મૂકવાનો લગભગ ૪૦ વર્ષ પર્યંત સતત પ્રયત્ન કરતાંમને તો નમ્રપણે એમ લાગ્યું છે કે સત્ય અને અહિંસાના સંપૂર્ણ પાલન વિના સંપૂર્ણ કર્મફલત્યાગ મનુષ્યને વિશે અસંભવિત છે.

૨૧. ગીતા સૂત્રગ્રંથ નથી. ગીતા એક મહાન ધર્મકાવ્ય છે. તેમાં જેમ ઊંડા ઊતરો તેમ તેમાંથી નવા અર્થો મેળવો. ગીતા જનસમાજને સારુ હોઇ તેમાં એક જ વસ્તુને ઘણી રીતે કહી દીધી છે. એટલે ગીતામાં આવેલા મહાશબ્દોના અર્થ યુગેયુગે બદલાશે ને વિસ્તાર પામશે. ગીતાનો મૂળ મંત્ર કદી નહીં બદલાય. એ મંત્રને જે રીતે સાધી શકાય તે રીતે જિજ્ઞાસુ ગમે તે અર્થ કરે.

૨૨. ગીતા વિધિનિષેધ બતાવનાર સંગ્રહગ્રંથ પણ નથી. એકને સારુ જે વિહિત હોય તે બીજાને સારુ નિષિદ્ધ હોય. એક કાળે કે એક દેશમાં જે વિહિત હોય તે બીજે કાળે, બીજા દેશમાં નિષિદ્ધ હોય. નિષિદ્ધ માત્ર ફલાસક્તિ છે, વિહિત અનાસક્તિ છે.

૨૩. ગીતામાં જ્ઞાનનો મહિમા જળવાયો છે. છતાં ગીતા બુદ્ધિગમ્ય નથી, એ હ્ય્દયગમ્ય છે તેથી તે અશ્રદ્ધાળુને સારુ નથી. ગીતાકારે જ કહ્યું છે :

“જે તપસ્વી નથી, જે ભક્ત નથી, જે સાંભળવા ઇચ્છતો નથી અને જે મારો દ્રેષ કરે છે તેને આ (જ્ઞાન) તું કદી ન કહેજે. પણ આ પરમ ગુહ્ય જ્ઞાન જે મારા ભક્તોને આપશે તે મારી પરમ ભક્તિ કરવાથી નિઃશંક મને પામશે. વળી જે મનુષ્ય દ્રેષરહિંત થઇને શ્રદ્ધાપૂર્વક માત્ર સાંભળશે તે પણ મુકત થઇને પુણ્યવાન જ્યાં વસે છે તે શુભલોકને પામશે.”

પ્રસ્તાવના ૨, અનાસક્તિયોગ, પા. ૧૬