vrudhdhasharm books and stories free download online pdf in Gujarati

વૃધ્ધાશ્રમ

વૃધ્ધાશ્રમ

(મરેલ જીવિત આશાઓનું ઘર)


    “ નાવ આઈ એમ રિકવેસ્ટિંગ ટુ મિ. જયેશ ફોર ગીવ સમ વર્ડસ ઓન ધિસ ઓકેશન.” - માઇક પર આવો અવાજ સંભળાયો જે આ પ્રોગ્રામના એન્કર દ્વારા એકદમ મધુર અને સુરીલા અવાજમાં બોલાયેલ હતાં.

    સ્ટેજ પરથી આવો અવાજ સાંભલાતાની સાથેજ આખો હોલ તાળીઓના ગળગળાટ સાથે ગુંજી ઉઠ્યો.મિ. જયેશનું નામ આવતા જ બધા એકદમ આનંદમાં આવી ગયા. મિ. જયેશએ આ સોસાયટીના નામાંકિત બિઝનેસમેન હતાં.

    મિ. જ્યેશે માઇક હાથમાં લીધું અને બોલવાનું શરૂ કર્યું,

“ મિત્રો ! હું કંઈ એટલો મહાન વ્યક્તિ નથી,જેટલો તમે મને માનો છો, હું તમારા માંથી જ આગળ આવેલ એક વ્યક્તિ કે તમારો જ એક મિત્ર છું, હું માત્ર એટલું જ કહેવા માંગીશ કે જો તમને સમાજ માટે કોઈ સારા કર્યો કરવાનો મોકો મળે તો ઈશ્વરનો આભાર માનજો કે આવા શુભ કાર્યોમાં ઈશ્વરે તમારી પસંદગી કરી છે, આ ઉપરાંત તમારા દ્વારા કરાયેલા સારા અને નેક કાર્યોનું પરિણામ તમને ચોક્કસ મળે જ છે, જરૂર છે, તો માત્ર હૈયે હામ રાખવાની, અને આવુ કરવામાં તમને ઘણી તકલીફો પણ આવી શકે છે, જેના દ્વારા ભગવાન તમારી કસોટી કરી રહ્યા હોય એવું પણ બની શકે.


***************************************************

    જયેશ નાનપણથી જ ભણવામાં ખૂબ જ હોશિયાર અને તેજસ્વી વિદ્યાર્થી હતો, પોતે એકદમ મધ્યમ વર્ગમાંથી આવતો હતો,નાનપણથી જ જયેશના માતપિતા જયેશ જ્યારે 8 વર્ષનો હતો, ત્યારે જ એક અકસ્માતમાં મૃત્યુ પામ્યા હતાં, આથી જયેશ નાનપણથી જ કોઈ નાનું મોટું કામ કરી, પોતાના ખપ પૂરતું કમાઈ લેતો હતો….

    આપણા સમાજમાં શિક્ષકોને ગુરુ કહેવામાં આવે છે પરંતુ જયેશ માટે તેની પરિસ્થિતિ જ તેના માટે સાચા અર્થમાં તેના શિક્ષક હતાં…જેણે શિખવ્યું હતું કે લાઈફમાં આવતી મુશ્કેલીઓનો કંઈ રીતે સામનો કરવો……

     જયેશ નાનપણથી જ કામ કરતો જતો હતો અને સાથે -સાથે ભણતો પણ જતો હતો, અને ધીમે - ધીમે તેણે પોતાની આસપાસની દુનિયા અને લોકોને ખૂબ જ સારી રીતે સમજી લીધા હતાં.

     હાલમાં જયેશ આવા બાળકો કે જેના પર તેના માતાપિતાનો છાંયડો ના હોય તેવા બાળકોને દત્તક લઇ તમને સમાજમાં યોગ્ય સ્થાન અને માન અપાવે છે...જેના માટે તેણે એક અનાથાશ્રમ પણ બંધાવેલ હતું, અને પોતાના એકદમ વ્યસ્ત શેડ્યુલમાંથી પણ જયેશ દરરોજ એક કલાક તો આ બધા બાળકો માટે ફાળવતો જ હતો, જે દર્શાવી રહ્યું હતું કે જયેશને આ બધા બાળકો પ્રત્યે કેટલી લાગણીઓ હશે….

      

****************************************************

    એકદિવસ જયેશ પોતાની આલીશાન ઓફિસમાં બેઠેલો હતો અને પોતાની કંપનીના એક પ્રોજેકટ પર નજર કરી રહ્યો હતો તે દરમિયાન ઓફિસનો પ્યુન આવ્યો અને કહ્યું કે….

“નમસ્તે ! સાહેબ.”

“ હા ! નમસ્તે...બોલો??”

“ સાહેબ આપણી ઓફિસના રિસેપશન કાઉન્ટર પર સાત - આઠ વૃદ્ધ વ્યક્તિઓ આવેલા છે...જે તમને મળવા માંગે છે.”

“ કોણ છે ..? એ બધા ?...ક્યાંથી આવે છે…?”

“સાહેબ ! એ લોકો એ કંઈ જણાવતા નથી કહે છે કે અમારા બધાની એકવાર તમારા સાહેબ….જયેશભાઇ સાથે મુલાકાત કરાવો.”

“સારૂ ! મોકલો એ બધાંને મારી ઓફિસમાં.” - જ્યેશે પ્યુનને ઈશારો કરતા કહ્યું.

“ જી ! સાહેબ.”- આટલું બોલી પેલો પ્યુન જતો રહ્યો.


     થોડીવાર બાદ પેલા બધા વૃદ્ધ માણસો જયેશની ઓફિસમાં આવ્યા, જેને જોતા એવું લાગી રહ્યું હતું કે આ બધા પરિસ્થિતિના નહીં પરંતુ પોતાના દ્વારા જ માર્યા છે….બધા વૃદ્ધ લોકો એકપછી એક એમ કરતાં કરતાં ઓફિસમાં પ્રવેશયા, જાણે જિંદગીના રસ્તા પર મૃત્યુની રાહ જોઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું હતું, સૌ કોઈ એકદમ નિરાશ અનેે જિંદગી પ્રત્યે કોઈ રસ જ ના રહ્યો હોય તેવા એકદમ નિરાશ લાગી રહ્યા હતાં, બધા વડીલોએ જયેશને હાથ જોડી નમસ્કાર કર્યા, અને જ્યેશે બધા વૃધ્ધોને પોતાની ઓફિસમાં રહેલ ખુરશી પર બેસવા માટે ઈશારો કર્યો, ત્યારબાદ જયેશે ટેબલ પર રહેલ બેલ વગાડી એને પ્યુનને આ બધાં માટે પાણી લાવવા માટેનો આદેશ કર્યો.

     થોડીક વારમાં પેલો પ્યુન બધા માટે પાણી લઈને આવ્યો, પાણી પીધાં બાદ બધા વૃધ્ધોએ જયેશને મનોમન આશીર્વાદ આપ્યા અને રાહતનો શ્વાસ લીધો.

     ત્યારબાદ જ્યેશે બધા વૃધ્ધોને પૂછ્યું કે …

“હા ! બોલો ! શા માટે અચાનક મારી ઓફિસમાં તમારે આવવાની જરૂર પડી ?”

 બધા વડીલોએ કહ્યું કે, “ સાહેબ ! આપણા ગુજરાતમાં કહેવત છે કે “જેને કોઈના પહોંચે તેને તેનું પેટ પહોંચે,” સાહેબ આ કહેવત જાણે અમારા માટે જ લખાયેલ હોય એવુ અમને લાગે છે.”

“મને ! આખી વાત સવિસ્તાર જણાવશો?”

“સાહેબ ! અમે બધા પરિસ્થિતિ નહિ પરંતુ અમારા પોતાના જ અમારા દીકરા દ્વારા જ તરછોડાયેલા છીએ, અને અમે આપણા ગામમા આવેલ ‘દીકરાનું ઘર’ વૃદ્ધાશ્રમમાં ઘણાં વર્ષોથી રહીએ છીએ, પરંતુ……”

‘પરંતુ ….પરંતુ...શું….?....મને તમારી સાથે જે કંઈ બન્યું છે, તે કોઈપણની બીક કે ડર રાખ્યા વગર જણાવી શકો છો.”

“સાહેબ ! એ વૃદ્ધાઆશ્રમ શહેરનાં એકદમ હાઇવે પાસે આવેલું છે, અને કોન્ટ્રાક્ટર ત્યાં આલીશાન હોટલ બનાવવા માંગે છે, અને અમને કહ્યું છે કે આ આશ્રમ એક અઠવાડિયાની અંદર ખાલી કરવાનો છે, જો અમે એમ નહિ કરીશું તો અમારો સામાન એ લોકો, આશ્રમની બહાર ફેંકી દેશે, અમારા આશ્રમના સ્થાપક અને સંચાલકો પણ, આશ્રમના બદલે મોટી રકમ મળતી હોવાથી, એ બધાના મો માંથી લાળો ટપકવા લાગી છે,અને એ બધા પેલા કોન્ટ્રાક્ટરની સાથે જ ભળી ગયાં છે,અમે વિવિધ પ્રકારના ઘણા ઓફિસરો પાસે અમારા પ્રશ્નની રજુઆત પણ કરી પરંતુ અમારી વાત કે રજુવાતને કોઈએ ધ્યાને ના ધરી, આથી અમને કોઈએ કહ્યું કે તમે જયેશભાઇ પાસે જાવ તે તમને ચોક્કસ મદદ કરશે, અને અમે બધા તમારી પાસે ખૂબ જ મોટી અપેક્ષાઓ લઈને આવ્યા છીએ.” - આટલું બોલી બધા વૃદ્ધ લોકોની આંખમાં આંસુ આવી ગયાં અને રડવા લાગ્યા.

   એક વૃદ્ધએ રડતા - રડતા કહ્યું કે, “ સાહેબ ! મહેરબાની કરીને અમારી મદદ કરો, નહીંતર અમારે અમારી જિંદગીમાં બીજી વખત બેઘર થવાનો વારો આવશે….” - આ વૃદ્ધના શબ્દો જયેશના હૃદયને એક તીરની માફક  ચીરીને આરપાર નીકળી ગયાં, અને જયેશ બધાને સાંત્વના આપતા કહ્યુ કે, …..

“તમે બધા ! હવે કઈ ચિંતા ના કરો, હું જરૂર તમને મદદ કરી, હવેથી તમારો પ્રોબ્લેમ એ મારો પ્રોબલમ સમજીને તમે બધા જાવ, હું તમને કોઈપણ સંજોગોમાં બેઘર નહીં થવા દઈશ”

     ત્યારબાદ બધા વૃદ્ધ લોકો, પોતાના બનેવ હાથ જોડીને જયેશભાઈનો આભાર માનીને જતા રહ્યાં.

     પછી જયેશે પોતાના સેક્રેટરી કુમારને પોતાની ઓફિસમાં બોલાવી અને આ વૃદ્ધાશ્રમના માલિક સાથે વાત કરવા માટે જણાવ્યું, કુમારે પેલા વૃદ્ધાઆશ્રમના માલિક સાથે વાત કરી, તેણે આપેલ જવાબ જયેશભાઈને જણાવતા કહ્યું કે……

“સાહેબ ! મેં પેલા વૃદ્ધાઆશ્રમના માલિક સાથે વાત કરી, પરંતુ તેણે મને ખુબ જ ઉદ્ધતાઈપૂર્વક જવાબ આપતા કહ્યું કે…...એ સંપતિ મારા બાપની છે, હું એ સંપત્તિનું ધારું એ કરું, તમે મને કહેવા વાળા કોણ ?....મેં તેને કહ્યું કે તમે જરાક આ વૃદ્ધ લોકોનો તો જરાક વિચાર કરો… તો તેણે મને જવાબ આપ્યો કે એ ક્યાં મારા સગા મા - બાપ છે, કદાચ તમે મારા પિતા કે જેણે આ આશ્રમ બંધાવ્યો હતો તેને કદાચ આ વાત કરી હોત તો તે પીગળી ગયા હોત, પરંતુ મારા નિર્ણયમાં કોઇ જ બદલાવ નહીં આવે….અને મને આ જમીનના બદલામાં બજાર કરતા ખૂબ જ વધારે ભાવ મળે છે...માટે હું એ વેચીને જ રહીશ….જો એ બધા લોકો એક અઠવાડિયામાં આશ્રમ ખાલી નહિ કરે, તો તેનો બધો જ સામાન હું બહાર રસ્તા પર ફગાવી દઈશ.

    

  પોતાના સેક્રેટરી કુમારની આ વાત સાંભળી, તેના દ્વારા બોલાયેલા દરેક શબ્દો, કે જે પેલા વૃદ્ધાશ્રમના માલિક દ્વારા બોલાયેલા હતાં, તે બધા જ શબ્દો જયેશના હૃદયની આરપાર એક વેદના સાથે સોંસરવો નીકળી ગયાં, અને તેના મન પર આ આખી ઘટના લાગી આવી, અને પોતે મનોમન ખૂબ જ દુઃખ અનુભવતો હતો. જયેશ એક પ્રકારની બેચેની અનુભવી રહ્યો હતો. એ દિવસે રાતે જયેશ ચિંતાને લીધે ઊંઘી પણ શકયો ન હતો.


****************************************************

   બીજે દિવસે સવારે જયેશે પોતાની ઓફિસમાં પહોંચતાની સાથે જ તેણે પોતાની ઓફિસમાં શહેરના નામાંકિત કોન્ટ્રાક્ટરને બોલાવી, શહેરમાં આવેલ પોતાની કંપનીની જમીન પર તાત્કાલિક એક વૃદ્ધાઆશ્રમ બાંધવા માટેની સૂચના આપી, અને એ પણ એક અઠવાડિયાની અંદર,પછી ભલે તેને વધારે મજૂરો રાખવા પડે, કે પછી દિવસ -રાત સાઇટ પર કામ કરવું પડે, પરંતુ એક અઠવાડિયા માં વૃદ્ધાશ્રમ તૈયાર થઈ જવુ જોઈએ…..આ તેની મુખ્ય શરત હતી.

    ધીમે - ધીમે જયેશની મહેનત રંગ લાવી અને એક અઠવાડિયામાં જ તેણે જે પ્રમાણે વિચારેલ હતું, તેવું જ વૃદ્ધાશ્રમ બનાવડાવ્યું, કે જેથી, પેલા પોતાની પાસે આવેલા બધા વૃધ્ધોને એક ઘર કે એક રહેઠાણ મળી જશે, જયાંથી હવે તેને કોઈ નહીં હટાવશે.

     ત્યારબાદ જયેશે એ વૃદ્ધાશ્રમને નામ આપ્યું…...આશા….અને ભવ્ય ઉદ્ઘાટન સમારોહ ગોઠવ્યો, અને પોતે બનાવડાવેલા વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું.

     હાલતના માર્યા બધા વૃદ્ધોએ જયેશભાઈનો અંતરપૂર્વક ખૂબ ખૂબ આભાર માન્યો….જયેશે તે લોકો માટે જે કર્યું એ કદાચ તેનો પોતાનો સગા સંતાન પણ ના કરી શક્યા હોત.


**************************************************

   મિત્રો સમયને વીતતા વાર નથી લાગતો, ધીમે - ધીમે, દિવસો, અઠવાડિયા, મહીના અને વર્ષો વીતવા લાગ્યા, કોના નસીબમાં શું લખેલ હોય છે, એ કયારેય કોઈ જાણતું હોતું નથી.

પાંચ વર્ષ બાદ…………..


    એકવાર જયેશની ઓફિસમાં ફોન આવ્યો કે તેની બધી કંપનીમાં લાખો - કરોડો રૂપિયાનું નુકશાન આવ્યું છે, અને તેના બધા જ પાર્ટનર તેની કંપનીમાં કરોડો રૂપિયાનું કૌભાંડ કરીને નાસી છૂટયા છે, આથી જયેશને પોતાની બધી જ કંપની બંધ કરવી પડે તેવી નોબત આવી, જયેશને પોતાની સાથે શુ બની રહ્યું છે તે કઈ સમજાતું હતું નહીં, આથી આવી કઠિન પરિસ્થિતિમાં પણ જયેશે મન મક્કમ રાખીને પોતાની બધી જ કંપનીઓ બંધ કરીને વહેંચી દેવાનું નક્કી કર્યું, જેથી કરીને કંપની પર રહેલ બધું દેણું ચૂકવી શકાય, આથી પોતાની બધી જ કંપનીઓ વેચીને પોતાની કંપની પર રહેલ દેવું ચૂકતે કર્યું, જયેશે પોતાના શહેરમાં આવેલ મુખ્ય કંપની ના વહેંચી…….

   જયેશ મનોમન ખૂબ જ ચિંતિત હતો કે હવે પોતાનું, પોતાના પરિવારનું, પોતાની કંપનીનું અને કંપનીમાં કામ કરતા બધા મજૂરોનું શુ થશે…..????.....આવા વિચારોને લીધે જયેશ ખૂબ જ ચિતા કરી રહ્યો હતો.

   એક દિવસ રાત્રે જયેશને આવા વિચારો આવવાને લીધે ઊંઘ આવી રહી ન હતી, અને રાતે 3 કલાકની આસપાસ એકદમ શાંત વાતાવરણમાં એકાએક ફોન રણક્યો, આવા સમયે ફોનની રિંગ સંભળાવાને લીધે જયેશના મનમાં ઘણા વિચારો આવ્યા, અને લાગ્યું કે જરૂરથી કંઇક અણબનાવ બન્યો હશે….અને ખરેખર એવું જ બન્યું.

   જયેશે ફોનની ડિસ્પ્લેમાં નજર કરી, તો ડિસ્પ્લે પર નામ લખેલ હતું ….કુમાર સેક્રેટરી….આથી હવે પોતાના મનમાં જે શંકા હતી, તે હકીકતમાં પરણમવાની હોય તેવું લાગ્યું, જયેશે થોડુંક અચકાતા ફોન રિસીવ કર્યો.

“હેલો ! સર….હું કુમાર ….” - કુમાર થોડાક ગભરાયેલા અવાજમાં બોલ્યો.

“ હા ! કુમાર બોલો, કેમ આવી રીતે અડધી રાતે મને ફોન કરવાની જરૂર પડી….? અને તમે આટલા બધા ગભરાયેલા કેમ છો…???”

“સાહેબ ! વાત જ એવી છે…..આપણી શહેરમાં આવેલ એકની એક કંપનીમાં એકાએક આગ ફાટી નીકળી, અને આખે - આખી લાખો - કરોડોની સંપત્તિ, રાખનાં ઢગલામાં ફેરવાઈ ગઈ…..”

     આ સાંભળીને જયેશ એકદમ હતાશ અને ઉદાસ થઈ ગયો, જાણે કુદરતે તેના પાસેથી બધું જ છીનવી લેવાનું નક્કી કર્યું હોય તેવું લાગી રહ્યુ હતું, જાણે પોતાના હૃદય પર કોઈ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારવામાં આવે અને જેવી વેદના કે પીડા થાય, તેવી જ વેદના અત્યારે હાલ જયેશ અનુભવી રહ્યો હતો………

     એકસમયનો કરોડપતિ વ્યક્તિ એક જ ઝાટકામાં, કુદરતની એક જ લપડાકથી ગરીબ કે રોડપતિ બની ગયો, જયેશ વિચારી રહ્યો હતો કે તેનાથી જણાતા કે અજાણતા કોઈ સાથે ખોટું તો નથી થયું, તેમ છતાંપણ કુદરતે કેમ પોતાની સાથે આવું કર્યું…???...પોતાની પાસે જે કઈ હતું તે સર્વસ્વ એક જ ઝાટકામાં  છીનવાઈ ગયું…….

    ત્યારબાદ પોતાના પિતાની આવી કથળેલી સ્થિતિ જોઈ પોતાના સંતાન પણ તેને છોડીને જતા રહ્યા, માત્ર એક જ વ્યક્તિ તેની સાથે ઉભી રહી કે જેણે પોતાના પતિના ડગલે - પગલે સાથે ચાલવાની પ્રતિજ્ઞા લીધી હતી એ હતી તેની પત્ની સાવિત્રી જ એક હવે તેનો આધાર કે સર્વસ્વ હતી, પોતાની પાસે જો કોઈ અત્યાર સુધીની કમાણી બચી હોય તો એ હતી…...પોતાની પત્નીનો વિશ્વાસ………………

   સાગરમાં આવેલ તોફાન કદાચ આટલીવારમાં શાંત થઈ ગયું હોય પરંતુ કુદરત કે નસીબ હજુ, જયેશ પાસેથી છીનવવામાં શાંત નહોતું થયું, હાલ જે ઘરમાં રહેતા હતા તે ઘર પણ હવે ખાલી કરવાનો વારો આવ્યો.


***************************************************

     બીજે જ દિવસે લાખો કરોડો સંપત્તિનો માલિક પોતાના ઘરમાંથી માત્ર બે પોટલાં લઇ પોતાની પત્ની સાથે, જે થશે તે સારું જ થશે એવાં દ્રઢ વિશ્વાસ સાથે, નસીબ પર બધું છોડીને નીકળી પડયાં, હવે જયેશને એક વાતનું સુખ હતું કે હવે પોતાની પાસે ગુમાવવા માટે કઈ બચ્યું ન હતું….એટલે હવે કુદરત કે નસીબ કઈ છીનવી નહીં શકે...એ પોતાને ખ્યાલ આવી ગયો હતો….અને પોતાની પત્ની સાવિત્રીને તો કોઈ સાત જન્મ સુધી છીનવી શકે એટલી તાકાત તો કોઈ પાસે નહિ હોય …..કદાચ કુદરત કે નસીબ પાસે પણ નહિ.

    જેવા બનેવ પોતાના ઘરની બહાર નીકળી બે કિલોમીટર જેવું ચાલ્યા હશે, એટલામાં જયેશનો ફોન રણકી ઊઠ્યો…

“સાહેબ ! મને તમારી સાથે થયેલ બધી ઘટના ના સમાચાર મળ્યા...સાંભળીને ખૂબ જ દુઃખ થયું, આમ તો હું ખૂબ જ નાનો માણસ છું….પરંતુ મારા છોકરાના સ્કુલ ફંક્શનમાં તમે તેને ઇનામ આપ્યું હતું, ત્યારથી એ અને હું તમને મળવા માંગતા હતાં, પરંતુ આવી પરિસ્થિતિમાં તમને મળવાનું થશે એ મેં ક્યારેય વિચાર્યું ન હતું…….જો સાહેબ તમને કંઈ પ્રોબ્લમ ના હોય,તો હું તમારા માટે રહેવા તથા જમવાની વ્યવસ્થા કરી આપું.”

“ હા ! કઈ વાંધો નહિ.” - જયેશ પાસે આ સિવાય કોઈ રસ્તો પણ હતો નહીં, આથી તેણે પેલા વ્યક્તિની વાતમાં પોતાની સંમતિ દર્શાવી….

“ સાહેબ ! અત્યારે તમે કઈ જગ્યાએ છો?...હું તમને લેવા આવુ છું.”

     ત્યારબાદ જયેશે પોતે હાલ જે જગ્યા પર ઉભા હતાં, તે જગ્યાનું સરનામું આપ્યું, અને પેલા અજાણ્યા વ્યક્તિની રાહ જોવા લાગ્યો…..

     થોડીકવારમાં પેલો અજાણ્યો વ્યક્તિ રીક્ષા લઈને આવી પહોંચ્યો, જયેશને ખ્યાલ આવી ગયો કે પોતે જેની સાથે ફોન પર વાત કરી હતી, તે એક સામાન્ય રીક્ષા ડ્રાઇવર હતો, પરંતુ પોતાના પ્રત્યેની તેની આટલી લાગણી જોઈ, ખૂબ જ દુઃખ હોવા છતાં પણ હૃદયનાં કોઈ એક ખૂણેથી આનંદની લાગણીઓ વહી રહી હતી, ત્યારબાદ જયેશ અને તેની પત્ની રિક્ષામાં બેઠા, દરરોજ હાઈ- ફાઈ મોંઘી-ડાટ કારમાં ફરનાર જયેશ અને તેની પત્ની આજે સામાન્ય રિક્ષામાં મુસાફરી કરવાનો વારો આવ્યો હતો… જે વિશે તેણે સપનામાં પણ ક્યારેય વિચારેલ નહીં હોઈ.

    પેલા રિક્ષા ચાલકે કહ્યું કે, “ સાહેબ ! મારું નામ મહેશ છે, તમે હવે કઇ ચિંતા ના કરો, તમારા માટે મેં મારા ભાઈ સાથે વાત કરી લીધી, એ તમારા માટે રહેવા જમવાની બધી વ્યવસ્થા કરી આપશે, હું અત્યારે તમને તેની પાસે જ  લઇ જાવ છું”

     30 મિનિટ બાદ, તે લોકોને જ્યાં જવાનું હતું તે જગ્યા આવી ગઈ, આ જગ્યા પર રિક્ષામાંથી ઉતરતાની સાથે જ જયેશની આંખો પહોળી થઇ ગઇ, કારણ કે પેલી રીક્ષા એક વૃદ્ધાશ્રમની સામે આવીને ઉભી રહી હતી, કે જે જયેશે આજથી માંડીને પાંચ વર્ષ પહેલાં, પોતાની પાસે આવેલા વૃધ્ધોની સમસ્યાના નિરાકરણ માટે તાત્કાલિક બંધાવડાવેલ હતું…...જેના પર મોટા અક્ષરે લખેલ હતું…….આશા….તેમછતાં પણ જયેશ એકપણ શબ્દ બોલ્યા વગર પેલા મહેશભાઈ રિક્ષાવાળા સાથે આશ્રમમાં પ્રવેશ્યા…..અને મેનેજરની ઓફિસમાં ગયાં, રસ્તામાં મહેશભાઈએ જણાવ્યુ કે સાહેબ મારો મોટો ભાઈ આ આશ્રમમાં મેનેજર છે….અને છેલ્લા ત્રણ વર્ષથી તે આ આશ્રમનું સંચાલન કરે છે………

      મેનેજરની ઓફિસમાં પહોંચતાની સાથે જ, જેવી મેનેજરની નજર જયેશ અને સાવિત્રી પર પડી તો તે દોડીને આવ્યો, અને જયેશના પગે પડી ગયો, અને લાગણીશીલ બની ગયો…..અને કહ્યુ સાહેબ તમારે પોતાને આ વૃદ્ધાશ્રમમાં આવવુ પડશે એવુ મેં સપનામાં પણ નહોતું વિચાર્યું.

      મહેશને આ બધું કઈ સમજાતું ન હતું, ત્યારબાદ તેના ભાઈએ મહેશને સમજાવતા કહ્યુ કે મહેશ આ વ્યક્તિ બીજું કોઈ નહીં પરંતુ આ એ જ વ્યક્તિ છે કે જેણે આ વૃદ્ધાશ્રમ બનાવડાવ્યું હતું, ત્યારબાદ મહેશને સમજાયુ કે પોતે જયેશને પોતાના દ્વારા જ બનાવડવામાં આવેલ આશ્રમમાં જ લઈને આવ્યો હતો.

     એટલીવારમાં વૃદ્ધાશ્રમમાં રહેલા અન્ય વૃધ્ધો લોકો પણ, મેનેજર ઓફિસે આવી ગયાં, અને આખું વાતાવરણ હવે ભાવવિભોર બની રહ્યું હતું, જયેશ અને તેના પરિવાર સાથે બનેલ ઘટના વિશે સાંભળીને બધા જ ભાવુક બની ગયા….અને વૃદ્ધાશ્રમમાં રહેલા બધા જ લોકોએ હસતા - હસતા જયેશ અને તેની પત્નીને આવકારી લીધા.

    જયેશને એકવાત હવે સમજાય ગઈ હતી કે પોતાની કંપનીમાં જે આગ લાગીવાથી જે સંપત્તિ બળીને રાખ થઈ ગઈ, એ તો માત્ર કાગળના ટુકડા જ હતા પરંતુ તેની સાચી સંપત્તિ તો આ વૃદ્ધાશ્રમ અને આ બધાનો જીતેલો વિશ્વાસ જ સાચા અર્થમાં તેની સાચી સંપતિ હતી…...આ સાથે જ આપણાં માં સામાન્ય રીતે બોલાતું વાક્ય કે…...આશા અમર છે…..આ વાક્ય ખરા અર્થમાં જયેશ માટે સાર્થક થતું હોય તેવું લાગી રહ્યું હતું…..તે જ દિવસે રાતે જયેશને એટલી સરસ ઊંઘ આવી ગઈ હતી કે જે પોતાના આલીશાન બેડમાં પણ ક્યારેય આવી ન હતી………..


      મિત્રો ! કહેવાય છે કે આપણે કરેલા કર્મોનું ફળ, વ્યક્તિએ આ જ જન્મમાં ભોગવવું પડે છે….પછી તે કર્મો સારા હોય તો ય ભલે...કે ખરાબ હોઈ તો ઇ ભલે…...પરંતુ જો તમે સારા કર્મો કર્યા હશે, તો તેનું ફળ પણ ચોક્ક્સથી સારું જ આવશે…..કદાચ મોડું પણ આવે પરંતુ આવે તો છે જ તે….જેવી રીતે જયેશે કરેલા સારા કાર્યોનું ફળ તેને ચોક્કસથી સારું જ મળ્યું, બાકી જયેશે કે તેની પત્નીએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહીં હોય કે પોતે જે આશા - નામનું વૃદ્ધાશ્રમ બનાવે છે….તેમાં કચારેક એકાદ દિવસ પોતાને પોતાની પત્ની સાથે રહેવાનું થાય ...એવી પણ પરિસ્થિતિ આવશે.


સાહિત્યની દુનિયાનું નાનું ફૂલ

મકવાણા રાહુલ. એચ