raajmahel books and stories free download online pdf in Gujarati

રાજમહેલ

રાજમહેલ


    આલોક શર્મા પોતાના શહેરની નામાંકિત મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં આઈ.સી.યુ વિભાગમાં દાખલ હતો, જેવો એ ભાનમાં આવ્યો તરત જ મલ્ટીપેરા કાર્ડિયાક મશીનના બીપ - બીપ અવાજનો રણકાર તેના કાને પડ્યો, બાજુમાં તેના પરિવારજનો એકદમ દુઃખી અને ચિંતાગ્રસ્ત થઈને તેની બાજુમાં બેઠેલા હતાં.

પોતાના હાથમાં સોય નાખેલ હતી તેમાંથી બાટલો ચડી રહ્યો હતો, અને આંગળીમાં લોહીમાં ઓક્સિજનનું પ્રમાણ ચેક કરવા માટે પ્રોબ લગાવેલ હતો, પોતાના ચહેરા પર ઓક્સિજન માસ્ક લગાવેલ હતું…આ બધું જોઈને આલોક એકદમ ગભરાઈને પોતાના બેડમાંથી એકદમ બેબાકળો થઈને બેઠો થયો, તેને કંઇ સમજાતું ન હતું કે તે અહીં આ હોસ્પિટલમાં કેવી રીતે આવ્યો..આલોકનું મન એકદમ વિચારે ચડી ગયું...ખૂબ વિચાર્યું પરંતુ તેને કઈ યાદ આવ્યું નહીં. ખૂબ વિચાર કર્યા બાદ અચાનક આલોકને માથાનાં પાછળના ભાગમાં દુખાવો થવા લાગ્યો જેવો તેણે પોતાના માથા પર હાથ ફેરવ્યો તો તેના માથા પર પાટ્ટો બાંધેલ હતો.આલોકે પોતાના પરિવારજનો ને ઘણું પૂછ્યું પરંતુ કોઈ જવાબ આપી શક્યું નહીં….માત્ર એટલું જ કહ્યું કે,” બેટા તું મોતના મુખમાંથી મોતને માત આપીને પાછો આવ્યો છો, એવું કહીએ કે આ તારો બીજો જન્મ કે બીજો અવતાર છે તો તે કઈ ખોટું ના કહેવાય.”


************************************************************


          આલોક શર્મા એક નામાંકિત ફિલ્મ એક્ટર હતો, જેની એક ઓટોગ્રાફ માટે લોકો કલાકો સુધી રાહ જોવામાં પણ ખચકાતા હતા નહીં, અત્યાર સુધીમાં આલોક શર્માને ઘણાં બધાં ફિલ્મફેર એવોર્ડ અને બે વખત ઓસ્કાર એવોર્ડ મેળવનાર ફિલ્મ ઈન્ડસ્ટ્રિમાં એકમાત્ર એક્ટર હતો. આ ઉપરાંત નાના મોટા તો ઘણાં - બધાં એવોર્ડ આલોકને મળેલ હતાં.

          આલોકે પોતાની જાતને એવી કેળવી હતી કે તે કોઈપણ પ્રકારની ફિલ્મની સ્ક્રિપ્ટમાં એકદમ સહેલાયથી પોતાનો રોલ સહજ રીતે કરી શકતો હતો, તેણે તમામ પ્રકારની જેવી કે રોમેન્ટિક, સામાજિક, ધાર્મિક, રાજકારણ, દેશભક્તિ, હોરર, સસ્પેન્સ, થ્રીલર એમ વગેરે ફિલ્મમાં એક્ટર તરીકે પોતાનો રોલ બાખૂબી ભજવેલ હતો, જે દરેક રોલમાં તેના ચાહકવર્ગે તેને સ્વીકારેલ હતો.જે આલોક માટે એક ગર્વની બાબત ગણાય.


************************************************************

બીજે દિવસે

સમય : સવારે 10 કલાક

     આલોક પોતાના બેડ પર બેસીને નાસ્તો કરી રહ્યો હતો એટલી વારમાં પરાગ આવ્યો, આલોકને આવી રીતે ભાનમાં આવેલ જોઈને આનંદ અને હર્ષ સાથે એકદમ ઉત્સાહથી આલોક તરફ દોડી ; આલોકને એકદમથી ગળે મળીને લાંબા સમય સુધી પોતાની આંખમાં આંસુ સાથે આલોકને વળગી રહ્યો, આલોક પણ પોતાની આંખમાં આંસુ સાથે પરાગને વળગી રહ્યો.

“ ભગવાનનો હું લાખ - લાખ વાર આભારી રહીશ કે મારો પ્રિય મિત્ર મોતનાં મુખમાંથી હેમખેમ પાછો આવી ગયો.” - પરાગ પોતાના આંસુ લૂછતાં - લૂછતાં બોલ્યો.

“ પરાગ ! તું તો મને જણાવ કે મને શું થયું હતું? મારી સાથે શું બનાવ બનેલ હતો? મને માથાનાં ભાગે કેવી રીતે ઇજા થઇ? મને અહીં કોણે દાખલ કરાવ્યો? મને કેમ કોઈ કંઈ જણાવતું નથી?મને કેમ કંઈ યાદ નથી આવી રહ્યું?” - આવા એકસાથે ઘણાં પ્રશ્નો આલોકે પરાગને પૂછયા.

“આલોક ! મારા દોસ્ત તું અત્યારે આરામ કર! ડૉકટરે કહ્યું કે આલોકને કોઈ ડિસ્ટર્બ ના કરતા તેને અત્યારે આરામની સખત જરૂર છે.” - પરાગે સહજતાથી આલોકને જણાવ્યું.

“પરાગ ! જો તું મને સાચી હકીકત નહીં જણાવે તો તને મારા સોંગદ છે.” - આલોક પોતાની સાથે જે બન્યું તે જાણવા માટે આતુર હોય તેવી રીતે પરાગને પૂછ્યું.

“આલોક ! મહેરબાની કરીને તું મને તારા સોગંદ ના આપ, તું જાણે જ છે કે આ દુનિયામાં મારો જો કોઈ બેસ્ટ ફ્રેન્ડ હોય તો તે માત્ર તું એક જ છે”

“તો તું સીધી રીતે મને નહીં જણાવતો માટે મારે ના છૂટકે તને મારા સોગંદ આપવાની જરૂર પડી.”

“હવે ! મારી પાસે તને આખી હકીકત જણાવવા સિવાય કોઈ રસ્તો જ નથી” - આટલું બોલી પરાગ આલોકની બાજુમાં રહેલ ટેબલ પર બેસ્યો અને આખો બનાવ વિગતવાર જણાવવાનું શરૂ કર્યું.

       આલોક છેલ્લા એક મહિનાથી તું એક હોરર ફિલ્મ - દેવયાની પર કામ કરી રહ્યો હતો, જે સ્ટોરી મેં જ લખી હતી, જેમાં તારો રોલ મહારાજા વિશ્વનાથનો હતો.આ સ્ક્રિપ્ટ મુજબ તારો રોલ એકદમ દમદાર હતો, વિશ્વનાથ એ પોતાના ન્યાય અને નીતિમત્તા માટે આખે - આખા દેશમાં વખાણાય રહ્યા હતાં….

“ વિશ્વનાથ….?...વિશ્વનાથ કોણ હતું?” - આલોકે પરાગને અટકાવતા પ્રશ્ન પૂછ્યો.

“ વિશ્વનાથ એ માધવપુરનો એક રાજવી હતો, જેનું વ્યક્તિત્વ એકદમ તારી જેવું જ લાગી રહ્યું હતું, તારો અને એ રાજાનો શરીરનો ઘાટ એકદમ બરાબર હતો.. એટલા માટે આ હોરર ફિલ્મમાં તારી પસંદગી કરવામાં આવેલ હતી.”

“ઓકે ! પછી શું થયું ?” - આલોકને હવે રસ પડી રહ્યો હોય તેવી રીતે આતુરતાપૂર્વક પૂછ્યું.

“ આ ! ફિલ્મનું શૂટિંગ પણ માધવપુરના મહેલમાં જ સરકારશ્રી ની પરવાની સાથે જ કરવામાં આવેલ હતું, એકદિવસ અમે જોયું કે તું સવારે વહેલો રાજાના દરબારમાં બેભાન હાલતમાં પડેલ હતો અને તારા માથાના ભાગમાંથી ઇજાને લીધે લોહી વહી રહ્યું હતું, આથી આપણી આખી ટીમ પોત - પોતાના કામ પડતા મૂકીને તને હોસ્પિટલમાં સારવાર અપાવવા માટે દોડી આવી.”

“ઓકે ! એતો બરાબર છે પણ તે દિવસે રાતે મારી સાથે શુ બન્યું હતું ? હું ત્યાં રાજાના દરબારમાં કેવી રીતે પહોંચ્યો? મને ઇજા કેવી રીતે થઈ ?” - આલોકે બેબાકળા થતા પૂછયું.

“આલોક ! તને અત્યારે જેવી રીતે જાણવાનો જે ઉત્સાહ અને આતુરતા છે, અમને પણ બીજા દિવસે આવા જ પ્રશ્નો થયા હતા, આથી મેં આપણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર સાથે મળીને સી.સી.ટી.વી

કેમેરાનું રેકોર્ડિંગ ચેક કર્યું, એ જોઈને અમારા બધાની આંખો એકદમ પહોળી થઇ ગઇ, અમે જે જોયું તેના પર અમને કોઈને વિશ્વાસ નહોતો આવી રહ્યો.”

“એવું તો તમે લોકોએ શું જોયું ? કે તમને તમારી આંખો પર વિશ્વાસ નહોતો આવી રહ્યો?” - હવે આલોકના મનમાં કોઈ એક ખૂણામાં ડર પણ સ્થાન લઇ રહ્યો હતો.

“ હું તને એ જ જણાવવા માંગુ છું ! તું તારું હૃદય થોડુંક મજબૂત કરીને સાંભળજે” - પરાગે આલોકને કહ્યું.


સમય : લગભગ રાતના 1 કલાકની આસપાસ

સ્થળ - માધવપુરનો મહેલ કે જ્યા ફિલ્મ શૂટિંગ થતું હતું તેનો દરબાર  

         હોલ

    તારી દરબાર હોલમાં અમે લોકોએ એન્ટ્રી જોઈ જે જોઈને અમે એકદમ અવાક બની ગયા કારણ કે માત્ર શરીર તારું હોય એવું અમને લાગી રહ્યું હતું પરંતુ તારા શરીરમાં આત્મા બીજા કોઈની પ્રવેશી ગઈ હોય તેવું લાગી રહ્યું હતું, તારામાં એક અલગ પ્રકારનું મુખપરિવર્તન આવી રહ્યું હતું, તારા હાવ-ભાવ, તારી બોલવાની અદા, તારો ચાલવાનો ઢંગ, આંખોમાં એક ખુમારી અને એકદમ તેજસ્વી આંખો, તારી પર્સનાલિટી એકદમ બદલાયેલ હતી.

    પરંતુ એના કરતાં પણ અમારા માટે નવાઈની અને માનવામાં ન આવે એ બાબત એ હતી કે આખા દરબારમાં કોઈ ન હોવા છતાં પણ તું બધાની સાથે વાતોચીતો કરી રહ્યો હતો.

    દરબાર શરૂ થયો હોય તેવી રીતે તે કહ્યું કે મારા રાજ્યના ગુપ્ત માહિતી અન્ય દુશ્મન સેનાને પહોંચાડનાર અને દગાથી મારી રાણી અને મારા પુત્રની હત્યા કરનાર સેનાપતિને હાજર કરો, આજે આ દરબારમાં જ તેને એક્દમથી આકારમાં આકરી કે જે મુત્યુથી બદતર હશે તે સજા કરવામાં આવશે.

    નવાઈ તો અમને ત્યારે લાગી જ્યારે અમે જોયું કે તારા શરીરમાં એક નહીં પરંતુ એક સાથે ચાર - ચાર આત્માએ આધિપત્ય જમાવ્યું હતું.

    અમને બધાને એ બાબતનો ખ્યાલ ત્યારે આવ્યો કે જ્યારે તું ઘડીક રાજા જેવું વર્તન કરતો હતો, તો ક્યારેક એક્દમથી કપટી સેનાપતિ જેવું, તો ક્યારેક એકદમ મહારાણી,તો ક્યારેક એકદમ રાજકુમાર કે જે બંનેવને સેનાપતિને દગાથી મોતને ઘાટ ઉતારી દીધેલ હતાં, એના જેવું વર્તન કરી રહ્યો હતો, આ અમે લોકો ધોળા દિવસે સી.સી.ટી.વી કેમેરાનું રેકોર્ડિંગ જોવા છતાં પણ અમારા બધાના ધબકારા એકદમ વધી ગયા હતાં, અને ડરને કારણે અમારા બધાના અંગે-અંગના રૂંવાડા ખડા થઈ ગયા હતાં, અને અમને ધોળે દિવસે પરસેવો વળી ગયો હતો.

  આથી અમેં બધા સમજી રહ્યાં હતાં કે આ મહેલમાં કંઈક એવું હતું કે જેને લીધે તું એક અલગ પ્રકારની વર્ષો પહેલાની દુનિયામાં જતો રહ્યો હતો.

   પછી અમે જોયું કે તે એટલે કે મહારાજે પેલા સેનાપતિને “દો - ઝખ” ની સજા ફરમાવી અને તાત્કાલિક અસરથી તારા આદેશનું પાલન કરવામાં આવ્યું હોય એવું લાગ્યું, પરંતુ એ જ દિવસે રાત્રે જ્યારે તું તારા દિવાન ખંડમાં સૂતો હતો, ત્યારે એ સેનાપતિએ લાલચ અને ડર બતાવીને પહેરદારો સાથે વાત કરીને કારાગાર માંથી છૂટી ગયો અને તારા દીવાન ખંડમાં તને જાનથી મારી નાખવાં માટે આવ્યો હતો,

પરંતુ થોડોક ખળભળાટ થવાના લીધે તું જાગી ગયો, અને તારી નજર પેલા સેનાપતિ પર પડી અને સેનાપતિ ગભરાઈને દરબાર હોલ તરફ ભાગ્યો તું પણ તેની પાછળ-પાછળ ભાગ્યો, જેવો તું દરવાર હોલમાં ગયો ત્યાં જ અચાનક એકાએક પેલા સેનાપતિએ તારા માથાના ભાગે ફૂલદાની વડે હુમલો કર્યો આથી તું બેભાન થઈને જમીન પર પડી ગયો.

   જેવો તું બેભાન થઈને જમીન પર પડ્યો કે તરત જ પેલા સેનાપતિએ તને મારી નાખવાના બદ ઈરાદાથી પોતાની કમારબંધમાં રહેલ કટાર કાઢીને તારી તરફ આગળ વધ્યો.

    પરંતુ તે એકાએક અટકી ગયો જાણે કોઈ અદ્રશ્ય શક્તિએ તેને રોકી રાખ્યો હોય તેવું લાગ્યું અને તેના બંનેવ હાથ અને પગ જકડી લીધા...અને કટાર પોતાના જ પેટમાં ઘુસાવી દીધી, જેવો સેનપતિનો જીવ ગયો કે તરત જ પેલી અદ્રશ્ય દિવ્ય શક્તિનું એક પડછાયા જેવું એક આભાચિત્ર બની ગયું એ બીજું કોઈ નહીં પરંતુ છળકપટથી મૃત્યુ પામનાર દાસી એટલે કે રાણી અને તેના પુત્ર એટલે કે રાજકુમાર પોતે જ હતા, જે મૃત્યુ પામ્યા પછી પણ પોતાના પતિ કે પોતાના પિતાનો જીવ બચાવ્યો.

    અને જોત - જોતમાં રાણી અને રાજકુમારની આત્માને પોતાના ગુનેગારને સજા મળી જવાથી હોલમા આવી રહેલા એક દિવ્ય પ્રકાશમાં ધુમાડા સાથે અદ્રશ્ય થઈ ગયાં.

     આજે એ વસ્તુ સાબિત થઈ ગઈ કે આ આપણી દુનિયા સિવાયની એક દુનિયા એવી પણ છે કે જેના પર કોઈ વિશ્વાસ ના કરી શકે પરંતુ અમારી જેવા કે જેણે પોતાની સગી આંખે આ બધું જોયું હોય તે જ વિશ્વાસ કરે, અને આ બાબત પર કોઈ વિશ્વાસ નહીં કરે એવું વિચારીને અમે આ વાત કોઈને કહી નથી, તારા ફેમીલી મેમ્બરને પણ નહીં.

     આ વાત માત્ર હું, આપણા ડાયરેક્ટર અને પ્રોડ્યુસર જ જણાતાં હતા અને હવે આ વાત જાણનાર તું ચોથો વ્યકિત છો.

      અમે તારા પરિવારજનો ને જણાવ્યું છે કે ફિલ્મના શૂટિંગ દરમ્યાન પડી જવાને લિધે તને માથાના ભાગમાં ઇજા થઇ છે, જેથી કરીને એ લોકો ડરી ન જાય અને કારણ વગર ખોટી ચિંતા ના કરે, આમપણ જો સાચી હકીકત જણાવી હોત તો એ કોઈ અમારા પર વિશ્વાસ કરે એમ હતું નહીં.

      આ બધું સાંભળીને આલોક એકદમ મૂંઝવણમાં અને વ્યથામાં કે દુવિધામાં પડી ગયો, પરંતુ તેની પાસે હાલ પરાગની વાત પર વિશ્વાસ કરવા સિવાય બીજો કોઈ રસ્તો પણ હતો નહીં.


************************************************************

    સારી ઉત્તમ ગુણવત્તાની સારવાર મળવાથી અને પરિવારજનો અને મિત્રોની સાર સંભાળ અને હુંફને લીધે આલોક થોડાક જ સમયમાં એકદમ સાજો થઈ ગયો અને તેને હોસ્પિટલ માંથી રજા પણ આપવામાં આવી.

     રજા આપ્યા બાદ જ્યારે ત્યાં આઈ.સી.સી.યુ વિભાગમાં ડ્યૂટી પર રહેલ સ્ટાફે આલોકને કહ્યું કે,

“સર ! તમને રજા આપવામાં આવી છે માટે હવે તમે તમારા પોતાના ઘરેથી જે કપડાં લાવેલ છો તે પહેરી લો અને આઇ.સી.સી.યુ નો ડ્રેસ ટેબલ પર જમા કરાવી દો.”

“ ઓકે ! સ્યોર, હું હમણાં જ ચેન્જ કરીને આઈ.સી.સી.યુ નો યુનિફોર્મ તમારી પાસે ટેબલ પર જમા કરાવું છું” - આટલું બોલી આલોક પોતાના કેબિનનો દરવાજો બંધ કરીને પોતાના બેડની બાજુમાં રહેલા ટેબલ પર પડેલ પોતાના કપડાં બદલાવ લાગ્યો.

   આલોકે પેન્ટ બદલ્યું અને શર્ટ બદલવા જઇ રહ્યો હતો ત્યાંજ અચાનક તેનું ધ્યાન કેબિનમાં રહેલ અરીસામાં પડ્યું, અરીસામાં નજર પડતાની સાથે જ આલોકને આશ્ચર્યનો કોઈ પાર ના રહ્યો કારણ કે તેણે પોતાની જમણી બાજુ ના બાવડાં પર સિંહનું બનેલ ટેટુ જોયું જે એના શરીર પર પહેલા હતું જ નહીં, આથી આલોક અરીસાની એકદમ નજીક જઈ એકદમ ધ્યાનપૂર્વક પેલું સિંહના મોઢાનું બનેલ ટેટુ જોવા લાગ્યો.

    જેવું પોતે એ ટેટુ જોયું કે અચાનક તેના મનમાં ઝબકારો થયો કે આ ટેટુ પોતાના શરીર પર હતું જ નહીં, આ કેવી રીતે મારા શરીર પર આવી શકે.

    હવે તેને આછું- પાતળું યાદ આવી રહ્યું હતું કે એક્દમ આવું જ ટેટુ તેણે ક્યાંક જોયેલું છે, પરંતુ કયા અને ક્યારે એ યાદ આવી રહ્યું હતું નહીં, પછી તેને એક પળવારમાં ઝબકારા સાથે જ યાદ આવ્યું કે આવું જ સેમ ટુ સેમ ટેટુ તેણે મહારાજનાં એક પેઇન્ટ કરેલી તસ્વીરમાં જોયું કે જે મહારાજના કુટુંબનું રાજ ચિન્હ હતું, પરંતુ એ પોતાના શરીર પર કેવી રીતે આવ્યું તે હજુ પણ એક પ્રશ્ન બનીને ઉભો રહ્યો હતો.

    ધીમે - ધીમે તેને ખ્યાલ આવ્યો કે આલોક બીજું કોઈ નહીં પરંતુ રાજા વિશ્વનાથનો આઠમો પુનર્જન્મ હતો, એના લીધે જ આ બીજા કોઈની સાથે નહીં માત્ર આલોક સાથે જ આ બન્યું હતું અને માત્ર આલોક જ પેલા સેનાપતિ, રાણી અને રાજકુમારને જોઈ શકતા હતા.

    વર્ષોથી પોતાના ન્યાય માટે ભટકતી રાણી અને રાજકુમારનો મોક્ષ આલોકનાં હાથે અગાવ થી જ નસીબમાં લખાયેલ હોય તેવું લાગી રહ્યુ હતું.

    ત્યારબાદ આલોકે અને તેની સમગ્ર ટીમે આ ફિલ્મનો પ્રોજેકટ અધુરો મુકવાનો નિર્ણય લીધો, અને આલોકે પણ આ સમગ્ર ઘટના પોતાના મનના કોઈ એક ખૂણામાં કાયમીક માટે સાચવી લીધી જેનો ક્યારેય પણ, કોઈની સાથે ઉલ્લેખ કર્યો જ નહીં.

   ફરીથી આલોક પોતાની અગાવ જેવી જ વ્યસ્ત લાઈફમાં ફરી એકવાર વ્યસ્ત થઈ ગયો અને તેની લોકચાહના પણ દિવસે ને દિવસે એકદમ વધી રહી હતી…………..



   મિત્રો આપણે ઘણીવાર એવું વિચારતા હોઈએ છિએ કે શું ખરેખર આપણા આ જન્મનો આપણા પૂર્વજન્મ સાથે કોઈ સંબંધ હશે ખરો? મિત્રો આ પ્રશ્નો નો જવાબ સંપૂર્ણપણે હા પણ નથી અને ના પણ નથી, જે લોકોએ જોયેલું કે અનુભવેલું છે તે લોકો દ્રઢપણે એવું માને છે કે આપણા જન્મને પૂર્વજન્મ સાથે ચોક્કસ સબંધ હોય છે, અને જે લોકોએ આવું અનુભવેલ કે જોયેલ નથી તે લોકોને આ વાત હાથ પગ વગરની એટલે કે વ્યર્થ લાગે છે…..


                         સાહિત્યની દુનીયાનું નાનું ફુલ

                              મકવાણા રાહુલ.એચ